AMBAJI : સેંબલપાણી ગામે આદિવાસી સમાજના હક અને અધિકારોની ચિંતન શિબિર યોજાઈ, મોટી સંખ્યામાં સમાજના લોકો દ્વારા અપાઈ હાજરી
અહેવાલ : શકિતસિંહ રાજપુત - અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં અંબાજી શક્તિપીઠનો વિકાસ થઈ રહ્યો છે,ત્યારે બીજી તરફ અંબાજી આસપાસના વિવિઘ ગામોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિઘ પ્રોજેક્ટો શરૂ કરાયા છે. બેડાપાણી ગામે ગયા મહિનામાં આદિવાસી પરિવારના 19 મકાનો તોડી પડાયા બાદ આદિવાસી સમાજ દ્વારા અંબાજી પોલીસ મથકે ઘેરાવો કરાયો હતો, અને જીલ્લા કલેકટર કચેરીએ જઇને પણ રજૂઆત કરાઇ હતી. પરંતુ ન્યાય માટે આંદોલન કર્યાં બાદ પણ ન્યાય ન મળતા હવે આદીવાસી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે આજે બપોરે સિંબલપાણી ગામે બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા સહીત વિવિઘ જિલ્લાઓના આદીવાસી સમાજના ભાઈઓ અને બહેનો એ એકઠા થઈને ચિંતન શિબિરમા પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. આગામી સમયમાં આદિવાસી સમાજ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળે તેવી શક્યતા આજની શિબિર બાદ જોવા મળી રહી છે.
હક અને અધિકારની લડાઈ માટે ચિંતન શિબિરનું આયોજન કરાયું
આદીવાસી સમાજની હક અને લડાઈ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ગામોથી આદીવાસી સમાજના લોકો આવ્યા હતા. મોટી સંખ્યામાં આદીવાસી સમાજ એકઠો થયો હતો અને તેમને પોતાનાં પ્રશ્નો રજૂ કર્યા હતા. હાલમા સરકાર દ્વારા વિકાસના ઘણા પ્રોજેકટ ચાલી રહ્યા છે, જેમાવિકાસના નામે આદીવાસી સમાજને સૌથી વધુ નુકશાન થઈ રહ્યુ છે. આજ કારણે હવે આદિવાસી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. આજના કાર્યક્રમમાં કુંભારિયા ગામના સરપંચ, સિંબલપાણી ગામના સરપંચ અને પાંસાના સરપંચ સહિત વિવિધ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા.
આદિવાસી સમાજના અનુસાર આ પ્રોજેક્ટોને કારણે તેમને થઈ રહ્યુ છે નુકશાન :-
(૧) રીંછડી અને કુંભારિયાની સીમમાં રીંછડીયા મહાદેવ પ્રવાસન સ્થળનો વિકાસ
(૨) તારંગા- પોશીના- અંબાજી-આબુરોડ રેલવે પ્રોજેક્ટ
(૩) બેડા પાણી ગામે ગ્રીન અંબાજી પ્રોજેકટ
(૪) સેંબલપાણી ગામે પારેવા ટુરીઝમનો પ્રોજેકટ
કેંગોરા- વિરમવેરી - નાઈવાડા ત્રણેય ગામોની સીમમાં પોલીસ ટેકરી જેવા જુદા જુદા નામ આપી આદિવાસી સમાજની જમીન તથા જળ જંગલ જમીન પડાવી લેવાનું ષડયંત્ર કરવામાં આવેલ છે. બેડાપાણી ગામે 20 પરિવારોના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મકાનો તોડી પાડી તેમને ઘરવિહોણા કરી દેવામાં આવેલ છે. જેના કારણે આદિવાસી સમાજ પોતાના હક અને અધિકારો માટે લડત આપવા અને જળ જંગલ જમીનના બચાવ થાય તે માટે સેંબલપાણી મુકામે તારીખ 8/10 /2023 ના બપોરે એકઠા થયા હતા. આ કાર્યક્રમમા દિલીપભાઈ નીનામા, આદીવાસી સમાજ આગેવાન પુનાભાઈ ડુંગાઇચા, સરપંચ સિંબલપાણી અને બંસીભાઈ સોલંકી, રાજેશભાઈ દામા સહિત વિવિધ સરપંચ અને આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો -- ગોંડલના ખાંડાધારમાં થ્રેશર મશીન પલટી ખાઇ જતા સાત વર્ષના બાળકનું દબાઇ જવાથી મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે