દિલ્હી કેપિટલ્સમાં 5 લોકોને કોરોના આવતા ખળભળાટ, BCCIએ કરવો પડ્યો મોટો નિર્ણય
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા
છે. દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહીં એક નહીં પરંતુ પાંચ
કોરોના કેસ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જે બાદ BCCIએ મોટો નિર્ણય લીધો છે. હવે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ
વચ્ચેની મેચ પૂણેને બદલે મુંબઈમાં રમાડવામાં આવશે. IPL દ્વારા જારી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હી
કેપિટલ્સના કુલ પાંચ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના કારણે મેચ પૂણેના બદલે મુંબઈમાં રમાડવાનો નિર્ણય લેવો પડ્યો
છે.
આ લોકોને કોરોના થયો
1. મિશેલ માર્શ (ખેલાડી)
2. પેટ્રિક ફરહાર્ટ (ફિઝિયો)
3. ચેતન કુમાર (મસાજ થેરાપિસ્ટ)
4. અભિજિત સાલ્વી (ડૉક્ટર)
5. આકાશ માને (સોશિયલ મીડિયા ટીમ)
મળતી માહિતી મુજબ કોરોનાના કેસ આવ્યા બાદ દરેકને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આઇસોલેશનના છઠ્ઠા અને સાતમા દિવસે દરેકની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. 16 એપ્રિલથી દિલ્હી કેપિટલ્સના સમગ્ર કેમ્પમાં દરરોજ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ચોથા
રાઉન્ડનો ટેસ્ટ જે 19 એપ્રિલે કરવામાં આવ્યો હતો. તે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 20 એપ્રિલે સવારે આખી ટીમનું પરીક્ષણ પણ કરવામાં આવશે.
દિલ્હી ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં
કહ્યું હતું કે, દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર મિશેલ
માર્શનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે તેને હોસ્પિટલમાં દાખલ
કરવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સની તબીબી ટીમ માર્શની
સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. હજુ પણ કામ બાયો-બબલમાં હાજર કેટલાક વધુ સભ્યો
(સપોર્ટ સ્ટાફ)નો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જો કે તેઓમાં કોરોના વાયરસના કોઈ લક્ષણો દેખાતા નથી અને મેડિકલ ટીમ
તેમના પર ઝીણવટભરી નજર રાખી રહી છે. કોવિડ કેસ મળ્યા પછી દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓ ક્વોરેન્ટાઇનમાં ગયા. ટીમને
મુંબઈમાં તાલીમ લેવા માટે કહેવામાં આવ્યું છે. BCCI એ પણ નથી ઈચ્છતું કે ખેલાડીઓ પુણે જાય જેથી કરીને ત્યાં વધુ
બાયો-બબલ ભંગ ન થાય. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ ટીમના તમામ સભ્યોની મંગળવારે સવારે કોવિડ -19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેના પરિણામો આવવાના બાકી છે.
બીસીસીઆઈની મુશ્કેલીઓ વધી શકે છે
IPL 2021 કોરોના મહામારીને કારણે ખૂબ પ્રભાવિત
થયું હતું. પછી 4 મે 2021 ના રોજ, આઇપીએલને અધવચ્ચે સ્થગિત કરવી પડી.
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના વિકેટ-કીપર બેટ્સમેન રિદ્ધિમાન
સાહા અને દિલ્હી કેપિટલ્સના સ્પિનર અમિત મિશ્રાએ કોવિડ-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. કોરોનાના
પગલે આઈપીએલ મુલતવી રાખવામાં આવી ત્યાં સુધી કુલ 29 લીગ મેચો યોજાઈ હતી. હવે વર્તમાન પરિસ્થિતિને જોતા BCCIની મુશ્કેલીઓ ફરી વધી શકે છે.