Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ પંથકના ખેડૂતોને પૈસા ભરવા છતાં સિંચાઈનું પાણી મળતું નથી ને ૪૦ શખ્શો કરે છે બેફામ ચોરી !

ભારત દેશને કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે પણ દેશનો ખેડૂત સમયાંતરે કેટલો હેરાન થાય છે તે કોઈ, કોઈ દિવસ જોતું નથી તે નગ્ન સત્ય હોવાનું કહેવું અનુચિત નથી લાગતું. તે એટલા માટે કે ગોંડલ પંથકના ખેડૂતોએ હકનું પાણી મેળવવા કાળી...
ગોંડલ પંથકના ખેડૂતોને  પૈસા ભરવા છતાં સિંચાઈનું  પાણી મળતું નથી ને ૪૦ શખ્શો કરે છે બેફામ ચોરી

ભારત દેશને કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે પણ દેશનો ખેડૂત સમયાંતરે કેટલો હેરાન થાય છે તે કોઈ, કોઈ દિવસ જોતું નથી તે નગ્ન સત્ય હોવાનું કહેવું અનુચિત નથી લાગતું. તે એટલા માટે કે ગોંડલ પંથકના ખેડૂતોએ હકનું પાણી મેળવવા કાળી મજુરી કરીને પૈસા ભરી દીધા હોવા છતાં તેઓને સિંચાઈનું પાણી ન મળતું હોવાની ફરિયાદ હવે અખબારી અદાલતમાં પહોચી ગઈ છે. સૌથી અચરજની વાત એ છે કે ગોંડલમાં ફરજ બજાવતા ઇરીગેશનના સત્તાધીશોની કોઈ પણ વાતની દુ:ખતી રગ બીજા કોઈના હાથમાં હોવાથી તેઓ એટલેકે ઈરીગેશનના સત્તાધીશો કાઈ નથી કરી શકતા તેવી વાત એક સ્ટીંગ ઓપરેશનમાં આબાદ કેદ થઇ ગઈ છે.

Advertisement

ગોંડલી ડેમમાંથી સેંકડો ગોંડલ પંથકના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે

સમગ્ર મામલાની વાત કરીએ તો ગોંડલી ડેમમાંથી સેંકડો ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે. સરકારી નિયમો મુજબ નિયત સમયે પોતપોતાના ખેડ્તારોમાં ઉભેલા પાકના પિયત માટે ઈરીગેશન તંત્રને પૈસા ચૂકવી આપે છે છતાં ચૂકવેલા પૈસા જેટલું કે તે પ્રમાણે પાણી ન મળતું હોવાની ફરિયાદ સાથે ગઈકાલે ડેમની માઈનોર કેનાલ પાસે એકત્ર થયેલા ખેડૂતોએ વસવસો વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ મળતા અપૂરતા પાણ બાબતે સિંચાઈ અધિકારો સમક્ષ રોષ ઠાલવી અમારો પાક બચાવો અમોને સિંચાઈનું પાણી આપો તેવા સુત્રોચ્ચાર કરીને નધરોળ ગોંડલ ઈરીગેશન તંત્રને જગાડવા પ્રયત્ન કર્યો હતો.

Advertisement

ખેડૂતોની મહેનત, રોષ અને વિરોધ જાણે ભોમાં ભંડારી દેવાયો હોય તેવા ઈરીગેશનનાં અધિકારીઓએ જવાબ આપતા ખેડૂતોનો રોષ બેવડાઈ ગયો હતો. બીજીબાજુ ગોંડલી ડેમમાંથી થતી બેફામ પાણી ચોરી અટકાવવા પણ તંત્રે મજબૂરી દર્શાવતા ખેડૂતો પણ અચરજમાં મુકાઈ ગયા છે. હવે જાયે તો જાયે કહા તેવી સ્થિતિ સિંચાઈનું પાણી મેળવતા ખેડૂતોની થઇ છે.

40 જગ્યાએ પાણી ચોરી થાય છે પણ રોકીએ તો જયરાજસિંહનો ફોન આવી જાય છે

ખેડૂતોને સાથે રાખીને પત્રકારોએ કરેલા સ્ટીંગ ઓપરેશનમાં સિંચાઈ ખાતાના એક અધિકારી કહે છે કે અમોને પણ ખેડૂતોને સિંચાઈનું પાણી પુરતું ન મળતું હોવાનું દુઃખ છે, ૪૦ મોટરો કે મશીનો દ્વારા પાણી ચોરી થાય છે, હમણાં બંધ કરાવી દઈએ પણ ત્યાં તો જયરાજસિંહનો ફોન આવી જાય છે. ત્યારે હવે ગોંડલના મોટા ગજાના અગ્રણીની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ છે કે શું તેઓ આવી રીતે ઇરીગેશનના અધિકારીઓને દબાવીને પાણી ચોરી થવા દે છે ? શું ઇરીગેશનના અધિકારીનો આ આક્ષેપ સાચો છે ? દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા જયરાજસિંહએ જ આગળ આવવું પડશે.

