Junagadh News : જૂનાગઢમાં પૂરના કારણે કૃષિ યુનિમાં ભારે નુકશાની, અખતરાના વાવેતર પર પાણી ફરી વળ્યું
ચાર દિવસ પહેલા જૂનાગઢ શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મોટા પાયે નુકશાની થઈ સાથોસાથ કૃષિ યુનિવર્સિટી માં પણ ભારે નુકશાની થઈ જેની ભરપાઈ થવા ખાસ્સો સમય લાગે તેમ છે. ખાસ કરીને સંશોધન માટેના ગુલાબ સહીતના વિવિધ ફૂલો, વૃક્ષો વગેરે સંપૂર્ણ નષ્ટ થઈ જતાં ફરી તેનો ઉછેર કરવો પડશે જે માલસામાનની નુકશાની કરતાં પણ વધુ છે. કારણ કે મહામુલી સંશોધનને નુકશાની થવા પામી છે.
રાજ્યની ચાર કૃષિ યુનિ પૈકીની એક એવી જૂનાગઢ કૃષિ યુનિ ન માત્ર કૃષિ વિષયોના અભ્યાસ પરંતુ તેના સંશોધન અને નવી જાતો વિકસાવવા માટે જાણીતી છે. ચાર દિવસ અગાઉ જૂનાગઢમાં અનરાધાર વરસાદ વરસતાં કાળવામાં ઘોડાપુર આવ્યા હતા અને પુરનું પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યું હતું જેને કારણે રસ્તા પર વાહનો, અનેક પ્રકારનો માલ સામાન રસ્તા પર તણાયો હતો. શહેરના માર્ગો પર પાણીનો એટલો ધસમસતો પ્રવાહ હતો કે અનેક સ્થળોએ દિવાલ તોડીને પાણીએ તેનો માર્ગ કરી લીધો હતો અને ચારે તરફ નુકશાની વેરી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
કાળવાના વોકળાનું પાણી એસ.ટી. વર્કશોપની દિવાલ તોડી મોતીબાગ સર્કલ પરથી થઈને કૃષિ યુનિ ની દિવાલ તોડીને સમગ્ર યુનિમાં પાણી ફરી વળ્યું ઘસમસતા પાણીના પ્રવાહ સાથે એસ.ટી. વર્કશોપનો ટાયર, ડિઝલ અને ઓઈલના ટેન્કર સહીતનો સામાન ઢસડાઈ આવ્યો, ઉપરાંત મોટીમાત્રામાં ઉકરડો પણ પાણી સાથે તણાય આવ્યો જેના કારણે કૃષિ યુનિમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને ચારે તરફ જમીન, પાક અને બગીચાનું ધોવાણ થઈ ગયું.
કૃષિ યુનિના વિવિધ સંશોધન કેન્દ્રોમાં અખતરાઓ થતાં હોય છે, મગફળી, કઠોળ, શાકભાજી અને ફુળ ફુલની વિવિધ જાતો પર સંશોધન થતું હોય છે તેથી દરેક જાતની વિવિધ વેરાયટીનું વાવેતર કરવામાં આવ્યું હોય છે. સંશોધકો તેના પર સંશોધન કરતાં હોય છે જ્યારે વિદ્યાર્થીઓ તેના પ્રેકટીલ કરતાં હોય છે. બાગાયત વિભાગના સંશોધન અને વિદ્યાર્થી ફળ ફુલોની વિવિધ જાતો પર સંશોધન માટે અનેક વેરાયટી પર કામ કરતાં હોય છે. આમ સંશોધન અને અભ્યાસ માટે થયેલા તમામ અખતરાના વાવેતર પર પાણી ફરી વળ્યું હતું.
કોઈ ચીજ વસ્તુ કે માલ સામાનનું નુકશાન ભરપાઈ થઈ શકે પરંતુ સંશોધન માટે ઉછેર કરેલું કોઈ એક વૃક્ષ કે છોડ તુરંત જ ફરી બેઠો થવાનો નથી તેના માટે માટે પણ ખાસ્સો એવો સમય માંગી લેશે, કૃષિ યુનિ.ના સરદાર સ્મૃતિ કેન્દ્ર પાસેની દિવાલ તુટી પડી ત્યાં જ ગુલાબની વિવિધ વેરાયટીનો બગીચો હતો જે સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે આ ઉપરાંત નાના મોટા અનેક નુકશાન થયા જે માલ સામાનના નુકશાન તો કદાચ ભરપાઈ થઈ જશે પરંતુ સંશોધન વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન અને વિદ્યાર્થીઓેએ પોતાના અભ્યાસ માટે કરેલા અખતરા પર પાણી ફરી વળ્યું છે અને તેમની મહેનત પાણીમાં ગઈ છે જે ન પુરી શકાય તેવી ખોટ પડી જવા પામી છે.
અહેવાલ : સાગર ઠાકર, જુનાગઢ