મરણના સર્ટિફિકેટના આધારે કાકાએ ભત્રીજાની પ્રોપર્ટી પડાવી લીધી.. ડોક્ટરની ધરપકડ..
અહેવાલ---દિનેશ મકવાણા ભરૂચ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા પરિવારમાં સગા કાકાએ જ દગો આપ્યો હોવાનું સામે આવ્યું છે. પરિવારમાં અવારનવાર મિલકતને લઈ બોલાચાલી કે પછી ઝઘડા થતા હોય છે. જેમાં ઘણીવખત પરિજનો મિલકતને ખોટી રીતે પણ કબ્જો મેળવી લેતા હોય છે....
અહેવાલ---દિનેશ મકવાણા ભરૂચ
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા પરિવારમાં સગા કાકાએ જ દગો આપ્યો હોવાનું સામે આવ્યું છે. પરિવારમાં અવારનવાર મિલકતને લઈ બોલાચાલી કે પછી ઝઘડા થતા હોય છે. જેમાં ઘણીવખત પરિજનો મિલકતને ખોટી રીતે પણ કબ્જો મેળવી લેતા હોય છે. ત્યારે પિતાના મોત બાદ માતા અને પુત્ર સાથે પણ તેના કાકા દ્વારા કંઈક આવું જ કરવામાં આવ્યું હતું. જે અંગે પુત્રએ કાકા વિરુદ્વ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખોટા પુરાવા આપી કંપની પોતાના નામે કરાવી દીધી હતી
મળતી માહિતી અનુસાર,એસ.સી.આઈ.ઈન્ટરનેશનલ સિક્યુરીટી લિમિટેડના ડિરેક્ટર વિક્રાંત સુરેશભાઈ શુકલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પિતાના અવસાન બાદ માતાએ તમામ જવાબદારી સંભાળી લેતા વિક્રાંતના કાકા વિજય ચંદ્ર પ્રકાશ શુકલા(રહે. પંચમ ડૂપ્લેક્સ, સોમા તળાવ)ને આ વાત હજમ થઈ ન હતી. જેથી વિજય શુકલાએ પોતાના ભાઈની પત્ની હીરારાણી હોવાના ખોટા પુરાવા આપી કંપની વિક્રાંત અને વર્ષાબેનની જાણ બહાર પોતાના નામે કરાવી દીધી હતી.
ખોટું મરણ સર્ટિફિકેટ બનાવનાર ભરૂચના ડોક્ટરની ધરપકડ
મહત્વનું છે કે, વિક્રાંત શુકલા સહિત તેમની માતા વર્ષાબેને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ડો. સુનિલ પ્રફુલ્લચંદ્ર શાહ (રહે. શાહ નર્સિંગ હોમ, ભરૂચ) વિક્રાંતના કાકા વિજય શુકલાના કહેવા પર વિલાસપતિ તેમની હોસ્પિટલમાં મૃત્યુ પામ્પા ન હોવા છતાં મરણ જાહેર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે વિજય શુકલાએ ભરૂચ નગર પાલિકામાંથી મરણ દાખલો કઢાવ્યો હતો. એટલું જ નહિ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, માત્ર વિલાસપતિ જ નહિ પરંતુ, હીરારાણીનો પણ મરણનો દાખલો ખોટી રીતે કઢાવવામાં આવ્યો હતો. જેથી આ મામલે ખોટું મરણ સર્ટિફિકેટ બનાવનાર ભરૂચના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો ડોક્ટરને જેલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો છે પરંતુ તેણે અત્યાર સુધીમાં કેટલા બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યા છે કેટલા મરણના દાખલા બોગસ બનાવ્યા છે એ પણ એક તપાસતો વિષય બની ગયો છે
પ્રોપર્ટી પચાવી પાડવા કાકાએ મરણનો દાખલો રજૂ કર્યો
માતા-પિતા અને દાદાએ વર્ષ 1994માં એસસીઆઈ ઈન્ટરનેશનલ સિક્યુરીટી એજન્સી અલકાપુરી વિન્ડસર પ્લાઝામાં શરૂ કરી હતી. પિતાના અવસાન બાદ કંપનીનું સંચાલન માતા વર્ષાબેનને આપવામાં આવ્યું હતું. જે કાકા વિજય શુકલાને હજમ ન થતા તેના દ્વારા જીવતે જીવ તે લોકોના મરણનો દાખલો કઢાવી તમામ જમીનો પોતાના નામે કરાવી લીધી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે સમગ્ર તપાસ કરતા ડોક્ટરની મિલીભગત હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે હજી પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
સુનિલ શાહની હોસ્પિટલ સતત હંમેશા વિવાદમાં
સુનિલ શાહની હોસ્પિટલમાં તેની પત્નીનું પણ તૃપ્તિ નર્સિંગ હોમ ચાલે છે અને તેમાંય એક સગર્ભા મહિલાનું મોત થતા જે તે સમયે હોસ્પિટલ ઉપર ધમાલ મચી હતી અને પોલીસ કાફલાએ દોડી આવી મામલાને થાળી પાડ્યો હતો અને હંમેશા આ હોસ્પિટલ વિવાદમાં રહ્યું છે ત્યારે હવે તો જીવિત વ્યક્તિને મરણ જાહેર કરી મરણનું પ્રમાણપત્ર બોગસ બનાવી પ્રોપર્ટીના કૌભાંડમાં ખુદ ડોક્ટર સુનિલ શાહ પોલીસ કસ્ટડીમાં આવી ગયા છે.
Advertisement