Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખામધ્રોળ ગામે પ્રગતિશીલ ખેડૂતની ગાજરની ખેતીની પરંપરા

ખામધ્રોળ ગામે પ્રગતિશીલ ખેડૂતની ગાજરની ખેતીની પરંપરાગાજરની ખેતી માટે ખેડૂતના પિતાશ્રીને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતોગાજરની ખેતીમાં પિતાના પગલે પુત્રએ પણ નવી ઉંચાઈઓ સર કરીએક ગાજરની લંબાઈ 8 થી 18 ઇંચની, એકર દીઠ 8 થી 10 ટન ઉત્પાદનપોતાની બ્રાન્ડ ઉભી કરી બીજની નિકાસ કરે છેગાજરની પેટન્ટ બનવા તરફની પ્રક્રિયા હાથ ધરાઈજૂનાગઢ (Junagadh)ના ખામધ્રોળ ગામે એક પ્રગતિશીલ ખેડૂતે ( Progressive Farmer ) ગાજર (Carrot)ની ખેત
06:51 AM Jan 31, 2023 IST | Vipul Pandya
  • ખામધ્રોળ ગામે પ્રગતિશીલ ખેડૂતની ગાજરની ખેતીની પરંપરા
  • ગાજરની ખેતી માટે ખેડૂતના પિતાશ્રીને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો
  • ગાજરની ખેતીમાં પિતાના પગલે પુત્રએ પણ નવી ઉંચાઈઓ સર કરી
  • એક ગાજરની લંબાઈ 8 થી 18 ઇંચની, એકર દીઠ 8 થી 10 ટન ઉત્પાદન
  • પોતાની બ્રાન્ડ ઉભી કરી બીજની નિકાસ કરે છે
  • ગાજરની પેટન્ટ બનવા તરફની પ્રક્રિયા હાથ ધરાઈ
જૂનાગઢ (Junagadh)ના ખામધ્રોળ ગામે એક પ્રગતિશીલ ખેડૂતે ( Progressive Farmer ) ગાજર (Carrot)ની ખેતીની પરંપરા જાળવી છે. ગાજરની ખેતી માટે આ ખેડૂતના પિતાશ્રીને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો અને હવે પિતાના પગલે પુત્રએ પણ ગાજરની ખેતીમાં નવી ઉંચાઈઓ સર કરી છે.
એક ગાજરની લંબાઈ આઠ થી અઢાર ઇંચની... એકર દીઠ આઠ થી દસ ટન ઉત્પાદન.પોતાની બ્રાન્ડ ઉભી કરી બીજની નિકાસ થાય છે... જી હાં.. એટલું જ નહીં પરંતુ અન્ય ગાજરની જાતના પ્રમાણમાં આ ગાજર વધુ ન્યુટ્રીશન અને આરોગ્યપ્રદ હોવાનું પણ પ્રમાણિત થયું છે.
વાત છે જૂનાગઢ નજીકના ખામધ્રોળ ગામની કે જ્યાં અરવિંદભાઈ મારવણીયા નામના ખેડૂતે ગાજરની ખેતીમાં નવી ઉંચાઈ સર કરી છે.
ગાજરની ખેતીનો રસપ્રદ ઈતિહાસ...
આજે જ્યારે ગાજરનો હલવો લગભગ સૌ કોઈને ભાવતો હોય છે ત્યારે તમને નવાઈ લાગશે કે જ્યારે અરવિંદભાઈના પિતા વલ્લભભાઈએ 1943 થી ગાજરની ખેતીની શરૂઆત કરી, તે સમયે ગાજરનો માત્ર પશુ આહાર તરીકે ઉપયોગ થતો હતો ત્યારે વલ્લભભાઈને વિચાર આવ્યો કે ગાજર માત્ર પશુ આહાર જ નહીં પરંતુ શાકભાજી તરીકે માણસો પણ ઉપયોગ કરે... બસ આ જ વિચાર થી વલ્લભભાઈની ગાજરની ખેતીની યાત્રા શરૂ થઈ...
