ગોધરાના સામાજિક કાર્યકર જૈનુદ્દીન વલીનુ અવસાન
અહેવાલ - નામદેવ પાટીલ, પંચમહાલ
સામાજીક સેવામા મોખરાનુ સ્થાન ધરાવતા તેવા ગોધરા ના સામાજિક કાર્યકર જૈનુદ્દીન વલીનુ 91 વરસની ઉમરે અવસાન થયું. સામાજિક કાર્યકર જૈનુદ્દીન વલીનું અવસાન થતાં ગોધરાના નગરજનોમાં ભારે શોખની લાગણી વ્યાપી ગઈ છે. જૈનુદ્દીન વલી સામાજીક સેવા સાથે વર્ષોથી સંકળાયેલા હતા. અને તેઓએ પોતાના અવસાન બાદ મૃતદેહને દેહદાન કરવામા આવે તેવી ઈચ્છા રાખી હતી. જેને લઈને તેઓનું મૃતદેહ તેમના પરિવારજનો દ્વારા દાહોદથી ઝાયડસ મેડીકલ કોલેજને આપવામા આવ્યો હતો.
ગોધરા નગરમાં સામાજિક સેવા ક્ષેત્રે કામગીરી કરનાર જૈનુદ્દીન વલીનું 91 વર્ષની ઉમરે આજ રોજ વહેલી સવારે અવસાન થયું હતું. તેમની મરણોતર ઈચ્છા મુજબ તેમના મૃતદેહને પરિવારજનો દ્વારા દાહોદ ઝાયડ્સ મેડીકલ કોલેજને અર્પણ કરવામાં આવ્યો હતો. મૃતદેહનો ઉપયોગ તબીબી શિક્ષણ માટે કરવામાં આવશે. જૈનુદ્દીન વલીએ પોતાની જીવન સફર દરમ્યાન અનેક સમાજ સેવાના કામો કર્યા હતા. તેઓ ગોધરા નગરના તમામ સમાજના ગરીબ, અશક્ત, આર્થિક રીતે નબળા લોકોની વહારે રહ્યા હતા. તેઓએ લાંબા સમય સુધી લાયન્સ ક્લબ ગોધરા ખાતે સક્રિય રહી સેવાઓ આપી હતી. તમામ સમાજની સુધારાવાદી ચળવળમાં તેઓએ સમાજના લોકોને સાથે રાખી રૂઢીઓ અને કુરિવાજો કામગીરી કરી હતી.
જનસેવા એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી જનસેવા સ્કૂલ દ્વારા હજારો બાળકોને શિક્ષિત કરી તેમના ભાગ્યવિધાતા બન્યા હતા. નગરને આર્થિક વેગ આપવા માટે જનસેવા ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટીની સ્થાપના કરી 30 વર્ષથી પણ વધુ સમય માટે ડાયરેક્ટર તરીકે સેવામાં પ્રવૃત રહ્યા હતા. ગોધરા ખાતે અર્બન બેન્કની સ્થાપના કરવામાં મોટો ફાળો રહેલો હતો. સાબુ અને ઈંટ ઉદ્યોગને ગોધરામાં નવી દિશા આપી હતી. સમાજની સેવાની સાથે પોતાના પરિવારને સંગઠિત રાખી બાળકોમાં પણ ઉત્તમ સંસ્કારનું સિંચન કર્યું હતું. દીકરાઓને ડોક્ટર તેમજ દીકરીઓને આર્કિટેક બનાવ્યા. સમાજ સેવાના સંસ્કારોના સિંચન દ્વારા આજે તેમના બાળકો ડો. સુજાત, ડો. સરવર, શબાના, શબનમ પણ તેમના માર્ગદર્શક રસ્તા પર સમાજની સેવામાં અગ્રેસર બન્યા છે.
પોતાની મરણોતર ઈચ્છા મુજબ તેમના પરિવારજનો દ્વારા તેમના મૃત્યુ બાદ તેમના મૃતદેહને દાહોદ ઝાયડ્સ મેડીકલ કોલેજ ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો. તેમની સમાજ સેવાઓ તેમના દેહદાનની સાથે અમર બની ગયેલ છે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં ભાવી તબીબો માટે તબીબી શિક્ષણના હેતુ માટે મૃતદેહની અછત પહેલેથી છે. તબીબો માનવ દેહ અને સ્વાસ્થ્ય અંગે વધુ સાંસોધન કરી શકે અને ભવિષ્યમાં દર્દીઓની સારવાર વધુ ઉત્તમ બને તે હેતુથી દેહદાન કર્યો હોવાનું તેમના પુત્ર ડોક્ટર સુજાત વલીએ જણાવ્યુ હતું. આ અગાઉ પણ ગોધરા નગરમાં સામાજિક સેવા ક્ષેત્રે કામગીરી કરનાર જુબેદા જૈનુદ્દીન વલીનું 83 વર્ષની ઉમરે તારીખ 8-6-2019 ના રોજ અવસાન થયું હતું. તેમની પણ મરણોતર ઈચ્છા મુજબ તેમના મૃતદેહને પણ પરિવારજનો દ્વારા દાહોદ ઝાયડ્સ મેડીકલ કોલેજને તબીબી શિક્ષણ અર્થે અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Junagadh: તાલાલા ખાતે ભાજપના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