Madhya Pradesh : 108 ફૂટ ઉંચી આદિ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમાનું આજે CM શિવરાજ સિંહ ચૌહાણના હસ્તે અનાવરણ
આ વર્ષે મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો પૂરા દિલથી કામ કરી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશને એક નવુ નજરાણુ મળવા જઇ રહ્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે ખંડવા જિલ્લાના ઓમકારેશ્વર ખાતે હિન્દુ સંત આદિ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. ઓમકારેશ્વર એ ખંડવા જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલું મંદિરોનું શહેર છે, જ્યાં શંકરાચાર્યની આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં એકતાની મૂર્તિ
મહત્વનું છે કે ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગોમાંથી એક ઓમકારેશ્વરમાં આવેલુ છે. ત્યારે 8મી સદીના ફિલોસોફર અને હિંદુ ધર્મમાં આદરણીય એવા શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાને 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' (આદિ શંકરાચાર્યની પ્રતિમા) નામ આપવામાં આવ્યું છે. આ વિશાળ પ્રતિમા નર્મદા નદીના કિનારે મનોહર માંધાતા ટેકરી પર સ્થિત છે.
108 ફૂટ ઊંચી છે પ્રતિમા
અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રતિમા 108 ફૂટ ઊંચી છે. આ સાંસ્કૃતિક પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહુપ્રતિક્ષિત વિઝન - 'વસુધૈવ કુટુમ્બકમને પૂર્ણ કરશે. તેમજ મધ્યપ્રદેશ તમામ ધર્મોના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે તેની સ્થિતિને મજબૂત કરશે.મધ્ય પ્રદેશ માહિતી વિભાગ તરફથી આપવામાં આવેલા રીપોર્ટ અનુસાર ઈન્દોરથી આશરે 80 કિમી દૂર આ પ્રતિમા આવેલી છે. આ યોજનાના પહેલા તબક્કામાં નર્મદા નદીના કિનારે આ ધાર્મિક નગરીમાં માંધાતા પર્વત પર મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે.મહત્વનું છે કે મધ્યપ્રદેશની ભાજપ સરકારે આ વર્ષે 2,141.85 કરોડ રૂપિયાના એક પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, જેના હેઠળ ઓમકારેશ્વરમાં એક મ્યુઝિયમ સાથે આદિ શંકરાચાર્યની પ્રતિમા બનાવવાની હતી.
મોટું વન તૈયાર કરાયું
એવું માનવામાં આવે છે કે, કેરળ રાજ્યમાંથી નાનપણમાં જ શંકરાચાર્યએ સન્યાસ લઈ લીધો હતો. એ પછી તેઓ ઓમકારેશ્વર આવ્યા હતા.જ્યાં એમની મુલાકાત ગુરૂ ગોવિંદ ભગવત્પાદ સાથે થઈ હતી. ચાર વર્ષ સુધી આ પવિત્ર નગરીમાં રહીને તેમણે વિદ્યાપ્રાપ્તિ કરી હતી. ધાર્મિક માન્યતા અનુસાર શંકરાચાર્યએ અદ્વૈત વેદાંત દર્શનને લોકો સુધી પહોંચાડવા માટે 12 વર્ષની ઉંમરમાં દેશના અન્ય ભાગમાં વિહાર કર્યો હતો. ઓમકારેશ્વરમાં અદ્વૈતલોક નામથી એક મ્યુઝિયમ અને આચાર્ય શંકરાચાર્ય આંતરરાષ્ટ્રીય વેદાંત સંસ્થાની સ્થાપના સાથે 36 હેક્ટર પર અદ્વૈતવન પણ તૈયાર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -કેનેડાના PM પુરાવા વગર આ પ્રકારના આરોપ કેવી રીતે લગાવી શકે ! કેનેડાના જ જાણીતા પત્રકારે ટ્રુડો સામે ઉઠાવ્યા સવાલ