GONDAL : રીબડા ખાતે પાટીદાર સમાજ દ્વારા સર્વ જ્ઞાતિઓને સાથે રાખી સંમેલનનું આયોજન, ઉદ્યોગપતિઓ સહિત પાટીદારો મોટી સંખ્યામાં ઉમટ્યા
અહેવાલ - વિશ્વાસ ભોજાણી રીબડા ખાતે પાટીદાર સમાજ દ્વારા સર્વ જ્ઞાતિઓને સાથે રાખી સંમેલનનું આયોજન કરાયું હતું. જેમા ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ રીબડા જૂથ ઉપર કટાક્ષ કરવામાં કોઈ કસર છોડી ન હતી. તેમણે કહ્યું કે રીબડા પાસે પ્રધાનમંત્રીના...
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
રીબડા ખાતે પાટીદાર સમાજ દ્વારા સર્વ જ્ઞાતિઓને સાથે રાખી સંમેલનનું આયોજન કરાયું હતું. જેમા ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ રીબડા જૂથ ઉપર કટાક્ષ કરવામાં કોઈ કસર છોડી ન હતી. તેમણે કહ્યું કે રીબડા પાસે પ્રધાનમંત્રીના ફોટા સાથે ભાજપની કામગીરીને બિરદાવતું હેડિંગ મારેલું છે, નીચે એક વ્યક્તિનો હાથ જોડેલો ફોટો છે. અરે ભાઈ ચૂંટણીમાં તમે ભાજપમાં નથી એવું તમે જ કહેલું તો પછી આવા દેખાડા શા માટે. તેમણે કટાક્ષમાં કહ્યું કે આ તો લગ્ન કોઈના અને હરખ કોઈનો એવું થયું. જયરાજસિંહ એ કહ્યું કે રીબડા પંથકમાં ખૂબ જ ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, એક સમયે તેની પરિસ્થિતિ ખરાબ હતી જમીનના ભાવ તળિયે પહોંચ્યા હતા પણ આજે રીબડામાં ખુશાલી છે એક જ કુટુંબની ગુંડાગીરીને આપણે નેસ્ત નાબૂદ કરી દીધી છે.
બહારના ઉદ્યોગકારો રીબડામાં જમીન ખરીદવામાં હજુ સંકોચ અનુભવે છે, પરંતુ મારું તેઓને આહવાન છે કે ચિંતા મુક્ત બનીને અહીં આવો અને શાંતિપૂર્ણ આપનો ઉદ્યોગ ચલાવો કોઈપણ સમસ્યા થાય તો જવાબદારી મારી રહેશે. તેમણે કહ્યું કે હવે રીબડાના યુવાનો નિર્ભય બન્યા છે, કોઈપણની દાદાગીરી સહન કરે તેવા નથી રીબડાનો ઉતરોતર વિકાસ થશે એક વર્ષ પહેલા આ દિવસે રીબડા માં જાહેર સભા ભરી મે રીબડાની પ્રજાને અભયવચન આપ્યું હતું આજે ફરી એ વાતને દોહરાવું છું. સંમેલનમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા એ કહ્યુ કે, ગુજરાતમાં જ્ઞાતિ જાતિના રાજકારણથી જો કોઈ પર હોય તો એ ગોંડલ છે જે જયરાજસિંહ ને આભારી છે તેમણે ભાજપ સરકારના વિકાસ કાર્યોને વર્ણવ્યા હતા.
રિબડામાં દર વર્ષે સંમેલન યોજાશે - ગણેશસિંહ જાડેજા
યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાએ જણાવ્યું કે, રીબડાના લોકોને એક વર્ષ દરમિયાન કોઈ તકલીફ પડી નથી. હજુ પણ રીબડાના પટેલ સમાજને ટાર્ગેટ કરાશે કે અન્ય સમાજના લોકોને હેરાન કરાશે તો સાખી લેવાશે નહીં જે રીતે જવાબ આપવો પડે તે તૈયારી સાથે મેદાનમાં અમે આગળ હોઈશું. રીબડામાં દર વર્ષે આ રીતે સ્નેહમિલન અને સંમેલન યોજાશે.
લોઠડા એસોસિએશનના જેન્તીભાઈ સતાશિયા જણાવ્યું કે, જયરાજસિંહ સ્પષ્ટ વક્તા છે એ ગદ્દારી કરતા નથી. સામા પક્ષે શું છે એ બધા જાણે છે. તેમણે રીબડાના યુવાનોને કહ્યું કે, મન મજબૂત બનાવજો અને નીડર બનજો અન્ય વક્તા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, બટુકભાઈ ઠુંમર, ગોપાલભાઈ શિંગાળા, મગનભાઈ ઘોણીયા, કનકસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ જાડેજાએ કોઈના નામ લીધા વગર કહ્યું કે દેશને આઝાદ થયા 75 વર્ષ થયા પણ રીબડાને આઝાદ થયો એક વર્ષ થયું છે. આજે આ સંમેલન આઝાદીના જશ્ન સમૂ છે પહેલા રીબડા પાસે કાયદો અને વ્યવસ્થા પૂરી થતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ જુદી છે રીબડા નો ઇતિહાસ બદલવા બદલ રીબડા ના યુવાનોને બિરદાવ્યા હતા.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
રીબડામાં રીબડાના લેઉવા પટેલ સમાજ દ્વારા સંમેલનની જાહેરાતના પગલે સમગ્ર પંથકમાં ઉતેજનાનો માહોલ સર્જાયો હતો.અને કંઇક નવાજુની થશે તેવી ચર્ચાઓએ જોર પકડયુ હતુ.પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યુ હોય તેમ એક ડીવાયએસપી સાત પીએસઆઇ તથા સો જેટલા પોલીસમેન સહિતના કાફલાનો ચુસ્ત બંદોબસ્ત રીબડા તથા સંમેલન સ્થળે ગોઠવી દેવાયો હતો. રીબડા પંથક ઉપરાંત શાપર વેરાવળના ઉદ્યોગપતિઓ,આગેવાનો,જીલ્લા તાલુકા પંચાયતના સદસ્યો સહિત લોકો સંમેલનમા ઉમટી પડ્યા હતા. ૭૧ ગામડાના સરપંચો હાજર રહ્યાનો દાવો આયોજકો એ કર્યો હતો.
Advertisement