Advertisement

કેનાલમાં ભાંગ-ફોડની ફરિયાદો પછી પણ તંત્ર ફરકતું નથી 

રોષિત ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ગોંડલી ડેમથી ખેડૂતો સુધી કે કેનાલ સુધી પહોંચતા પાણીની લાઈનોમાં અને કેનાલમાં અવારનવાર ભાંગતોડ કરીને પાણી ચોરી કરવામાં આવે છે અને આ બાબતે ફરિયાદ કરવા છતાં કોઈ રીપેર કરવા ફરકતું નથી પરિણામે પાણીનો વેડફાટ થાય છે ને ખેડૂતોને પૈસા ભરવા છતાં પાણી મળતું નથી.

માઈનોર કેનાલમાં ગેંડા મૂકી પાણીની ચોરી 

ખેડૂતોનો આક્ષેપ છે કે અમો પૈસા ભરીયે છીએ છતાં પુરતું પાણી નથી મળતું અને કોઈ પણ વજનદાર નેતાના ઈશારે અને ઓથ હેઠળ ૩૫-૪૦ શખ્શો પાણીની બેફામ ચોરી કરે છે તેને કોઈ રોકવાવાળું નથી, ખુદ તંત્રને પણ જાણી જોઇને મને કામને આંખ આડા કાન કરવા પડે છે ત્યારે રાજ્યના ઉચ્ચ ઈરીગેશન તંત્રે ગોંડલી નદીમાંથી થતી બેફામ ચોરી અટકાવવી જરૂરી છે.

પાસ, બાસ નથી પત્રકારોને લઈને ઓફિસે આવજો 

ખેડૂતો પાણીની ફરિયાદ કરે છે અને જરૂરી પાસ માંગે છે તો એક અધિકારી કહે છે કે પત્રકારોને લઈને ઓફિસે આવજો અને કહી દેજો કે પાસ નથી આપવા. મતલબ કે ખેડૂતોને ઇરીગેશનના અધિકારી રીતસરના ઉડાઉ જવાબ આપે છે.

કોટડા સાંગાણીના ખેડૂતોને  ઉડાઉ જવાબ 

પાણી ક્યારે આવશે અને એક મહિનો થયો છતાં મળ્યું નથી તેવા ખેડૂતના ફોનમાં સિંચાઈ ખાતાના અધિકારી કહે છે કે, ત્યાં માણસો હોય તેને ફોન કરવાનો હોય મારે એક એક ખાતેદાર  બધાયને જવાબ ના આપવાનો હોય, તેમજ આ અધિકારીએ એવું પણ કહ્યું કે બધા કપાસ કાઢીને ઠોકવા જ માંડ્યા છો વાવેતર, ડેમમાં હવે મહિનો ચાલે તેટલું જ પાણી છે. એટલે હવે શું વાવેતર કરવું તે ઈરીગેશાનના અધિકારીને પૂછવું પડે તેવી ખેડૂતોની હાલત થઇ હોવાનું કહેવું ઉચ્ચિત લાગે છે.

સિંચાઈ ખાતાના અધિકારી ગજેરા અને  અઢિયા સામે ખેડૂતોના આક્ષેપો 

કોટડા સાંગાણી સહિતના ખેડૂતોનો આક્ષેપ છે કે ગોંડલ સિંચાઈ ખાતાના અધિકારી જાતિન ગજેરા અને વિપુલ અઢિયા કોઈ દિવસ ખેડૂતોને શાંતિથી સંભાળતા નથી, જ્યારે જ્યારે પાણી બાબતે ફરિયાદ કરવામાં આવે ત્યારે આ બંને અધિકારીઓ ઉડાઉ જવાબ આપીને ખેડૂતોને નારાજ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રાજકીય માણસોના ઈશારે દબાઈને નોકરી કરતા આ અધિકારીઓ દાઝ ખેડૂતો ઉપર ઉતારતા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે.

અહેવાલ - હરેશ ભાલિયા 

આ પણ વાંચો -- તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અર્થે શ્રી ગિરીબાપુની શિવ મહાપુરાણનું આયોજન 

Tags :
Advertisement

.