રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં, પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને આપ્યુ અલ્ટીમેટમ
- રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ : ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં હલચલ
- ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધીની મોટી ચળવળ
- પાર્ટીને ખોખલી કરનારા તત્વોને પર એક્શન લેવામાં આવશે
Rahul Gandhi In Gujarat : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ લગભગ અઢી વર્ષનો સમય બાકી છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ અત્યારથી જ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે અને તેમણે પક્ષના નેતાઓ સાથે બેઠકો દ્વારા સંગઠનને મજબૂત કરવાની રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શનિવારે તેમણે પોતાના જ પક્ષના કેટલાક નેતાઓ પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું, “કોંગ્રેસમાં સિંહો છે, પરંતુ તે બધા સાંકળોથી બંધાયેલા છે.” આ નિવેદન દ્વારા તેમણે પક્ષની અંદરની નિષ્ક્રિયતા અને સુધારણાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો.
પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને અલ્ટીમેટમ
રાહુલ ગાંધીના નિવેદનને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલનું સૂચક નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, પાર્ટીને ખોખલી કરનારા તત્વોને શોધી અને યોગ્ય પુરાવા મેળવી તેમના પર એક્શન લેવામાં આવશે. તેમણે કહ્યું, રાહુલ ગાંધી એ સ્પષ્ટ વક્તા છે અને તેમને સ્પષ્ટ રીતે પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું, રામરાજ્ય સમયે પણ વિભીષણ હતો અને તે પરંપરા યુગયુગાંતરથી ચાલતી આવી છે પરંતુ અમે પાર્ટીમાં રહેલા વિભિષણો પર સૂચક એક્સન લઈશું.
એપ્રિલમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાતમાં યોજાઇ રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત મહત્વની બની રહેશે. રાહુલ ગાંધીની બે દિવસીય મુલાકાત પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવાનુ કામ કરશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ ગુજરાતની નેતાગીરી પર ઉઠાવ્યા સવાલ, પાર્ટીમાં વિભિષણ હોવાના સંકેત આપ્યા!
રાહુલજીએ ગુજરાત કોગ્રેસને મજબુત સંગઠનની દીશા આપી
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પણ નિવેદન આપતા કહ્યુ કે, રાહુલજીનું નેતૃત્વ સ્પષ્ટ છે. વિચારધારાની લડાઈમાં સમાધાન ન ચાલે. જનતાનો વિશ્વાસ જીતવા તેમની વચ્ચે જવુ પડે. રાહુલજીએ ગુજરાત કોગ્રેસને મજબુત સંગઠનની દીશા આપી છે. કોગ્રેસના સંગઠનમાં ફેરફારની શરૂઆત ગુજરાતથી થશે.
રાહુલ ગાંધીના નિવેદનને લઈ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીનો પ્રથમ વખત આ પ્રકારનો સંવાદ જોવા મળ્યો છે. રાહુલ ગાંધીનું આ નિવેદન કોંગ્રેસના કાર્યકર્તા આવકારે છે. રાહુલ ગાંધીની આ મુલાકાત ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરશે.
આ પણ વાંચો : મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણ માટે અમિત શાહ પહોંચ્યા સૌરાષ્ટ્ર