પંચમહાલ જિલ્લામાં ખેતીલાયક વરસાદ થઈ જતા ખેડૂતો વાવેતરમાં જોતરાયા
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ પંચમહાલ ( Panchmahal ) જિલ્લામાં હાલ ચોમાસા (Monsoon)ની શરૂઆત સારી થવા પામી છે ત્યારે જિલ્લામાં ખેડૂતો (farmer) દ્વારા પણ સારું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લાના મુખ્ય પાકો ડાંગર અને મકાઈનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં...
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
પંચમહાલ ( Panchmahal ) જિલ્લામાં હાલ ચોમાસા (Monsoon)ની શરૂઆત સારી થવા પામી છે ત્યારે જિલ્લામાં ખેડૂતો (farmer) દ્વારા પણ સારું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લાના મુખ્ય પાકો ડાંગર અને મકાઈનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં થવા પામ્યું છે. જિલ્લામાં કુલ 1.71 લાખ હેકટર વાવેતર લાયક વિસ્તાર આવેલો છે જે પૈકી ડાંગરનું 21 હજાર હેક્ટર, મકાઈનું ૫૧૨૪૬ હેકટર વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થવા પામ્યો છે. હજુ પણ વાવેતરમાં વધારો થવાની શક્યતા રહેલી છે. હવે પછીનો વરસાદ સમયસર આવે તેવી પણ ખેડૂતો આશા સેવી રહ્યા છે જેથી કરીને હાલમાં વાવેતર કરેલ પાકને પાણી મળી શકે.
ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ
પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદે જ મેઘરાજા મન મૂકી વરસ્યા હતા જેથી ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો હતો. ખેડૂતોએ પ્રથમ વરસાદના વિરામ બાદ પોતાના ખેતરોમાં મકાઈ,સોયાબીન સહિતનું વાવેતર કરી દીધું છે. જિલ્લામાં હાલ સુધી ૧.૧૫ લાખ હેકટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. છેલ્લા ત્રણ વર્ષ થી જિલ્લામાં ૧.૬૪ લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવી રહ્યું છે. જોકે મેઘરાજાએ પ્રથમ ધમાકેદાર એન્ટ્રી બાદ વિરામ પાળતા જિલ્લામાં હજીપણ ખેડૂતો ડાંગરની રોપણી માટે રાહ જોઈ રહ્યા છે તો કેટલાક ખેડૂતોએ આગામી દિવસોમાં વરસાદ વરસવાની આશાઓ સાથે રોપણી શરૂ કરી દીધી છે.
ચોમાસાની ઋતુની સારી ખેતી થવાની આશા
ખેડૂતો કમોસમી વરસાદ દરમિયાન શિયાળાની ઋતુમાં ખેતીને થયેલું ભારે નુકશાન સહન કર્યા બાદ હવે ચોમાસાની ઋતુની સારી ખેતી થવાની આશાઓ સેવી રહ્યા છે. હાલ તો ખેડૂતોએ મોંઘાદાટ ખાતર બિયારણ ખરીદી વાવેતર કરી દીધું છે સાથે વરસાદની પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે.જિલ્લામાં હજી પણ 50 હજાર હેકટરમાં વાવેતર બાકી છે જે આગામી દિવસોમાં થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે હાલ કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાના કારણે ડાંગર ની ખેતીલાયક વરસાદ નહિ વરસતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતા જોવા મળી રહ્યા છે, અને લાંબા સમય સુધી વરસાદ ખેંચશે તો પાનમ સિંચાઈ યોજના હેઠળ નો પાણી સિંચાઈ માટે આપવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.
જિલ્લામાં પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતર ઉપલબ્ધ
ચાલુ વર્ષે પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પરિણામે કુલ ૫૧,૯૮૩ હેક્ટર વિસ્તારમાં ખરિફ પાકોનું વાવેતર નોંધાયું છે. જિલ્લામાં સારા વરસાદને પરિણામે ખેડુતોને જરૂરિયાત અનુસાર યુરિયા ખાતર ઉપ્લબ્ધ બને તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં વિવિધ તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષા ખાતેના એગ્રી બિઝિનેસ સેન્ટર અને સહકારી મંડળીઓ વગેરે તમામ પાસે ચાલુ ખરિફ સિઝન માટે ઓનલાઇન પી.ઓ.એસ. મશીન મુજબ ૯૮૧૫ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે. વધુમાં, ચાલુ જુલાઇ માસમાં ૫૫૦૦ મેટ્રિક ટન યુરિયાનો સપ્લાય પ્લાન મંજુર થયેલ છે. જેની સામે હાલ ૬૦૦ મેટ્રિક ટન જેટલો યુરિયાનો જથ્થો ઉપલબ્ધ થઇ પણ ગયેલ છે.
Advertisement