PANCHMAHAL : બદલાતા વાતાવરણની અસર મહુડાના ફૂલ પર થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ
PANCHMAHAL : પંચમહાલ ( PANCHMAHAL ) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં મહુડાના ફૂલ વીણી ખેડૂતો પ્રતિવર્ષ આવક મેળવતા હોય છે. મહુડા ફૂલ અને ડોળી આ બંને બાપદાદાની અને ખર્ચ કર્યા વગર આવક આપતો પાક છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં આવતા સતત બદલાવ ને કારણે મહુડા ફૂલ માંડ 20 થી 30 ટકા પણ ઉપજ થઈ નથી બીજી તરફ હાલ ભાવ પોષણક્ષમ છે. જ્યારે ગત વર્ષે આવક સારી હતી ત્યારે ભાવ પોષણક્ષમ નોહતા આ સર્જિત સ્થિતિ વચ્ચે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી દશા સતત બદલાતા વાતાવરણના કારણે થઈ છે.
સતત બદલાતા વાતાવરણની અસર મહુડા ઉપર થતાં ખેડૂતો ચિંતિત બન્યા
ખેડૂતોને ખાતર પાણી કે કોઈપણ પ્રકારની માવજત વગર આવક રળી આપતાં મહુડાના ફૂલને પણ આ વર્ષે સતત બદલાતા વાતાવરણની અસર વર્તાઈ છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ઔષધિય ગુણધર્મો ધરાવતા મહુડા ફૂલ અને ડોળીના ફળ મહુડાના વૃક્ષ ઉપર થતાં હોય છે. આ મહુડા ફૂલ માર્ચ અને એપ્રિલ માસમાં વીણી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો હજારો રૂપિયાની આવક રળી લેતા હોય છે. બાપદાદાએ ઉછેર કરેલા મહુડાના વૃક્ષ માંથી નીકળતા ફૂલ એ ખેડૂતો માટે આવક માટેના મોતી માનવામાં આવે છે.
વૃક્ષને નવા પાંદડા આવી જતા હવે મહુડા ફૂલ પડવાનું ઓછું થઈ ગયું
ખેડૂતો માર્ચ અને એપ્રિલ માસમાં રાત્રે ઉજાગરા કરી મહુડાના ફૂલ વહેલી સવાર સુધી વીણી એકત્રિત કરતાં હોય છે અને ત્યારબાદ સુકવણી કરી દુકાનમાં વેચાણ કરતાં હોય છે. આ વર્ષે મહુડા ફૂલની આવકમાં મોસમના સતત બદલાતા મિજાજની સીધી અસર જોવા મળી છે. માર્ચ માસમાં મહુડાના વૃક્ષ ઉપર ફૂલ માટે આવતાં હાથા ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી હતી પરંતુ ત્યારબાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જેની સીધી અસર મહુડા ફૂલ ઉપર થઈ હતી પ્રારંભિક તબક્કામાં સારા પ્રમાણમાં મહુડા ફૂલ પડયા હતા જેના બાદ અચાનક જ હાથા બળી જવા સાથે મહુડાના વૃક્ષને નવા પાંદડા આવી જતા હવે મહુડા ફૂલ પડવાનું ઓછું થઈ ગયું છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે માંડ 25 ટકા મહુડા ફૂલની આવક જોવા મળી છે એવી જ રીતે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને બમણા એટલે કે પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે ત્યારે મહુડા ફૂલની આવક ઓછી થતાં સરવાળે ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી દશા થવા સાથે મહુડા ફૂલમાંથી સારી આવક થવાની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહુડા ફૂલ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ઉપજ થાય છે અને અન્ય રાજ્યમાં વેચાણ થતું હોય છે.
અહેવાલ : નામદેવ પાટીલ, PANCHMAHAL
આ પણ વાંચો : Ambaji Temple Chaitra Navratri: પાંચમાં નોરતે અંબાજી મંદિરમાં થતી મંગળા આરતીમાં ભાવિ ભક્તો જોડાયા