નરોડા પાર્વતી જાદવ હોસ્પિટલના 1.87 કરોડની ઠગાઇનો આંક 10 કરોડે પહોંચ્યો
શહેરના નરોડા વિસ્તારમાં આવેલ પાર્વતી જાદવ હોસ્પિટલમાં બેંકમાં ભરવાના પૈસામાં 1.87 કરોડોની ઠગાઇ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં ઠગાઇનો આંક 10 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. ત્યારે અમુક દસ્તાવેજ હજુ મળ્યા નથી તેથી ઠગાઇનો આંક હજુ વધે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, ટ્રસ્ટી સહિતના લોકોએ બેંકમાં ભરવાની જગ્યાએ પૈસા ગુમ કર્યા હતા. આ મામલે તપાસ માટે પોલીસે સીએની પણ મદદ મેળવી હતી.
ક્રાઇમબ્રાંચે કોર્ટમા રજૂ કરી ચાર્જશીટ
પાર્વતી જાદવ હોસ્પિટલની કરોડોની ઠગાઇ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી પ્રફુલભાઇ તલકશીભાઇ ગોહેલ અને પ્રવિણભાઇ રામાભાઇ પટેલ સામે આઇપીસીની કલમ 420,406, 409, 34, 120 બી હેઠળ હજારથી વધુ પાનાની ચાર્જશીટ કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, શહેરના થતલેજ વિસ્તારમાં 71 વર્ષિય ચીનુભાઇ અંબાલાલ પટેલ પરિવાર સાથે રહે છે અને તેઓ યુ.એસ.એ. સિટીઝનશીપ ધરાવે છે. તેઓ પાર્વતી જાદવ હોસ્પિટલના ટ્રસ્ટી છે, ઓગષ્ટ 2022માં ચીનુભાઇને જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલમાં બીજા મોટી નાંણાકીય ગેરરીતી થઇ રહી છે. જેથી તેમણે બન્ને બેંકના સ્ટેટમેન્ટ કઢાવ્યા હતા. ઉપરાંત હોસ્પિટલનો હિસાબ પણ મંગાવ્યો હતો.
તે તપાસ કરતા હોસ્પિટલમાં ત્રણ માસમાં હિસાબ મુજબ 2,15,23,552 જમા થવા જોઇતા હતા તેની જગ્યાએ ફક્ત 38,09,266 રૂપિયા જ જમા થયા હતા. આમ બેંકમાં ભરવાના થતા 1,87,14,286 રૂપિયાની ઉચાપત થઇ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર હિસાબ મામલે તપાસ કરતા આખુંય કૌભાંડ ભરતભાઇ તલકસિંગ ગોહીલ, ધ્રુવ ભરતભાઇ ગોહીલ, નંદીપ ભરતભાઇ ગોહીલ, પ્રફુલ તલકસિંગ ગોહીલ અને પ્રવિણ રામાભાઇ પટેલે આચર્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે તપાસ કરતા આખુય કૌભાંડ 9.97 કરોડનું હોવાનું સામે આવ્યું છે, આ મામલે હજુ તપાસ જારી છે અમુક દસ્તાવેજ મળ્યા નથી તેથી કૌભાંડનો આંક વધે તેવી પુરેપુરી શક્યતાઓ છે.
અહેવાલ : કલ્પીન ત્રિવેદી, અમદાવાદ
આ પણ વાંચો : Cyclone Biparjoy : તો શું પાંચ દિવસ દ્વારકાધીશ મંદિરમાં નહીં ચઢાવવામાં આવે ધ્વજા ?