નર્મદા નદી ઉપર માલસર પાસે રૂ.225 કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજનું PM મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ
અહેવાલ - પીન્ટુ પટેલ
વડોદરા જિલ્લાને બે જિલ્લા, ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડતા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ ઉપર નર્મદા નદી ઉપર રૂ. 225 કરોડના ખર્ચથી નિર્માણ પામેલા પૂલનું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુરના બોડેલી ખાતેથી ઈ-લોકાર્પણ કર્યુ હતું . આ બ્રિજ બનતા વડોદરાથી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડ, મહારાષ્ટ્ર જવા માટે 20 કિલોમિટરનું અંતર ઓછું થઇ ગયું છે. આ પુલ બનવાથી બીજો મોટો લાભ થશે કે, કપરા ચઢાણ, ડુંગરાળ વિસ્તારનો માર્ગ એક તરફ થઇ જશે અને વાહનચાલકોને મોટી રાહત થશે.
નર્મદા નદી ઉપર સૌથી લાંબો બ્રીજ
એક રસપ્રદ વાત એ પણ છે કે, છેક મધ્યપ્રદેશના અમરકંટકથી પ્રગટી ખંભાતની ખાડીમાં અરબ સાગરને મળતાં માં નર્મદાના 1312 કિલોમિટરના લાંબા પ્રવાહના ઉપરથી વાહનો પસાર કરવા માટે અત્યાર સુધી કૂલ ૫૫ બ્રિજ બનાવવામાં આવ્યા છે. તેમાં આ વડોદરા જિલ્લાના માલસરમ પાસે વડોદરા માર્ગ અને મકાન વિભાગ (ગ્રામ્ય) દ્વારા નિર્માણાધિન આ પુલ 1312 કિલોમિટર લાંબી નદી ઉપર બાંધવામાં આવેલો 56-મો બ્રિજ બન્યો છે. નર્મદા નદી ઉપર મહત્તમ પૂલ મધ્યપ્રદેશમાં છે.
બ્રીજને માધવ સેતુ નામ આપવામાં આવ્યું
આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે યોજાયેલ કાર્યક્રમમાંથી નર્મદા ઉપરનાં સૌથી લાંબા બ્રીજનું નામાંકરણ અને ઈ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સહિતનાં વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં અને આ બ્રિજનું નામ શ્રી માધવસેતુ આપવામાં આવ્યું હતું.
બ્રિજ સ્ટ્રક્ચર વિષે કાર્યપાલક ઈજનેરે આપી ખાસ માહિતી
સ્કવેર ટાઇપ આ બ્રિજની માહિતી આપતા કાર્યપાલક ઇજનેર કમલેશ થોરાટે કહ્યું કે, ડભોઇ, શિનોર, માલસર અને અસા તરફનાં રાજય ધૈરીમાર્ગ ઉપર નર્મદા નદી પર પીએસસી ગર્ડર ડેક પૂલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી,જેથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનાં હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ બ્રિજ માટે 16 પિલ્લર બનાવવામાં આવ્યા છે. રૂ. 225 કરોડના ખર્ચથી બનેલા આ પુલ માટે કુલ 12 હજાર ટન વિવિધ પ્રકારનું લોખંડ વાપરવામાં આવ્યું છે. એટલું જ નહીં, બ્રિજ બનાવવા માટે 20 હજાર ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજ કૂલ 3.5 કિલોમિટરની લંબાઇ અને 16 મિટરની પહોળાઇ ધરાવતા આ બ્રિજનો 900 મિટરનો હિસ્સો નદી ઉપરથી પસાર થયો છે. બાકી અસા તરફ 600 મિટર અને માલસર તરફ ૨ કિલોમિટરનો ભાગ છે.