ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદી કચરાને કારણે ગંદા પાણીના નાળા સમાન બની
અહેવાલઃ નામદેવ પાટિલ, પંમમહાલ
ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદીની સફાઈ કરવા સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે, જો ચોમાસા પૂર્વે મેશરી નદીની સફાઈ નહીં કરવામાં આવે તો નદી કિનારે આવેલા રહેણાંક વિસ્તારોમાં નદીનું વરસાદી પાણી ઘૂસી જવા ની દહેશત વ્યાપી ગઈ છે, ઉલ્લેખનીય છે કે ગોધરા શહેરમાં આવેલા વ્હોરવાડ કોઝ વે પાસે આડેધડ નદીમાં કચરો ઠાલવામાં આવી રહ્યો છે, જેને લઇ હાલ મેસરી નદી આ વિસ્તારમાં જમીન લેવલે થઈ જવા ઉપરાંત પાણીનો નિકાલ માર્ગ અટકી ગયો છે, વર્ષ ૨૦૧૬ માં મેસરી નદીમાં પુર ની સ્થિતિ સર્જાઈ હતી દરમિયાન નદી કાંઠાના રહીશોને ભારે નુકશાન વેઠવા ઉપરાંત હાલાકી ભોગવવી પડી હતી, હાલ નદીમાં થતાં આડેધડ માટી પુરાણ અને કચરો ઠાલવતા અટકાવવામાં તંત્ર નિષ્ફળ રહેતાં અહીંના સ્થાનિક રહીશો અને અગ્રણીઓ સરકાર અહીં પ્લોટીંગ કરશે કે શું જેવા માર્મિક ચાબખા પણ વીંઝી રહ્યા છે.
પંચમહાલ જિલ્લાની મેસરા નદી કે જેને મુખ્ય મથક ગોધરાની જીવા દોરી અને ગોધરા શહેર અને જિલ્લાની આન બાણ અને શાન સમાન ગણવામાં આવે છે, ગોધરા શહેર સહિત જિલ્લામાંથી પસાર થતી મેસરી નદીની છેલ્લા ઘણા વર્ષોથી દુર્દશા થઈ રહી છે છતાં આજ દિન સુધી તંત્રના પેટના પેટનું પાણી હલતું નથી, ગોધરાની મધ્યથી પસાર થતી મેશરી નદીની જેની હાલત જોઈ તમે પણ ચોકી જશો, આ કોઈ સુંદર રડીયામણી નદી મટીને જાણે કે, કોઈ સાંકડું અને ગંદુ પાણીનું નાળું બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
ગોધરા શહેરમાંથી પસાર થતી અને જિલ્લાના અનેક ગામડાઓમાંથી પસાર થતી મેસરી નદીની હાલત દયનિય બની છે, મેસરી નદીની હાલત યોગ્ય જાળવણીના અભાવે દિનપ્રતિદિન મૃત:પાય અવસ્થામાં ફેરવાઈ રહી છે, નદીમાં દુષિત પાણી અને કચરો હાલ ઠાલવવામાં આવી રહ્યો છે, જેને લઈ મચ્છરો નો ખુબ જ ઉપદ્રવ થઈ રહ્યો જેની સીધી અસર નદી કાંઠે વસવાટ કરતાં રહીશોના સ્વાસ્થ્ય ઉપર જોવા મળી રહી છે, એક તબક્કે બે કાંઠે વહેતી નદી માં હાલ તો ગટરના પાણી વહેતા જોવા મળી રહ્યા છે જેના કારણે આ મેસરી નદી હાલ ગટરના ગંદા પાણીથી ખદબદી રહી છે, તેમજ મેસરી નદી ની સફાઈ અને જાળવણી કરવા સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓ માં માંગ ઉઠી છે, નદી માં યોગ્ય સ્થળે ચેકડેમ બનાવી શુદ્ધ પાણીનો પ્રવાહ સતત વહેતો રહે અને બંને કાંઠે વોક વે બનાવવામાં આવે એવી પણ માંગ ઉઠવા પામી છે.
એક સમયે ગોધરા શહેરની શાન કહેવાતી મેસરી નદી હાલ જાળવણીના અભાવે દિન પ્રતિદિન મૃતપ્રાય અવસ્થામાં ફેરવાઈ રહી છે, નદીની કોઈપણ પ્રકારની જાળવણી કરવામાં આવતી નથી કે દેખરેખ રાખવામાં આવતી નથી જેથી કચરો ઠાલવવાવાળાને છૂટો દોર મળી ગયો હોય એવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે, ગોધરા શહેરના વ્હોર વાડ વિસ્તાર પાસે નદીમાં આડેધડ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે જેના કારણે આ વિસ્તારમાં નદીના પાણીનું વહેણ રોકાઈ ગયું છે, જેથી ચોમાસામાં અહી કોઝ વે ઉપર પાણી ફરી વળતો હોય છે અને તંત્રને સામાન્ય વરસાદમાં પણ આ માર્ગ બંધ કરવાની ફરજ પડતી હોય છે, આ ઉપરાંત નદીમાં સતત વરસાદી વાતાવરણ દરમિયાન પાણીનું વહન વધતા જ કૂબા મસ્જિદ, નવા બહારપુરા અને સાતપુલના રહેણાંક વિસ્તારમાં નદીનું પાણી ઘુસી જતુ હોય છે, જેથી વિસ્તારના રહીશોની હાલત કફોડી બનતી હોય છે, સ્થાનિક રહીશો અને અગ્રણીઓ દ્વારા આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પગલાં ભરવામાં આવ્યા નથી જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગોધરા શહેરમાંથી પસાર થતી મેશરી નદી અંગે અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે, અગાઉ નદી રમણીય વાતાવરણ અને અંદાજિત ૧૦ ફૂટ ઊંડાઈ ધરાવતી હતી જે હાલ લુપ્ત થઈ રહી છે, જેનું કારણ અંદર ઠાલવવામાં આવતો કચરો છે, આ કચરાના બાબતે અહીંના સ્થાનિક અગ્રણીઓ આક્ષેપ કરી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા જ તોડવામાં આવતા માર્ગો સહિતનો કચરો પણ અહીં ઠાલવવામાં આવી રહ્યો છે, જેથી વ્હોર વાડ કોઝવે પાસે સીસીટીવી કેમેરા સિસ્ટમ બેસાડવામાં આવે તો કચરો કોના દ્વારા ઠાલવી નદીને મૃતપ્રાય અવસ્થામાં ફેરવવામાં આવી રહી છે જેનું સત્ય બહાર આવી શકે એમ છે, ત્યારે જોવું રહ્યું કે સ્થાનિક તંત્ર નદીની જાળવણી માટે ક્યારે જાગશે અને આજુબાજુના રહીશોને દર ચોમાસામાં ભોગવવી પડતી હાલાકીમાંથી મુક્તિ અપાવશે.