પંચમહાલના કેન્દ્રીય બાગાયત કેન્દ્રના વૈજ્ઞાનિકોએ બાગાયતી બિલ્વફળની નવીન પ્રજાતી વિકસાવી સિદ્ધિ મેળવી
દેશભરમાં માત્ર ગુજરાતના પંચમહાલના વેજલપુર સ્થિત બાગાયત કેન્દ્રમાં આરોગ્યનું 'અમૃત ફળ' ગણાતા બિલ્વફળનું ઉત્પાદન અને સંશોધન ખૂબ જ સફળ કરવાની વૈજ્ઞાનિકોએ વર્ષ 2001થી મહેનત કરી અથાગ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.ખેડૂતોમાં બાગાયતી ખેતી માટે ઉત્તમ માનવામાં આવતું બિલ્વફળ ગરમીમાં આરોગ્ય માટે અમૃત ફળ સમાન હોવાનો પણ અહીંના સંશોધક વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે.હાલ સુધીમાં અહીં 6 પ્રકારના બિલ્વ ફળ અને અનેક શાકભાજીનું સંશોધન થઈ ચૂક્યું છે.ખેડૂતો માટે ઓછા ખર્ચ અને ઓછી માવજત સાથે સારી ઉપજ-આવક માટેની આ ઉત્તમ ખેતી માનવામાં આવે છે.
કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત બાગાયત કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક ડો. એ.કે સિંઘના સંશોધનના પરિપાક સ્વરૂપે હિન્દુ ધાર્મિક વૃક્ષ ગણાતા બિલી પર સંશોધન કરીને વિવિધ પ્રકારના બાગાયતી બિલ્વફળની જાત વિકસાવી છે.જેમાં એક બિલ્વ ફળની પ્રજાતિને કાલોલ તાલુકામાં વહેતી સ્થાનિક ગોમા નદીના નામ સ્વરૂપે 'ગોમાયશી' નામની એક જાતને બાગાયત કેન્દ્રના ફાર્મમાં વિકસાવતા પાછલા પાંચ છ વર્ષોના પરિપાક સ્વરૂપે સફળ ઉત્પાદન થતું હોવાની સિદ્ધિ મેળવી છે.
બાગાયત કેન્દ્રના ફાર્મમાં ગોમાયશી નામના આ બિલ્વ વૃક્ષનું સફળ ઉત્પાદન કરીને વૈજ્ઞાનિકોએ ખેડૂતોને બાગાયતી પાકના વાવેતર અને ઉત્પાદન માટે એક સફળ માર્ગદર્શન પૂરું પાડ્યું છે જે માટે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ બિલ્વ ફળનો બાગાયતી પાક એ પાણી વિહોણી પડતર કે સુષ્ક જમીનમાં પણ બાગાયતી બિલ્વના ફળોનું સફળતાપૂર્વક ઉત્પાદન અને વેચાણ કરીને સારી આવક મેળવી શકે છે તેવો મત વ્યકત કર્યો છે.
અત્રે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ બિલ્વ ફળ ગરમીની સિઝનમાં આરોગ્ય માટે અમૃત સમાન ગુણકારી હોવાથી બિલ્વ ફળમાંથી સરબત, મુરબ્બો સહિત આયુર્વેદિક દવાઓ માટે ઘણી ઉપયોગી હોવાથી બિલ્વફળોનું ભાવિ બાગાયતી પાકના નવા સોપાન સ્વરૂપે સારી આવક મેળવવા માટે આવકારદાયક રહેશે જેથી ખેડૂતોને બાગાયતી પાકની ખેતી અંગે માહિતી અને માર્ગદર્શન વૈજ્ઞાનિકો દ્વારા પુરી પાડવામાં આવે છે.