1943 મા પહેલીવાર તેઓ પોતાના ગાજર લઈને શાક માર્કેટમાં વેચવા ગયા
1943 મા પહેલીવાર તેઓ પોતાના ગાજર લઈને શાક માર્કેટમાં વેચવા ગયા ત્યારે 10 કિલો ગાજરના તેમને 6 રૂપીયાનો ભાવ મળ્યો હતો. બસ ત્યારથી જાણે ગાજરનો શાકભાજી તરીકે જન્મ થયો. વલ્લભભાઈ ગાજરનું ઉત્પાદન કરતાં અને બજારમાં વેચવાની સાથે સગા સબંધીઓને શાકભાજી તરીકે ખાવા આપતાં અને અન્ય ખેડૂતોને ગાજરનું વાવેતર કરવા પ્રોત્સાહિત કરતાં. ધીમે ધીમે ગાજરની માંગ વધી પરંતુ ઉત્પાદન બહુ ન થતું, તે સમયે ગાજરમાંથી ખેડૂતનું પોતાનું, પશુઓનું અને ખેતરમાં કામ કરતાં ખેત મજુરોનું ભરણપોષણ થતું. તે સમયે જૂનાગઢમાં નવાબોનું શાસન હતું, નવાબ મહાબતખાનજી ત્રીજાના સમયમાં વલ્લભભાઈનો રજવાડાને શાકભાજી પુરૂં પાડવાનો કોન્ટ્રાક્ટ હતો, 1947 માં જ્યારે નવાબ પાકિસ્તાન જતાં રહ્યા તે સમયે વલ્લભભાઈનો શાકભાજીના લેણાં પેટેનો 42 રૂપીયાનો હિસાબ બાકી હતી, આમ વલ્લભભાઈના તે સમયના 42 રૂપીયા નવાબ પાસે લેણાં નીકળે છે.
ગાજરના બીજના ઉત્પાદન માટેની પ્રક્રિયા શરૂ કરી
ગાજરના ઉત્પાદન સાથે વલ્લભભાઈને વિચાર આવ્યો કે ભવિષ્યમાં પણ ગાજરની સારી ગુણવત્તા માટે ગાજરનું બીજ સારું હોવું જરૂરી છે તેથી 1980 થી તેમણે ગાજરના સારા બીજ માટેની ઝુંબેશ શરૂ કરી. ગાજરનું બીજ બનાવવાની પ્રક્રિયા વલ્લભભાઈ જાણતા હતા અને 1980 થી તેમણે સારી ગુણવત્તા ગાજરનું ઉત્પાદન થઈ શકે તેવા ગાજરના બીજના ઉત્પાદન માટેની પ્રક્રિયા શરૂ કરી. ગાજરનું બીજ 100 થી 105 દિવસમાં તૈયાર થાય છે, વલ્લભભાઈ ગાજરનું બીજ બનાવવાની પ્રક્રિયા જાણતા હતા અને પોતાના પુત્ર અરવિંદભાઈને પણ બીજ બનાવવાની પ્રક્રિયા શીખવી. અરવિંદભાઈ 9 ધોરણ સુધી ભણ્યા છે.પિતાએ આગળ ભણવાને બદલે ખેતીકામે લગાડી દીધા અને ગાજરની સફળ ખેતીની બક્ષીસ આપી.
સારી ગુણવત્તાના ગાજરના બીજને મધુવન ગાજર બીજ નામ આપવામાં આવ્યું
પિતા પાસેથી ગાજરના બીજનો કસબ જાણ્યા બાદ અરવિંદભાઈ એક વખત પોતાના ગાજરના ખેતરમાં કામ કરતાં હતા, ત્યારે ગાજરનો પાક ફ્લાવરીંગ સ્ટેજ પર હતો, અને સમગ્ર ખેતરમાં ગાજરના ફુલ પર હજારોની સંખ્યામાં મધમાખીઓ જોવા મળી, મધમાખી મધ આપે... મધને સંસ્કૃતમાં મધુ કહે છે અને અનેક મધમાખીને લઈને મધુવન એવા નામનો વિચાર આવ્યો અને તેના પરથી વલ્લભભાઈએ શરૂ કરેલા સારી ગુણવત્તાના ગાજરના બીજના અભિયાનને મધુવન ગાજર બીજ નામ આપવામાં આવ્યું આમ પિતાએ કેડી કંડારી... ને પુત્ર તેને ઉંચાઈએ લઈ ગયા... 
અલગ અલગ એવોર્ડ મળ્યા
નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહયોગ થી વર્ષ 2015 થી પ્રગતિશીલ ખેડૂત તરીકે ઉચ્ચ ગુણવત્તાના ગાજરના બીજ ઉત્પાદક તરીકે સન્માનિત થયા અને અલગ અલગ 6 એવોર્ડ પણ મળ્યા, વર્ષ 2017 માં પ્રણવ મુખર્જીના હસ્તે નેશનલ ગ્રાસરૂટ એવોર્ડ મળ્યો જેમાં એક લાખનું રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયું. 
વલ્લભભાઈને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા
વર્ષ 2019 માં ગાજર માટે એક રાષ્ટ્રીય કક્ષાએ સંશોધન થયું, ભારતમાં થતી ગાજરની વિવિધ જાતોની ગુણવત્તા પર આ સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં મધુવન ગાજરની જાત સૌથી શ્રેષ્ઠ ગાજરની જાત તરીકે પસંદ થઈ હતી, આ શ્રેષ્ઠ ગાજરની જાત તરીકે પસંદગી થવા પાછળનું કારણ એ હતું કે તેમાં બીટા કેરોટીન નું પ્રમાણ 277.75 મીલીગ્રામ પ્રતિ કિલો હતું અને આર્યનનું પ્રમાણ 270 મીલીગ્રામ પ્રતિ કિલો હતું જે પ્રમાણ ભારતમાં થતી અન્ય ગાજરની જાતોમાં ન હતું મધુવન ગાજરની આજ ન્યુટ્રીશન વેલ્યુને કારણે તેની શ્રેષ્ઠ ગાજર તરીકેની પસંદગી થઈ. વર્ષ 2019 માં શ્રેષ્ઠ ન્યુટ્રીશન ધરાવતાં મધુવન ગાજરની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવી અને શ્રેષ્ઠ ગાજરના ઉત્પાદન માટે વર્ષ 2019 માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વલ્લભભાઈને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા. દેશના સર્વશ્રેષ્ઠ સન્માનની પ્રાપ્તિ થયા બાદ જાણે જીવનનો ધ્યેય પૂર્ણ થઈ ગયો હોય તેમ વર્ષ 2020 માં 8 નવેમ્બરના રોજ વલ્લભભાઈનું અવસાન થયું.અને છોડી ગયા ગાજરની એક વૈભવી પરંપરા.
મધુવન ગાજરનું બીજ હવે પેટન્ટ થવા જઈ રહ્યું છે
ગાજરને પશુ આહાર માંથી શાકભાજી નો દરજ્જો અપાવનાર પિતા વલ્લભભાઈએ ગાજરને લીધે દેશનું સર્વશ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત કર્યું સાથે પુત્ર અરવિંદભાઈ પિતાના ગાજરના વારસાને વધુ વેગવંતો બનાવી નવી ઉંચાઈ પર લઈ ગયા, અરવિંદભાઈ જે ગાજર અને તેના બીજનું ઉત્પાદન કરે છે તે મધુવન નામથી પ્રસિધ્ધ છે, આ મધુવન નામથી તેઓ માર્કેટીંગ કરે છે અને આ મધુવન ગાજર અને મધુવન ગાજરનું બીજ હવે પેટન્ટ થવા જઈ રહ્યું છે.આ પેટન્ટ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જરૂરી પ્રક્રિયા અને ભલામણો હાથ ધરવામાં આવી છે અને ટુંક સમયમાં આ પેટન્ટ જાહેર થશે, ભારતમાં હાલ ગાજરની કોઈ પેટન્ટ છે જ નહીં,  એટલે મધુવન ગાજર ભારતની પ્રથમ ગાજર પેટન્ટ બનવા જઈ રહી છે. જે એક વિક્રમ થશે.
આવો થોડું ગાજરની ખેતી વિશે જાણીએ...
  • ચોમાસું પૂરૂં થતાં ગાજરનું વાવેતર શરૂ થાય છે અને ફેબ્રુઆરી સુધી તેનું વાવેતર કરી શકાય છે
  • ગાજરની ખેતી ત્રણ પધ્ધતિથી કરી શકાય છે
  • પરંપરાગત ક્યારા પધ્ધતિ, મલ્ચીંગ પધ્ધતિ અને મલ્ચીંગ સાથે ડ્રીપ પધ્ધતિ
  • 100 દિવસમાં ગાજરનો પાક તૈયાર થઈ જાય છે
  • એક વિઘે 10 થી 15 હજારનો ખર્ચ આવે છે
  • એક વિઘે 400 થી 450 મણ એટલે કે 8 થી 10 ટનનું ઉત્પાદન મળે છે
  • બજારમાં 5 થી 25 રૂપીયા પ્રતિ કિલોના ભાવે ગાજર વેચાય છે
  • એટલે કે એક વિઘે 50 થી 70 હજારની કમાણી થાય છે
  • ગાજરમાં ખાસ કોઈ રોગ આવતાં નથી તેથી દવા કેમિકલની જરૂર નથી
  • આમ કુદરતી રીતે જ 8 થી 18 ઈંચ સુધીની લંબાઈના ગાજરનું ઉત્પાદન થાય છે.
મલ્ચીંગ અને ડ્રીપ કરવામાં આવે તો ઉત્પાદનમાં 25 થી 30 ટકાનો વધારો મેળવી શકાય
પરંપરાગત ક્યારા પધ્ધતિથી ગાજરનું જે ઉત્પાદન મળે છે તેમાં જો મલ્ચીંગ અને ડ્રીપ કરવામાં આવે તો ઉત્પાદનમાં 25 થી 30 ટકાનો વધારો મેળવી શકાય છે, કારણ કે ક્યારાની જગ્યા છોડવી પડતી નથી, ક્યારા નીકળી જાય તેથી વાવેતર વિસ્તાર વધી જાય અને સ્વાભાવિક રીતે ઉત્પાદન વધુ આવે છે. ડ્રીપ થી પાણી અને વીજળીનો બચાવ થાય છે, સાથે જરૂર પુરતુંજ પાણી મળી રહેતું હોય ગાજરની ગુણવત્તા પર સીધી અસર કરે છે અને ગાજરની ન્યુટ્રીશન વેલ્યુ વધે છે. મધુવન ગાજરની જૂનાગઢમાં તો માંગ છે જ પરંતુ તેનાથી વધુ તેની સુરતમાં જબરી માંગ છે.સુરતમાં વસતાં કાઠીયાવાડી લોકોમાં મધુવન ગાજરની જબરી માંગ છે, સુરતમાં જૂનાગઢના મધુવન ગાજર પ્રખ્યાત બન્યા છે, મધુવન ગાજરના ચાહકો જૂનાગઢ અરવિંદભાઈની વાડીએ થી જ ખરીદી કરી જાય છે. આપણે ત્યાં કહેવાય છે કે ભણતર સાથે ગણતર જરૂરી છે. અરવિંદભાઈ મારવણીયા માત્ર 9 ધોરણ સુધી ભણેલા છે પરંતુ જે કામ કૃષિ વૈજ્ઞાનિકો ન કરી શક્યા તે અરવિંદભાઈએ કરી બતાવ્યું છે. 
આ પણ વાંચો--દાંતાના ખાઈવાડ ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત એસટી બસ સેવા શરુ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CarrotCarrotFarmingGujaratFirstJunagadhProgressiveFarmer
Next Article