ગોંડલ અમર ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરાયું
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
ગોંડલ શહેરમાં સ્ટેશનપ્લોટ જમનાબાઈ હવેલી પાસે અમર ગ્રૂપ દ્વારા આ વર્ષે ગણપતિ ઉત્સવનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.
9 ફૂટની વિશાળ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી
અમર ગ્રૂપના બીટુભાઈ જાડેજાના નેજા હેઠળ આ વર્ષે ધામધુમથી ઢોલ, નગારા સાથે વાજતે ગાજતે વિધ્નહર્તા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગ્રુપના સભ્યો દ્વારા આશરે 9 ફૂટની મૂર્તિ ગોંડલથી બનાવવામાં આવી છે. જેના માટે 30x100 ફૂટનો વોટર પ્રુફ ડોમ ઉભો કરવામાં આવ્યો છે.
દરરોજ સવાર સાંજ આરતી કરવામાં આવે છે
સવારે 7 : 15 કલાકે તેમજ સાંજે 7 : 15 કલાકે ગણપતિ દાદાને આરતી કરવામાં આવે છે. સાંજે આરતીમાં લાઈનર સાઉન્ડ સાથે મ્યુઝિક ઓરકેસ્ટ્રાના સંગાથે લાઈવ આરતી ગાવામાં આવે છે. આરતીમાં આમંત્રિત મહાનુભાવો તેમજ સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાના આગેવાનો આરતીનો લાભ લે છે. આરતી દરમ્યાન ભક્તોને બેસવા માટે સુંદર ફ્લોરિંગ સ્ટેજ એર કુલર સાથે પણ બનાવવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો આરતીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
ગણપતિ દાદાને અલગ અલગ શણગાર કરવામાં આવશે
અમર ગ્રૂપના સભ્યો દ્વારા વિશાળ સ્ટેજમાં રંગ બે રંગી લાઈટો, ઝૂમરનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ ગણપતિ દાદાની પ્રતિમાના મુખ્ય સ્ટેજના બેક ગ્રાઉન્ડમાં વિવિધ શણગાર જેવાકે ફુગ્ગા, આર્ટી ફિસિયલ ફ્લાવર, લાઈટ શો સહિતના આકર્ષક શણગાર કરવામાં આવશે.
ગણપતિ ઉત્સવ દરમ્યાન અનેક કાર્યક્રમોનું આયોજન
અમર ગ્રુપના સભ્યો દ્વારા આ વર્ષે ગણપતિ ઉત્સવને સફળ બનાવવા દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ ગણપતિ ઉત્સવ દરમ્યાન ધાર્મિક અને સાંસ્કૃતિક સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - surat :રામાયણની થીમ પર અદભુત ગણેશ પંડાલ થયો તૈયાર, હનુમાનજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની