VADODARA : "રોડ અને પાણી નહીં તો વોટ નહીં", અનેક સોસાયટીના રહીશોની ચીમકી
VADODARA : વડોદરા શહેરના વાઘોડિયા રોડ (WAGHODIA ROAD) પર આવેલ બાપોદ પોલીસ સ્ટેશન (BAPOD POLICE STATION) પાછળની 12 જેટલી સોસાયટીના રહીશો દ્વારા 9 મીટરનો રોડ અને પાણી વધુ પ્રેશરથી આપવામાં આવે તેવી માંગ કરી છે. જો તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર અંગેના બેનર લગાવતાની સાથે જ પોલીસે ઉતારી લીધા હતા અને સ્થાનિકોએ પોતાની સોસાયટીમાં જઇ આ સમસ્યા અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને જો તેનો ઉકેલ નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
રોડ 9 મિટરનો મંજૂર થયેલો છે
શહેરના વાઘોડિયા રોડ બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ આવેલી પર્ણછાયા, કમલાપાર્ક, દ્વારકેશ, પર્ણશિલ, આશ્રય, શ્યામલ રેસિડેન્સી, બંશરી વિગેરે 12 જેટલી સોસાયટીઓ સહિત અનેક સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીઓ ક્રિષ્ના કોમ્પ્લેક્ષથી સાનિધ્ય ટાઉનશિપ રોડ ઉપર આવેલી છે. આ રોડ 9 મિટરનો મંજૂર થયેલો છે. પરંતુ, કોર્પોરેશન દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં, 9 મિટરનો રોડ આપવામાં આવ્યો નથી.
સાંકડા રોડ ઉપર જ બનાવવામાં આવી રહ્યો છે
સુત્રો જણાવે છે કે, હાલમાં કોર્પોરેશન દ્વારા સાનિધ્ય ટાઉનશિપથી ક્રિષ્ણા કોમ્પ્લેક્ષ સુધી નવો રોડ બનાવવાનુ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ રોડ હયાત સાંકડા રોડ ઉપર જ બનાવવામાં આવી રહ્યો છે. તેની સામે વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોની માગ છે કે આ રોડ પહોળો કરીને એટલે કે 9 મિટરનો મંજૂર થયેલ છે તે મુજબનો આપવા અમારી માંગ છે.
શા માટે નાનો બનવવામાં આવે
આ અંગે સ્થાનિક મહિલા ભારતીબેન મોદીએ જણાવ્યું હતું કે, અમારી માંગ 9 મીટરના રોડની છે કે જે હાઇવે ટચ થાય છે. આ રોડ મંજુર કરવામાં આવ્યો છે, તે શા માટે નાનો બનવવામાં આવે છે. આગળ ફરસખાના વાળા નાના રોડ પર પોતાના વાહનો મૂકે છે, અમારે ક્યાંથી જવાનું, અમારા વાહન તો નીકળતા નથી અને રોજ ઝઘડા થાય છે. સાથે પાણી જે પ્રમાણમાં પ્રેશરથી આવવું જોઈએ તે આવતું નથી.
અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું
અન્ય એક સ્થાનિક આગેવાન પિયુષ પટેલે જણાવ્યું હતું કે, અહીંયા અમે વર્ષ 2009થી રહેવા આવ્યા છીએ. અહીંયા આસપાસ કેટલીય સોસાયટીઓ બની સોસાયટીઓનું ડેવલપમેન્ટ થયું છે, પરંતુ અહીંયા સુવિધાઓ મળી નથી. વર્ષ 2009થી અમે અહીંયા પાણી અને રોડની માંગણી કરી રહ્યા છીએ. આ વિસ્તારમાં પાણીની લાઈન જેમ જેમ સોસાયટી બની તેમ તેમ તેમાંથી કનેક્શન આપવામાં આવ્યા છે, જેના કારણે હાલમાં આવતા પાણીમાં પ્રેશર યોગ્ય પ્રમાણમાં મળતું નથી. અમારા વિસ્તારમાં આવેલ આ રોડ કોર્પોરેશનના નકશામાં 9 મીટરનો છે, જ્યારે તે હાલમાં માત્ર ચાર મીટરની જ બનાવવામાં આવી રહ્યો છે. અમારી માંગણી એટલી જ છે કે અમને 9 મીટર નો રોડ કરી આપવામાં આવે પાણીનું યોગ્ય પ્રેશર મળે. જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું.
આ પણ વાંચો --VADODARA : મુસાફરોને ઠાંસી ઠાંસીને ભરી લઇ જતા ખાનગી વાહનોની જગ્યાએ સન્નાટો