GONDAL : ગુંદાળામાં નિંદ્રાધીન પરીવારની નીંદરમાં ખલેલ પહોંચાડ્યા વગર મકાનમાં તસ્કરોનો હાથફેરો
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલના ગુંદાળામાં મોડી રાતે ઘોર નિંદ્રામાં સુતેલા પરિવારની નીંદરમાં ખલેલ પહોંચાડ્યા વગર ત્રાટકેલા તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.86 લાખના મુદામાલની ચોરી કરી નાસી છૂટતાં ગોંડલ તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગુંદાળા ગામે ભરવાડવાસમાં રહેતાં ઘોઘાભાઇ પાતાભાઇ બાંભવાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ રાતના તેઓ પરિવાર સાથે જમીને પોતાના રૂમમાં સુવા જતા રહેલ હતા તેમજ પરિવારના સોના -ચાંદીના દાગીના કબાટની અંદર એક પેટીમા રાખી મુકેલ હતા. કબાટને લોક મારીને ચાવી તેઓ સુતા હતા ત્યાં રાખતા હતા.
'લુટાય ગયુ, લુટાય ગયુ'
બીજા દિવસે વહેલી સવારમા ચારેક વાગ્યે તેઓએ તેમની પત્નીને કોફી બનાવવાનુ કહેતા તેમની પત્ની રસોડા બાજુ ગયેલ ત્યારે તેની પત્નીએ - 'લુટાય ગયુ, લુટાય ગયુ' અવાજ કરતા બહાર આવ્યા હતા. બાદમાં તેઓએ રૂમમાં જોયેલ તો કબાટનો લોક તોડી નાખેલ હતો અને સામાન વેર વિખેર પડેલ હતો.
1.86 લાખનો મુદ્દામાલ તસ્કરો કરી ગયા સાફ
કબાટની અંદર તિજોરીમાં તપાસવામાં આવ્યું તો સોના ચાંદીના ઘરેણાની પેટીમાં રાખેલ સોનાનો ડોકમા પહેરવાનો કાઠલો ત્રણ તોલાનો રૂ. 45 હજાર, સોનાના ડોકમા પહેરવાના જવલા બે તોલાના રૂ. 30 હજાર, સોનાની ડોકમા પહેરવાની બરઘલી દોઢેક તોલાની રૂ.22 હજાર, સોનાનો ચાંદલો અડધા તોલાનો રૂ. 75 હજાર, સોનાની બે વીટી, રૂ. 15 હજાર, ચાંદીનો કંદોરો- 2 રૂ.12500, ચાંદીનું એક કડલું રૂ. 7500 અને રોકડ રૂ. 44800 મળી કુલ રૂ. 1.86 લાખનો મુદ્દામાલ તેમજ આર.સી.બુક, આધારકાર્ડ વગેરે કાગળોની ફરિયાદી અને તેનો પરીવાર સુતા હોય તે દરમ્યાન અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
સમગ્ર બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ જે. એમ.ઝાલા અને ટીમે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
આ પણ વાંચો -- નવલા નોરતામાં કરો પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાના દર્શન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે