ગ્રામ પંચાયત અને લોક ભાગીદારીથી થતા સિંચાઇના કામોને વેગ આપોઃ કુંવરજીભાઇ બાવળીયા
અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ
જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ કચ્છના માંડવી , અબડાસા, નખત્રાણા તથા ભુજ તાલુકાના વિવિધ ગામોના સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત ચાલતા વિકાસકામો તથા પાણી પુરવઠા વિભાગ હસ્તક ચાલતા કામોનું જાત નિરીક્ષણ કરીને મુલાકાત લીધી હતી.મંત્રીશ્રીએ પેયજળ અને સિંચાઇ વિભાગના કામો વિશે વિગતવાર જાણકારી મેળવી અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. તેઓએ મુલાકાત દરમિયાન ગામ લોકોના પાણી વિતરણ અંગેના પ્રશ્નો સાંભળીને તાત્કાલિક નિવારણ આવે તે દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી.
અબડાસા તાલુકાના વરંડી મોટી ખાતે અટલ ભૂજલ યોજના અંતર્ગત રીચાર્જ ફિલ્ટર વેલના કામની મુલાકાત લઇને લોકભાગીદારી અને ગ્રામ પંચાયત સાથે મળીને સિંચાઇના અન્ય નવા કામો થાય તે દિશામાં પ્રયાસ કરવા અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. સાથે ગ્રામ પંચાયતોના જળ સંચય અને પાણીને સંલગ્ન પ્રશ્નો સાંભળીને તેને ઉકેલવા ખાત્રી આપી હતી. તેઓએ મોથાળા ખાતે પાણી પુરવઠાના સુથરી જૂન સુધારણા અંતર્ગત ચાલતા પાઇપ લાઇનના કામોની મુલાકાત લઇને સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થાનું નિરક્ષણ કર્યું હતું. ગામો સુધી નિયમિત અને કોઇપણ અડચણ વગર પાણી પહોંચે તે જોવા તાકીદ કરી હતી. તે સાથે જે ગામો સુધી પહોંચ નથી તો તે કામો તત્કાલ પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
ઉસ્તીયા ખાતે લોકભાગીદારી થતા સુજલામ સુફલામ યોજનાના કામોની મુલાકાત લઇને ગ્રામજનો સાથે આ મુદે વિગતે માહિતી મેળવી હતી. તથા પીવાના પાણી અંગેની મુશ્કેલી હોય તો જણાવવા કહ્યું હતું. ગ્રામજનોના સહયોગથી ચાલતા લોકભાગીદારીના કામોની પ્રશંસા કરીને મંત્રીશ્રીએ આ જ રીતે સરકારને સહયોગ આપીને આગળ પણ કામ કરતા રહેવા તથા જળસંચય ક્ષેત્રે વધુમાં વધુ પહેલ કરવા જણાવ્યું હતું. આ ટાંકણે અબડાસા વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા હાજર રહ્યા હતા . તેમજ તેમણે સુજલામ સુફલામ યોજનાના કામો અંગે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.
મંત્રીશ્રીએ માતાના મઢ ખાતે કચ્છ ધણીયાણી મા આશાપૂરાના ચરણોમાં શીશ નમાવીને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
પાણી પુરવઠા મંત્રીશ્રીએ નખત્રાણા પાણી પુરવઠા હેડ વર્કસ ખાતે નખત્રાણા કોમ્પલેક્ષ જૂથ સુધારણાના કામોની મુલાકાત લીધી હતી. તે સાથે ભુજ - નખત્રાણા હાઇવે પર આવેલા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લઇને અનાજની બોરીમાં વજન સહિત તેની ગુણવત્તાની ચકાસણી કરી હતી. સાથે જ અધોછની ખાતે મંજલ કોમ્પલેક્ષ જૂથ સુધારણાના કામોની મુલાકાત લીધી હતી. અધિકારીશ્રીઓને સ્થાનિક કક્ષાએ સમસ્યાઓનું ઝડપી નિવારણ આવે તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ પાણી પૂરવઠા ભુજના ભાગ-૨ જૂથ સુધારણા યોજનાના કામોની મુલાકાત લઇને તેની પ્રગતિ અંગે જાણકારી મેળવવા સાથે નવા પાણીના સ્ત્રોતને આઈડેન્ટીફાય કરવા ઉપરાંત,અધિકારીશ્રીઓ પાસેથી હાલમાં પાણીના જથ્થાની માંગ,કેટલા ગામોમાં કેવી રીતે પાણી વિતરણ કરવામાં આવે છે તેના વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.
માંડવી ખાતે મંત્રીશ્રીએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લઇને અનાજની ચકાસણી કરી હતી તથા જથ્થા અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ પાંચોટીયા ખાતે જનભાગીદારીથી ચાલતા તળાવના ખાણેત્રાની મુલાકાત લઇને ગ્રામ આગેવાનો સાથે આ બાબતે જાણકારી મેળવી હતી. માંડવી વિસ્તારના ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવે ખાસ હાજર રહીને ગામ દ્વારા થતાં લોકભાગીદારીના કામની વિગતોથી મંત્રીશ્રીને અવગત કર્યા હતા.
આ દરમિયાન જીલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો તથા વિવિધ ગામના સરપંચશ્રીઓ, માંડવી પ્રાંત અધિકારીશ્રી, અબડાસા પ્રાંત અધિકારીશ્રી, ભુજ પ્રાતં અધિકારીશ્રી ઇરીગેશન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પંચાયત સિંચાઈના અધિકારીશ્રી સહિત અન્ય પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.