VADODARA : એક સપ્તાહથી સમારકામની વાટ જોતું પાણીની નલિકાનું ભંગાણ
VADODARA : શહેરના લાલબાગ બ્રિજ (LALBAUG WATER TANK - VADODARA) પાસે આવેલી જર્જરિત ટાંકી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેના કાટમાળમાં પાણી વિતરણ કરતી બાયપાસ લાઇન તુટી ગઇ છે. જેને લઇને 7 દિવસથી કરોડો લિટર પાણી વેડફાયું હોવાના આરોપ કોંગી કોર્પોરેટરે લગાવ્યો છે. પાલિકા તંત્ર દ્વારા આ પાણીનું વિતરણ કરતી બાયપાસ લાઇન કેટલા સમયમાં રીપેર થાય છે તે જોવું રહ્યું.
બાયપાસ નલિકા તુટી
લાલબાગ બ્રિજ પાસે આવેલી પાણીની ટાંકીમાંથી માંજલપુર, દંતેશ્વરક અને નવાપુરા વિસ્તારમાં પાણી આપવામાં આવતું હતું. હાલ ટાંકી ઉતારવાની કામગીરી ચાલી રહી હોવાથી સંપમાં બુસ્ટ કરીને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ પાણીની ટાંકી ઉતારતી વેળાએ કાટમાળમાં પાણીનું વિતરણ કરતી બાયપાસ નલિકા તુટી ગઇ હોવાનું કોંગી કોર્પોરેટર બાળુ સુર્વેના ધ્યાને આવ્યું હતું. જે બાદ તેમણે પાલિકા તંત્રમાં રજૂઆત પણ કરી હતી. છતાં હજી સુધી કોઇ સંતોષકારક કામગીરી હાથ ધરવામાં નહિ આવતા લાખો લિટર પાણી વહી જવા પામ્યું છે. પાલિકા સુત્રોના જણાવ્યા અનુસાર, આ લાઇનમાં ભંગાણથી પાણી વિતરણમાં કોઇ અસર નહિ પડે.
ઓછા પ્રેશરથી પાણી આવે છે
કોંગી કોર્પોરેટર બાળુ સુર્વે જણાવે છે કે, પાણીનું પ્રેશર ઓછુ આવવા અંગે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, આ લાલબાગ ટાંકી છે, જ્યાંથી 7 જેટલા ઝોનમાં પાણીનું વિતરણ થાય છે. અહિંયાથી માંજલપુર, દંતેશ્વર, નવાપુરા, એસઆરપી વિસ્તારમાં આવેલા અલગ અલગ ઝોનમાં પાણી જાય છે. આ પાણીની મુખ્ય નલિકામાં એક સપ્તાહ પૂર્વેથી મોટું ભંગાણ પડ્યું છે, પાણી વહી જાય છે, હજારો ગેલન પાણી ગટરમાં જાય છે, વહી જાય છે, લોકોને પીવાનું પાણી નથી મળતું. વરસાદ પડ્યો હોય તેવી સ્થિતી આસપાસમાં જોઇ શકાય છે. જે તે અધિકારીઓએ વહેલી તકે આ પ્રકારના ભંગાણનું રીપેરીંગ તાત્કાલિક ઘોરણે કરાવવું જોઇએ, આમ ન થવાના કારણે પાણી મળતું નથી, ઓછા પ્રેશરથી પાણી આવે છે તેવી સમસ્યાઓ સાથેના અસંખ્ય ફોન આવે છે, આ પ્રકારના કામોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવા જોઇએ.
તાબડતોબ કામગીરી હાથ ધરવી જોઇએ
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ખાસ કરીને ઉનાળામાં અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ સામે આવતો હોય છે. તેવી સ્થિતીમાં પાલિકા તંત્ર દ્વારા પાણીના આ રીતના વેડફાટને અટકાવવા તાબડતોબ કામગીરી હાથ ધરવી જોઇએ તેવો સ્થાનિકોનો મત છે.
આ પણ વાંચો -- VADODARA : ઓવરલોડ કામગીરીની અસર સ્મશાનની ચિતા પર વર્તાઇ