VADODARA : કોમન પ્લોટને કચરાપેટી બનાવી દીધા બાદ ભીષણ આગ
VADODARA : વડોદરાના મકરપુરા જીઆઇડીસીમાં આવેલા કોમન પ્લોટને કચરાપેટી બનાવી દીધા બાદ તેમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં લાગેલી ભીષણ આગને પગલે સ્થાનિકો શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. ઘટના અંગે જાણ થતા જ તાત્કાલિક ફાયરના લાશ્કરોએ ઘટના સ્થળે દોડી જઇને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ ઝડપથી પ્રસરી
વડોદરાના મકરપુરા જીઆઇડીસીમાં 4 હજારથી વધુ ઓદ્યોગિક એકમો આવેલા છે. આ એકમો પૈકી કેટલીક ફાઇબર શીટ સાથે સંકળાયેલી કંપનીઓ છે. મકરપુરા જીઆઇડીસીના કોમન પ્લોટમાં ફાઇબરનો વેસ્ટ મોટી સંખ્યામાં નાંખવામાં આવ્યો હતો. આમ, કોમન પ્લોટને કચરાપેટી બનાવી દેવામાં આવ્યું હતું. તાજેતરમાં આ સ્થળે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ફાઇબરનો વેસ્ટ હોવાથી આગ ઝડપથી પ્રસરી હોવાનું અનુમાન છે. આ ઘટનામાં જોત જોતામાં જ આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
સંપુર્ણ પણે આગ પર કાબુ નહિ
આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા જ લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ લાગવાને કારણે ધુમાડાના ગોટેગોટાથી આસપાસના રહીશોને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાની બુમો ઉઠવા પામી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 8 થી વધુ ફાયર બ્રિગેડના બંબા આગ ઓલવવાની કામગીરીમાં જોતરાઇ ચુક્યા છે. છતાં હજી સંપુર્ણ પણે આગ પર કાબુ મેળવી શકાયો નથી.
સંયુક્ત પ્રયાસ હાથ ધરવા જોઇએ
સુત્રોએ જણાવ્યું કે, આ ફાઇબર વેસ્ટ અહિંયા આટલી મોટી માત્રામાં કોણે નાંખ્યો તેની તપાસ થવી જોઇએ. અને જે કોઇ કસુરવાર ઠરે તેને દંડ ફટકારવો જોઇએ. ઘટનાને પગલે વીસીસીઆઇના સત્તાધીશો, નજીક કાર્યરત કંપનીના માલિકો પણ દોડી આવ્યા હતા. આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પાલિકા સત્તાધીશો, કંપની સંચાલકો અને ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત પ્રયાસ હાથ ધરવા જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો -- VADODARA : પાણી નહી મળતા મહિલાઓનો રોષ ફાટી નિકળ્યો