RAJPIPLA : પ્રસિદ્ધ માં હરસિધ્ધિ મંદિરે રાજપૂત સમાજ દ્વારા ભવ્ય તલવાર આરતી યોજાઇ
અહેવાલ - આશિષ પટેલ, રાજપીપળા
નવરાત્રીને માં શક્તિની આરાધનાનું પર્વ ગણવામાં આવે છે. આ નવરાત્રીમાં દરેક ભક્તો માં ની ઉપાસના પોતાની શક્તિ પ્રમાણે કરે છે. ત્યારે નર્મદાના રાજપીપળામાં આવેલા 423 વર્ષ પૌરાણિક હરસિધ્ધિ મંદિરે ભક્તો અનોખી રીતે મા ની પૂજા અર્ચના કરે છે. હરસિધ્ધિ માતાજી રાજપૂતોની કુળદેવી મનાય છે. આજે રાજપૂત સમાજ દ્વારા માં હરસિધ્ધિની તલવાર દ્વારા આરતી કરવામાં આવી હતી, જેને જોવા મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટ્યા હતા.
રાજપૂતોની કુળદેવી ગણાતી માં હરસિધ્ધિનું એક મંદિર ઉજ્જૈનમાં છે અને બીજું નર્મદાના રાજપીપળામાં. અહી માં હરસિદ્ધિની આરતી અનોખી રીતે કરવામાં આવે છે. અહીના 175 જેટલા યુવાનો છેલ્લા 9 વર્ષથી રાજ્પુતોના શૌર્ય સમી તલવારને બાઝીને આરતી કરે છે. આ આરતી લોકોમાં ઘણું આકર્ષણ જમાવે છે. માતાજીની આરતી અનોખી રીતે તલવારબાઝી થી થાય તે માટે 10 વર્ષના બાળક થી લઈને 40 વર્ષના યુવાનો એકી સાથે આરતીની ધૂનમાં તલવાર બાઝી કરે છે, ત્યારે એક અનોખું દ્રશ્ય સર્જાય છે.
સત્તત 1 કલાક અને 30 મિનીટ સુધી ચાલતી કુલ 3 આરતી માં 175 જેટલા યુવાનો એ સતત તલવાર બાઝી કરી માતાજીની અનોખી આરાધના કરે છે. જો કે તલવાર એ રાજપૂતો નું શસ્ત્ર ગણાય છે, પરંતુ આ શસ્ત્રને સમય આવે ત્યારે ક્ષત્રાણી પણ ચલાવી શકે છે. તે આશયથી અને સાથે જ આ શસ્ત્ર ચલાવી શકશે તેવી માતાની અનોખી શ્રદ્ધા સાથે આજે તલવાર આરતી કરવામાં આવી હતી. જોકે આ વર્ષે આ મહા તલવાર આરતીની વિશેષતા એ હતી કે માત્ર નર્મદા જ નહિ પણ પાડોશી જિલ્લાના રાજપૂત યુવાનોએ પણ આ તલવાર આરતીમાં ભાગ લીધો હતો.
જોકે આ તલવાર આરતીમાં જે તલવાર દ્વારા કરતબ કરવામાં આવે છે જેને જોતા એકવાર તો એવું લાગે કે જો સહજ નજર ચૂક થાય તો મોટી ઘટના ઘટી શકે પરંતુ આજે 10 વર્ષ થયાં અને આજ દિન સુધી કોઈને કોઈ ઇજા પણ થઈ નથી. એમ કહેવાય છે કે આ તલવાર આરતી કરતા યુવાનો સાથે માં હરસિદ્ધિની શક્તિ આવી જાય છે.
આ પણ વાંચો -- એરફોર્સ સ્ટેશન જામનગર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ના સૂત્ર સાથે સ્વચ્છ ભારતની ઝુંબેશ હાથ ધરાઇ