Palanpur : બાદરગઢ ગામે ગૌચરની જમીનમાં દબાણ મામલો, કલકેટર ડીડીઓ સહિતને હાઇકોર્ટનું તેડું
અહેવાલ -સચિન શેખલિયા બનાસકાંઠા
પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં ખુદ ગ્રામ પંચાયતે જ ગૌચરની જમીનમાં દબાણ કરી પ્રદુષણ ફેલાવવાના આક્ષેપો સાથે ગામના જાગૃત નાગરિકે NGT કોર્ટ પુના ખાતે પિટિશન દાખલ કરતાં આજે કલેક્ટર ,ડીડીઓ,મામલતદાર સહિતનો કાફલો બાદરગઢ ગામે પહોંચીને તપાસ આદરી હતી..
બાદરગઢ ગામ ગૌચરની જમીનનો મામલો
પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં ગ્રામ પંચાયતે પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને સર્વે નંબર 498ની ગૌચરની જમીનમાં કોઇપણ જાતની મંજૂરી વગર ઘણા બાંધકામો બારોબાર કરીને દબાણ કર્યાની અને ગૌચરની જમીનમાં કથિત તળાવ ખોદીને ગામની ગટરલાઇનનું પ્રદૂષિત વેસ્ટ ઠાલવીને પ્રદુષણ ફેલાવવાની ફરીયાદ ગામના જાગૃત નાગરિકે હસનઅલી નોદોલીયાએ નોંધાવી છે. ગૌચરની જમીનમાં ગટરલાઇન, પાણી પાઇપલાઇન, બે ભૂગર્ભ સંપ, હવાડા, ઓરડીઓ, બોર, RCC રોડ વગેરે ઘણા બાંધકામો કોઈ જાતના ઠરાવ અથવા પૂર્વમંજુરી લીધા વગર જ બનાવી દેવામાં આવેલ છે.ગ્રામ પંચાયતમાં તા. 11/06/2019ની સભાના ઠરાવ નં. 4, તા. 17/10/2022ની સભાના ઠરાવ નં. 5, તા. 19/12/2022ની સભાના ઠરાવ નં. 3 મુજબ ઉપરોક્ત તમામ બાંધકામો સર્વે નં. 478ની સરકારી પડતર જમીનમાં કરવાના હતા, જે બાબતે ગ્રામ પંચાયતે બારોબાર આ તમામ બાંધકામો ગૌચરની જમીન (સર્વે નં. 498)માં કરી દેવામાં આવેલ છે.
ગૌચરની જમીનમાં બાંધકામો કર્યાનું ગ્રામ પંચાયતે પોતાના લેખિત જવાબમાં પણ સ્વીકારેલ છે અને પાલનપુર તાલુકા વિકાસ અધિકારીના તપાસ અહેવાલ અને ગામલોકોના પંચનામામાં પણ ગૌચરની જમીનમાં બાંધકામો કર્યાનું ખુલ્યું છે. તેમ છતાં સ્થાનિક તંત્રે નક્કર પગલાં ન લેતાં આ બાંધકામોના લીધે ગૌચરની અમૂલ્ય જમીનનું બગાડ કરનાર ગ્રામ પંચાયત સામે અરજદારે છેક મુખ્યમંત્રી સુધી ફરીયાદ કરેલ છે જે બાદ બનાસકાંઠા ડી.ડી.ઓ.એ સરપંચ અને ઉપસરપંચ સામે સસ્પેન્ડ કરવાની નોટિસ ફટકારી છે.
અરજદારે બનાસકાંઠા ડીડીઓ કચેરી ખાતે તમામ સાધનિક પુરાવાઓ જમા કરાવેલ છે છતાં આજદિન સુધી ગ્રામ પંચાયત ઉપર કોઈ ઠોસ પગલાં લેવામાં આવેલ ન હોવાથીઉપરોક્ત ગૌચરની જમીનમાં પ્રદુષણ ફેલાવવાની હરકતથી ગૌચરની જમીન અને તેના પર્યાવરણનું અસીમિત નુકસાન થતાં અરજદારે નામદાર NGT કોર્ટ, પુના ખાતે પીટીશન દાખલ કરેલ જેમાં નામદાર કોર્ટે ઓર્ડર કરતા કહેલ કે પ્રથમ દૃષ્ટિએ ગૌચરની નુકસાન થયેલ દેખાઈ આવે છે જેથી એક તપાસ કમિટી નીમીને ગૌચરની ટેકનિકલ તપાસ કરી તેનો તપાસ રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવાનો હુકમ કરેલ છે. અને નામદાર NGT કોર્ટ, પૂનામાં તા. 21/08/2023ના રોજ બનાસકાંઠા કલેકટર, બનાસકાંઠા ડીડીઓ, પાલનપુર ટીડીઓ, બાદરગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને GPCB પ્રતિનિધિને સુનાવણીમાં હાજર રહેવાનો હુકમ કરેલ છે.
જેને લઈને આજે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ, સર્કલ ઓફિસર, જીપીસીબી બોર્ડના પ્રતિનિધિ સહિતનો કાફલો બાદરગઢ ખાતે પહોંચ્યા હતા અને સ્થળ તાપસ કરીને અહેવાલ તૈયાર કરવા અધિકારીઓને સૂચનો કર્યા હતા જોકે સમગ્ર મામલાને લઈને અરજદારે ગ્રામપંચાયત ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને યોગ્ય તપાસની માંગ કરી હતી તો જિલ્લા કલેક્ટરે આ મામલે અનેક ફરિયાદો થઈ હોવાથી દરેક બાબતે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી.
આ અંગે અરજદાર હસનઅલી નોદલિયાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ગૌચર માં દબાણ કરતા પુના કોર્ટમાં પિટિશન દાખલ કરતા જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે..આ અંગે જિલ્લા કલેકટર વરુણ બરનવાલએ જણાવ્યું હતું કે પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે અરજદારે પુના ખાતે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી જે અંતર્ગત વહીવટી તંત્ર આજે ગામમાં આવી સમગ્ર અહેવાલ તૈયાર કરી કોર્ટમાં હાજર કરશે
આ પણ વાંચો -HIMMATNAGAR ની હોસ્પિટલે મૃત બાળકીને 24 કલાક સારવાર કરી, સરકારે કરી બ્લેકલિસ્ટ