ગુજરાતમાં લાગુ થશે UCC, સરકાર કરશે કમિટીની જાહેરાત
- ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગેની તૈયારીઓ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે પ્રેસ કોન્ફરન્સ
- ગાંધીનગરમાં બપોરે 12.15 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે
- ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ રહેશે હાજર
- વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે કરી હતી જાહેરાત
- દેશમાં ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ
Uniform Civil Code : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે મહત્વની જાહેરાત થવાની તૈયારીઓ થઇ રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ગાંધીનગરમાં બપોરે 12:15 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજશે. આ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહેશે. વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત કરી હતી, જે ગુજરાતમાં રાજકીય અને સામાજિક સ્તરે મહત્વનો મુદ્દો બન્યો છે.
ગુજરાતમાં યુનિફોર્મ સિવીલ કોડ માટે ખાસ કમિટીની રચના
ગુજરાતમાં યુનિફોર્મ સિવીલ કોડના અમલીકરણની ચર્ચાએ હાલમાં જોર પકડ્યું છે.મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારએ પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક વિશેષ કમિટીની રચના કરવાની યોજના બનાવી છે. આ કમિટી રાજ્ય સરકારને યુનિફોર્મ સિવીલ કોડના અમલીકરણ પર પોતાનો વિશ્લેષણાત્મક રિપોર્ટ પ્રસ્તુત કરશે. રિપોર્ટની સામે રાજ્ય સરકારની આગળની પ્રક્રિયાની યોજના પર વિચાર કરવામાં આવશે, જે બાદ કોડના અમલીકરણ માટે પગલાં લેવા પર મંત્રીમંડળ નિર્ણય લેશે. આજે બપોરે 12:15 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ગુજરાતમાં પત્રકારોને સંબોધન કરવા માટે એક સંયુક્ત મીડિયા બ્રિફીંગ કરશે. આ સાથે, પત્રકાર પરિષદને એક સાથે સંબોધવાનું ઘણા સમય પછી ગુજરાતમાં થઈ રહ્યું છે.
UCC એટલે શું?
UCC એટલે સમાન નાગરિક સંહિતા. જેને આપણે સરળ શબ્દોમાં કહીએ તો, એક દેશ - એક કાયદો. ભારતમાં તમામ નાગરિકો માટે એકસરખો કાયદો હોવો જોઈએ, પછી ભલે તેમનો ધર્મ કે જાતિ કોઈ પણ હોય. હાલમાં વિવિધ ધર્મો માટે લગ્ન, છૂટાછેડા, દત્તક લેવવાના નિયમો, વારસો અને મિલકત સંબંધિત અલગ-અલગ કાયદા છે. જો સમાન નાગરિક સંહિતા (UCC) અમલમાં આવશે, તો આ તમામ બાબતો માટે એક જ કાયદો રહેશે. નોંધનીય છે કે UCC ભારતના બંધારણના અનુચ્છેદ 44 નો ભાગ છે અને રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં તેનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સરકારની જવાબદારી તરીકે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કહેવામાં આવી છે.
UCC ની શું અસર થશે?
લગ્ન: હિન્દુ-શીખ-ખ્રિસ્તી-બૌદ્ધ-પારસી અને જૈન ધર્મોમાં ફક્ત એક જ લગ્નની મંજૂરી છે. જો કોઈ વ્યક્તિ તેની પહેલી પત્ની કે પતિથી છૂટાછેડા લીધેલ હોય તો જ તે બીજી વાર લગ્ન કરી શકે છે. પરંતુ મુસ્લિમોમાં, પુરુષોને 4 વાર લગ્ન કરવાની છૂટ છે. UCC ના આગમન સાથે, એકથી વધુ પત્ની પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
છૂટાછેડા/તલાક: હિન્દુ ધર્મ સહિત ઘણા ધર્મોમાં છૂટાછેડા અંગે અલગ અલગ નિયમો છે. છૂટાછેડા માટેના આધાર અલગ અલગ છે. છૂટાછેડા મેળવવા માટે, હિન્દુઓએ 6 મહિના અલગ રહેવું પડે છે અને ખ્રિસ્તીઓએ 2 વર્ષ અલગ રહેવું પડે છે. પરંતુ મુસ્લિમોમાં છૂટાછેડા માટે અલગ નિયમો છે. આ બધું UCC ના આગમન સાથે સમાપ્ત થશે.
દેશમાં સૌપ્રથમ ઉત્તરાખંડ સરકારે UCC અમલમાં મૂક્યો
ઉલ્લેખનીય છે કે દેશમાં સૌપ્રથમ ઉત્તરાખંડ સરકારે UCC અમલમાં મૂક્યો હતો, જે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યું છે. હવે ગુજરાતમાં પણ UCC અમલ માટે તજવીજ શરૂ થઈ હોવાની આશા છે, જે રાજ્યના નાગરિકો માટે નવું પરિવર્તન લાવી શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો : યુનિફોર્મ સિવિલ કોડ શું છે? જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી