VADODARA : ફાયર સ્ટેશનમાં પડેલી દોઢ ડઝન જેટલી બોટ પૂર સમયે પડી રહી !
VADODARA : વડોદરા (VADODARA) ના સૌથી મોટા ગણાતા દરજીપુરા ફાયર સ્ટેશનમાં આશરે દોઢ ડઝન જેટલી સ્પીડ તથા વિવિધ પ્રકારની બોટ ઘૂળ ખાઇ રહી છે. ત્યારે આ બોટનો ઉપયોગ શહેરમાં પૂરની સ્થિતી સમયે કેમ કરવામાં ન આવ્યો તેવા સવાલો હવે ઉઠવા પામ્યા છે. જો અહિંયા સાચવીને મુકી રાખવામાં આવેલી આશરે દોઢ ડઝન જેટલી સ્પીડ તથા વિવિધ પ્રકારની બોટનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો હોત તો, અસંખ્ય લોકો સુધી સમયસર મદદ પહોંચાડી શકાઇ હોત. આ વાતને લઇને સત્તાધીશો દ્વારા મનોમંથન કરીને ભવિષ્યમાં જ્યારે શહેર પૂરની પરિસ્થિતીમાં પસાર થાય તો, આ બોટ શહેરવાસીઓને અસરકારક રીતે કામ કઇ રીતે લાગી શકે તે દિશામાં આગળ વધવું જોઇએ.
શહેરમાં આર્મી, એનડીઆરએફ-એસડીઆરએફની વધુ ટુકડીઓ તૈનાત
વડોદરા શહેર ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી પસાર થઇ રહ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પાણી છેલ્લા ત્રણ દિવસથી ભયજનક સપાટી પરથી નીચે ઉતરવાનું નામ નથી લઇ રહ્યા. ત્યારે પાણી ભરાયેલા હોવાની સ્થિતીમાં લોકોને મદદ પહોંચાડવા તથા રેસ્ક્યૂ કરવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ તથા વડોદરા ફાયર વિભાગ દ્વારા બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડોદરાની સ્થિતી વણસતા ગતરોજ આર્મીની વધુ કોલમ તથા એનડીઆરએફ-એસડીઆરએફની વધુ ટુકડીઓ શહેરમાં તૈનાત કરવામાં આવી છે. તેવામાં એક આશ્ચર્યજનક હકીકત સામે આવવા પામી છે.
શું તંત્ર પોતાની પાસે જ આટલી મોટી સંખ્યામાં બોટ હોવાની વાતથી અજાણ હતું ?
વડોદરાના સૌથી મોટા દરજીપુરા ફાયર સ્ટેશનમાં દોઢ ડઝન જેટલી સ્પીડ તથા અન્ય વિવિધ પ્રકારની બોટ ઘૂળ ખાતી જોવા મળી રહી છે. વડોદરા પાલિકા પાસે આટલી મોટી સંખ્યામાં બોટ ઉપલબ્ધ હોય, ત્યારે તેનો પૂરની સ્થિતીમાં લોકોની મદદ માટે કેમ ઉપયોગ કરવામાં ન આવ્યો તેવા સવાલો હવે ઉઠવા પામ્યા છે. શું તંત્ર પોતાની પાસે જ આટલી મોટી સંખ્યામાં બોટ હોવાની વાતથી અજાણ હતું ?, કે પછી આ બોટ ઉપયોગમાં લેવાય તેવી પરિસ્થિતીમાં નથી ?, અને જો બોટ બિનઉપયોગી હોય તો તેને કેમ સાચવી રાખવામાં આવી છે ? તથા જો આ બોટ રીપેરીંગ માંગે તેવી હોય તો, તેની જવાબદારી પણ પાલિકાની જ બને છે ! તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
ડિપાર્ટમેન્ટના પ્રશ્નો પણ સત્વરે દુર થવા જોઇએ
તો બીજી તરફ એ વાત પણ સ્વિકારવી રહી કે, વડોદરા પાલિકાના અન્ય વિભાગોની જેમ ફાયર વિભાગમાં પણ કર્મચારીઓની ઘટ છે. ઓછા સ્ટાફમાં ફાયર ડિપાર્ટમેન્ટ આગ, અકસ્માત, કુદરતી આપત્તી જેવી અનેક પડકારનજક પરિસ્થિતીમાં લોકોની મદદે આવે છે. ત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ પણ આગામી દિવસોમાં વધુ અસરકારક રીતે કામ કરી શકે તે માટે ડિપાર્ટમેન્ટના પ્રશ્નો પણ સત્વરે દુર થવા જોઇએ તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.
આ પણ વાંચો -- Gujarat Govt: સરકારના ભ્રષ્ટ અધિકારીઓ સામે સફાઈ અભિયાન યથાવત