VADODARA : નાગાબાવાના વેશમાં રૂપીયા ખાવાનું જણાવી હાથફેરો કરનાર ઝબ્બે
VADODARA : વડોદરા (VADODARA) માં નાગાબાવાના વેશમાં આવી દુકાનદારને રૂપીયા ખાવાનું જણાવી હાથફેરો કરનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (CRIME BRANCH) દબોચી લીધા છે. આ મામલે વાડી પોલીસ મથક (VADI POLICE STATION) માં અગાઉ ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને દબોચી લેતા ગુના ઉકેલાવવા પામ્યો છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી હાથફેરાની રકમ પૈકી રૂ. 3 હજાર પણ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.
પુછપરછમાં વટાણા વેરી દીધા
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મિલકત સંબંધિત ગુનામાં સંડોવાયેલા તથા ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી કે, સનફાર્મા રોડ બ્રહ્માકુમારી આશ્રમ પાસેથી શંકાસ્પદ જણાતા નસીબનાથ સમજુનાથ મદારી (રહે. રીંટોલા, ભિલોડા - અરવલ્લી) તથા સાવનનાથ સુરમનાથ મદારી (રહે. બાલોલ, જુના રેલવે સ્ટેશન પાસે, પંચમહાલ) ની અટકાયત કરવામાં આવી હતી. બંનેની સઘન પુછપરછ કરવામાં આવતા તેણે વટાણા વેરી દીધા હતા.
વાડી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા
દસેક દિવસ પહેલા ઇસમો નાગા બાવાના વેશમાં ડભોઇ સોમાતલાવ ક્રોસ રોડ પરની બેનર પ્રિન્ટીંગની દુકાનમાં ગયા હતા. ત્યાં દુકાનદારને વાતોમાં પરોવી ટેબલ પરના ડબ્બામાંથી રૂપીયા ખાઇ જઇ ગાયબ કરવાનું જણાવ્યું હતું. દુકાનદારને આરોપી ખાલી જ પુછતો હશે તેમ માની લઇ હા પાડતા આરોપીએ દુકાનદાર સામે ડબ્બામાંથી કાઢેલા રૂપીયા મોંઢામાં નાંખવાનો ઢોંગ કરીને દુકાનદારની નજર ચુકવીને રૂ. 13 હજાર લઇ ગયા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપી પાસેથી રૂ. 3 હજાર મળી આવ્યા હતા. જે અગાઉ કરેલા હાથફેરાના હોવાનું તેણે જણાવ્યું હતું. આ મામલે વધુ તપાસ માટે આરોપીઓને વાડી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા.
ગુનો ઉકેલી કાઢ્યો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઉપરોક્ત કાર્યવાહીમાં નસીબનાથ સમજુનાથ મદારી (રહે. રીંટોલા, ભિલોડા - અરવલ્લી) તથા સાવનનાથ સુરમનાથ મદારી (રહે. બાલોલ, જુના રેલવે સ્ટેશન પાસે, પંચમહાલ) ની અટકાયત કરી છે. અને વડોદરાના વાડી પોલીસ મથકમાં નોંધાયેલો ગુનો ઉકેલી કાઢ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : સુરક્ષાના સુચનોનું પાલન નહી કરનાર 81 સ્કુલવાન-રીક્ષા ચાલકો દંડાયા