VADODARA : પડીકીના પૈસાની લાલચે શખ્સે ભગવાનને પણ ના છોડ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં ગણોશોત્સવની ભાવપૂર્ણ ઉજવણી વચ્ચે ગણેશભક્તોમાં રોષની લાગણી વ્યાપી જાય તેવી ઘટના ગતરોજ સામે આવી છે. જેમાં એકથી વધુ ગણેશ મંડળમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિ ક્ષતિગ્રસ્ત કરવામાં આવી હોવાનું સામે આવતા જ પોલીસે સઘન તપાસ આદરી હતી. આ તપાસમાં એક જ શખ્સ દ્વારા પૈસાની લાલચમાં ગણેશ પંડાલમાં જઇને મૂર્તિ આઘીપાછી કરતા તે ક્ષતિગ્રસ્ત થઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે આરોપી યુવકની અટકાયત કરીને તેની પાસેથી પૈસા તથા ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સીસીટીવી ફૂટેજીસના આધારે તપાસ
સમગ્ર મામલાને લઇને એસીપી રાઠવા જણાવે છે કે, રાવપુરા પોલીસ મથકમાં બપોરે 2 વાગ્યે, ખાડીયાપોળ યુવક મંડળના યુવકો ફરિયાદ માટે આવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, ખાડીયાપોળ યુવક મંડળના ગણેશજી બેસાડવામાં આવ્યા છે. તેની મૂર્તિ ખંડિત થઇ છે. ત્યાર બાદ તુરંત ડી સ્ટાફની ટીમને રવાના કરવામાં આવી હતી. તપાસ કરતા ધ્યાને આવ્યું કે, આ પ્રકારનો બનાવ જય રણછોડ યુવક મંડળ - દાંડીયાબજાર અને પ્રગતિ યુવક મંડળ - દાંડીયાબજાર માં પણ બન્યો છે. જે બાદ સીસીટીવી ફૂટેજીસના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી.
મૂર્તિ ઉંચી-નીચી કરતા ખંડિત થઇ
વધુમાં જણાવ્યું કે, જયરત્ન ચાર રસ્તા પાસેથી યુવકના ફોટો મળી આવ્યા હતા. તેની શોધખોળ કરતા કૃણાલ ગોદડીયા (રહે. ગોદડીયાવાસ, નવાપુરા) ની ધરપકડ કરવામાં આવી હતી. તેને પોલીસ સ્ટેશન લાવીને તેની તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવકના માતા-પિતા નથી. તેની દાદી સાથે નવાપુરામાં રહે છે. તેને પડીકી ખાવાની ટેવ હતી. પડીકી ખાવાના પૈસા માટે તે ગણેશજીના પંડાલમાં પ્રવેશતો હતો. તે સૌ પ્રથમ ખાડીયાપોળમાં ગયો હતો. ત્યાં તેને પૈસા મળ્યા ન્હતા. ત્યાર બાદ તેને એમ કે મૂર્તિ નીચે પૈસા હશે. તેમ વિચારીને તેણે મૂર્તિ ઉંચી-નીચી કરતા મૂર્તિ ખંડિત થઇ હતી. ત્યાં તેને રૂ. 25 મળ્યું હતું. ત્યાંથી આગળ જઇને તેણે જય રણછોડ યુવક મંડળ - દાંડીયાબજાર ના ગણેશ પંડાલમાં પહોંચ્યો હતો. આ પંડાલમાં ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિ મુકવામાં આવી છે. ત્યાં જઇને તેણે તે રીતે હરકત કરતા મૂર્તિ ખંડિત થઇ હતી.
ધાર્મિક લાગણી દુભાય તેવો તેનો ઇરાદો જણાઇ આવ્યો નથી
તેમણે ઉમેર્યું કે, તે બાદ તે પ્રગતિ યુવક મંડળ - દાંડીયાબજારના ગણેશજીના પંડાલમાં ગયો હતો. ત્યાં તેને કંઇ મળી ન આવતા તેણે ત્રણ તાંબાના લોટા ચોર્યા હતા. એટલે આ સમગ્ર બનાવ નાસમજ યુવકને પડીકી ખાવાની ટેવવાળો હોવાથી, અને આમ કરવાથી પૈસા મળશે, તેમ માનીને તથા યુવક માનસિક રીતે અસ્થિર હોય તેમ પણ જણાઇ આવે છે. આ કૃત્ય કરવા પાછળ મૂર્તિ ખંડિત કરીને કોઇની ધાર્મિક લાગણી દુભાય તેવો તેનો ઇરાદો જણાઇ આવ્યો નથી. પરંતું તેને પૈસા જોઇતા હતા, અને પૈસા માટે તેણે મૂર્તિને ખસેડતા તે ખંડિત થઇ હોવાનું જણાઇ આવે છે. પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. અને તેણે જે તે જગ્યાએ ચોરી કરી છે, અને નુકશાન પહોંચાડ્યું છે, તેની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેની પાસેથી પૈસા રીકવર કરવામાં આવ્યા છે. તાંબાના લોટા તેણે નાળામાં નાંખી દીધા હતા. જેને રીકવર કરી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો -- Surat : ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- ગમે એવા તાળા લગાવશે, બચી નહીં શકે..! આરોપીઓનાં હાલ બેહાલ, જુઓ Video