Aravalli: સરપંચ વિના રઝળી રહીં છે 138 ગ્રામ પંચાયતો, ચૂંટણી અભાવે ગ્રામજનો ભોગવી રહ્યા છે હાલાકી
Aravalli: ભારતમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહીં છે. પરંતુ ગુજરાતમાં અનેક એવી ગ્રામપંચાયતો છે જ્યા ચૂંટણી યોજાઈ નથી. અરવલ્લી જિલ્લામાં 138 પંચાયતોમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે જેના કારણે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છ. સરકાર દ્વારા સત્વરે ચૂંટણી કરી પંચાયતોમાં સરપંચ મુકાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. નોંધનીય છે કે, અહીં સત્વરે ચૂંટણી યોજાય તેવી લોકો રાહ જોઈ રહ્યા છે.
સરપંચ અભાવે અનેક સમસ્યાઓથી ગ્રામજનો પરેશાન
અરવલ્લી (Aravalli) જિલ્લામાં કુલ 340 ગ્રામ પંચાયતો આવેલી છે જે પૈકી 138 ગ્રામ પંચાયતોમાં સરપંચની પુનઃ ચૂંટણીની મુદત અનુક્રમે છ મહિનાથી એક વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં ચૂંટણીઓ નહીં કરવામાં આવતા હાલ વહીવટદાર શાશન ચાલી રહ્યું છે જેના કારણે જિલ્લાના ગામોનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. સરપંચ અભાવે ગામોના રસ્તા પાણી તેમજ દાખલા જેવી અનેક સમસ્યાઓથી ગ્રામજનો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
સરપંચ નહીં હોવાને પગલે પંચાયતો બંધ જોવા મળી
તમને જણાવી દઈએ કે, મોડાસા તાલુકાના ટીંટોઇ ગ્રામ પંચાયતમાં કે જયાં ગામમાં 10 હજારની વસ્તી વસવાટ કરે છે તેમ છતાં પંચાયતને ખંભાતી તાળું મારેલું જોવા મળ્યું ખાસ કરીને વહીવટદાર અને ગ્રામ પંચાયતોના તલાટીઓ પણ અન્ય પંચાયતોમાં ચાર્જ હોવાને પગલે પંચાયતમાં નિયમિત આવી શકતા નથી. તેવા સંજોગોમાં સરપંચ નહીં હોવાને પગલે પંચાયતો બંધ જોવા મળી રહી છે. હાલ પરીક્ષાઓ પુરી થઈ અને પરિણામ પણ આવી ગયા છે ત્યારે વિધાર્થીઓ ને પણ આગળ અભ્યાસ માટે દાખલા પણ કાઢવાના હોય છે, તેવામાં પંચાયતો સરપંચ અભાવે નિયમિત નહીં ખુલતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
જ્યારે આ અંગે રાજ્યના આદર્શ અને મોડેલ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી ચૂંટણીઓ પેન્ડિંગ હોવાનું પહેલી વાર બન્યું છે જેનું કારણ સુપ્રીમ કોર્ટમાં એક મેટર થઈ અને નામદાર કોર્ટે જે દાયરેક્શન આપ્યું એના કારણે જે સમય વીત્યો જેના પગલે ચૂંટણી લંબાઈ છે જેથી સરપંચ અભાવે ગામોની નાની મોટી સમસ્યાઓ થતી હોય છે.