VADODARA : પૂરથી બચવાનો જુનો પ્લાન સપાટી પર આવ્યો, જાણો કયા ઉપાયો સૂચવ્યા
VADODARA : વડોદરા (VADODARA) ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર નિકળી રહ્યું છે. ત્યારે વડોદરાવાસીઓમાં પૂર બાદથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને પાલિકા તંત્ર દ્વારા પૂરને નાથવા માટે નક્કર પગલાં લેવા જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે સોશિયલ મીડિયામાં શહેરને પૂરથી બચાવવા માટેનો પ્લાન સામે આવ્યો છે. ગુજરાત રાજ્ય જમીન વિકાસ લિમિટેડના પૂર્વ સંયુક્ત નિયામક પી. એચ. વ્હોરાનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં તેઓ આજવા સરોવરના પાણી સીધા જ અન્યત્રે ડાયવર્ટ કરવા સહીતની વાતો પર ભાર મુકી રહ્યા છે. જો પૂરથી બચવા માટેના ઉપાયોમાં વિલંબ કરવામાં આવે તો મોરબી-મચ્છુ ડેમની હોનારતને ભુલાવે તેવી હોનારત થવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
2014 માં રિપોર્ટ વડોદરા પાલિકા અને શહેરના પૂર્વ ધારાસભ્યને સોંપવામાં આવ્યો
વડોદરાએ ક્યારે ન જોયું હોય તેવા પૂરનો સામનો કર્યો છે. પૂરના પાણી જે વિસ્તારોમાં ક્યારે પહોંચ્યા ન્હતા, ત્યાં પણ પહોંચ્યા છે. વિશ્વામિત્રીના પાણીનો નિકાલ કરતી કાંસ, તથા અન્ય જળાશયો પર દબાણ કરવામાં આવ્યા હોવાની વાત હાલ શહેરવાસીઓના મોઢે છે. ત્યારે વડોદરાને પૂરથી બચાવવા માટે ગુજરાત રાજ્ય જમીન વિકાસ લિમિટેડના પૂર્વ સંયુક્ત નિયામક પી. એચ. વ્હોરાનો રિપોર્ટ હાલ સામે આવ્યો છે. વર્ષ 2014 માં આ રિપોર્ટ વડોદરા પાલિકા અને શહેરના પૂર્વ ધારાસભ્યને સોંપવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અંગે પી એચ વ્હોરાના પૂત્ર નિરવ પટેલે કહ્યું, મારા પિતાએ આપેલ રિપોર્ટનું અમલીકરણ થાય તો વડોદરાને પૂરથી બચાવી શકાય.
અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા
વડોદરા શહેરના પૂરની તારાજી - ભવિષ્યનું આયોજન (2014) શિર્ષક હેઠળ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આજવા સરોવરના વધારાના ઉપરવાસના પાણીને મહીસાગર નદીમાં વાળવું, આજવા સરોવરના માટીના બંધની મજબુતાઇ અને મરામત, પ્રતાપપુરા તળાવ, ડેમના પાળા અને દરવાજાના મરામતમાં નિષ્કાળજી, વોર્ડ ઓફિસોમાં કાયમી બેન્ચમાર્ક અને પ્લીન્થની ઉંચાઇ, નદીથી સલામત અંતરે બેઝમેન્ટનું બાંધકામ અને તેની પેરાપીટની દિવાલ, કુદરતી પાણીના નિહારની વ્યવસ્થા, વહીવટી અને નાગરિકોની શિષ્ટ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
અલાયદી કેનાલ બનાવવા અંગેની વિચારણા વ્યક્ત
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આજવા સરોવરની સપાટી 212 ફૂટ જાય ત્યારે તેના પાણીના નિકાલ માટે અલાયદી આજવા-મહી નદી બાયપાસ કેનાલ સુચિત કરવામાં આવી છે. જેથી આજવા સરોવરનું વધારાનું પાણી વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પ્રવેશતા અટકાવી શકાય. જો કે, તાજેતરમાં વડોદરામાં આવેલા ઐતિહાસીક પૂર બાદ શહેરની મુલાકાતે આવેલા મંત્રીઓ દ્વારા પણ આ પ્રકારે અલાયદી કેનાલ બનાવવા અંગેની વિચારણા વ્યક્ત કરવામાં આવી છે.
કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યું હતું
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ભૂતકાળમાં જૂલાઇ - 1927 માં શહેરમાં 90 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે પૂર આવ્યું હતું. જેને ઘોડાપૂર તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત વડોદરામાં વર્ષ 1974, 1976, 1994, અને વર્ષ 2014 માં પૂરની સ્થિતી સર્જાઇ હતી. જેમાં કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યું હતું. જો પૂરથી બચવા માટેના ઉપાયોમાં વિલંબ કરવામાં આવે તો મોરબી-મચ્છુ ડેમની હોનારતને ભુલાવે તેવી હોનારત થવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : કાંસ પરના દબાણોનો સરવે કરાશે, રાજકીય સર્વાનુમતિથી કાર્યવાહી