Surat માં શેર બજારમાં રોકાણના નામે 75.93 લાખની ઠગાઈ, એકાઉન્ટન્ટના કર્મચારીની ધરપકડ
- શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ઠગાઈ
- કર્મચારીએ જ પોતાના એકાઉન્ટન્ટ સાથે ઠગાઈ આચરી
- સુરત પોલીસની ઇકો શેલ દ્વારા તપાસ હાથ ધરાઈ
Stock Market Fraud : સુરતમાં શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે એક મોટી ઠગાઈનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં એકાઉન્ટન્ટની ઓફિસમાં કામ કરતા કર્મચારીએ જ પોતાના એકાઉન્ટન્ટ સાથે 75.93 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું છે. ઉચ્ચ અને સારા વળતરની લાલચ આપીને આ ઠગાઈને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી, આરોપીની ધરપકડ કરી લીધી છે.
શેર બજારમાં રોકાણના નામે ઠગાઈ
કતારગામ વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટ ભાવિક જાતકિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારી ઓમ પ્રજાપતિએ તેમની સાથે ઠગાઈ કરી છે. ભાવિક જાતકિયાના જણાવ્યા અનુસાર, ઓમ પ્રજાપતિ તેમની ઓફિસમાં હિસાબ-કિતાબનું સામાન્ય કામકાજ સંભાળતો હતો. આરોપીએ શેર બજાર, ક્રિપ્ટો કરન્સી અને અન્ય વિવિધ જગ્યાઓ પર રોકાણ કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપીને ભાવિક જાતકિયા પાસેથી 75.93 લાખ રૂપિયા લીધા હતા. જોકે, રોકાણના નામે આપેલી આ રકમનું કોઈ વળતર ન મળતાં ભાવિકને શંકા ગઈ અને તેમણે પોલીસનો સંપર્ક કર્યો.
ઓમ પ્રજાપતિની ધરપકડ
ભાવિક જાતકિયાની ફરિયાદના આધારે સુરત પોલીસની ઇકો શેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન ઓમ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી. પોલીસે જણાવ્યું કે આરોપીએ એકાઉન્ટન્ટના વિશ્વાસનો દુરુપયોગ કરીને આ ગુનો આચર્યો હતો. હાલમાં ઇકો શેલ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી આ ઠગાઈના અન્ય પાસાંઓ અને સંભવિત સંડોવણીનો પર્દાફાશ થઈ શકે.
આ પણ વાંચો : રાજ્યભરમાં 'Mega Demolition' ની કાર્યવાહીથી 'અસામાજિક તત્વો' માં ફફડાટ!
રોકાણના નામે આકર્ષક વળતરનું વચન
ઓમ પ્રજાપતિએ ભાવિક જાતકિયાને શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે આકર્ષક વળતરનું વચન આપ્યું હતું. આરોપીએ ઓફિસમાં કામ કરતાં હોવાને કારણે ભાવિક જાતકિયાને તેના પર વિશ્વાસ હતો, જેનો લાભ લઈને તેણે લાખો રૂપિયા એકત્ર કર્યા. જોકે, રોકાણના નામે લીધેલી રકમનો કોઈ હિસાબ આપવામાં ન આવ્યો કે ન તો કોઈ નફો આપવામાં આવ્યો, જેના કારણે આ ઠગાઈનો ભાંડો ફૂટ્યો.
આ ઘટના એકવાર ફરી નાણાકીય રોકાણોમાં સાવચેતી રાખવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે. શેર બજાર અને ક્રિપ્ટો કરન્સી જેવા જોખમી રોકાણોમાં પૈસા નાખતા પહેલાં સંપૂર્ણ તપાસ અને વિશ્વસનીય સ્ત્રોતોની મદદ લેવી જરૂરી છે. પોલીસે પણ લોકોને આવા લોભામણા વચનો પર આંધળો ભરોસો ન કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો : Surat પોલીસે RTI નો દૂરઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી, 50 થી વધુ લોકો સામે નોંધ્યા ખંડણીના ગુના