PANCHMAHAL : હાથમાં જ્યોત સાથે ઘૂંટણીયે ચડી માં મહાકાળીના દર્શને જતા અનોખા ભક્ત
- આણંદના સુંદરણાના માઇ ભક્તની પાવાગઢ મહાકાળી માતાજી સાથે અતૂટ શ્રદ્ધા
- 23 વર્ષથી અલ્પેશભાઈ દર શુક્રવારે અચૂક પાવાગઢ આવે છે અને પોતાના ઘૂંટણથી પગથિયાં ચઢી દડવંત માતાજીના મંદિર સુધી પહોંચે છે
PANCHMAHAL : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન જગત જનની મહાકાળી માતાજી સાથે માઈ ભક્તોનો અનેરો વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે અને જેના જીવંત પુરાવા પણ ભક્તોની આકરી ટેક વેળાએ થતી કસોટી થકી જોવા મળી રહી છે. સાથેજ માતાજીના આશીર્વાદ થકી કેટલાય માઇ ભક્તો કઠોર કહીં શકાય એવી આખડી માનતા અને ટેક સાથે અવિરત માતાજીના દરબારમાં આવી રહ્યા છે. આવી જ એક અનોખી ટેક અને નેમ સાથે માતાજી પાસે કોઈપણ આશા અપેક્ષા કે માંગણી વગર વિશ્વ કલ્યાણર્થે આણંદના પેટલાદ નજીક આવેલા સુંદરણા ગામના માઇ ભક્ત અલ્પેશ બાપજી છેલ્લા 23 વર્ષથી દર શુક્રવારે કોઈપણ સંજોગો અને ઋતુમાં પાવાગઢ ખાતે આવે છે અને પોતાના ઘૂંટણથી પગથિયાં ચઢી દંડવત માતાજીના મંદિર સુધી પોહચી નિજ મંદિરમાં જઈ માતાજીના દર્શન કરે છે. જ્યાં વ્યક્તિને ચાલતાં એકલા ચઢવું મુશ્કેલ હોય ત્યાં અલ્પેશ બાપજીની શ્રધ્ધા કઈક અનેરી જોવા મળે છે. દિપક અને પાંચ પાંચ લીલા નારિયેળ લઈ પગથિયાં ચઢતાં હોય છે.આ ઉપરાંત અલ્પેશ બાપજી માચી ખાતે ભંડારો કરી ભક્તોને જમાડી ધન્યતા અનુભવી રહ્યા છે. તો બીજી તરફ અલ્પેશ બાપજી સાથે આવેલા અનુયાયી ભક્તોમાં અનેરો આનંદ સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
માચી થી શક્તિ દ્વાર સુધી દંડવત
દૈવી શક્તિ ઉપર અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસ ભક્તોને મજુબત મનોબળ પુરૂ પાડે છે.જેથી યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજી સાથે લાખ્ખો ભક્તોની આસ્થા સંકળાયેલી છે. માતાજી સાથેની આવી જ આસ્થાની જીવંત પ્રતીતિ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુંદરણા ગામના માઈ ભક્ત અલ્પેશભાઈ કરાવે છે. અલ્પેશ ભાઈ છેલ્લા 23 વર્ષથી દર શુક્રવારે અચૂક પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન માટે આવે છે. દર્શન માટે લાખ્ખો શ્રદ્ધાળુઓ આવતાં હોય છે પરંતુ માઇ ભક્ત અલ્પેશભાઈના દર્શન કરવાની પદ્ધતિ જોતાં એવી રીતે દર્શન કરવાની કલ્પના પણ કરી શકાય નહીં. જેથી આ રીતે દર્શન કરવા એ થોડું નહિં ખૂબ જ અઘરું છે. માઇ ભક્ત અલ્પેશભાઈ પાવાગઢ ખાતે માચી થી શક્તિ દ્વાર સુધી દંડવત કરતા અને શક્તિ દ્વારથી માતાજીના મંદિર જવાના પગથિયાં હાથમાં પાંચ લીલા શ્રીફળ રાખી જેમાં એક શ્રીફળ ઉપર જ્યોત પ્રગટાવી માત્ર ઢીંચણના સહારે કોઈપણની મદદ વિના માતાજીના જયઘોષ સાથે દડવંત પ્રણામ કરતાં કરતાં માતાજીના દરબાર સુધી પહોંચે છે.
અવિરતપણે માતાજીની દયા જારી
અલ્પેશભાઈના જણાવ્યાં અનુસાર તેઓએ મનોમન નક્કી કર્યુ હતું કે વિષ્ણુ ભગવાને વિશ્વ કલ્યાણ માટેના યજ્ઞમાં દડવંત કર્યા હતા ત્યારે પોતે પણ કોઈપણ મનોકામના કે અપેક્ષા વગર માતાજીના દરબારમાં દડવંત પ્રણામ કરી આવશે એવી નેમ લીધી હતી અને જે આજ દિન સુધી અવિરતપણે માતાજીની દયાથી જારી છે. દડવંત કરી પગથિયાં ચઢી મંદિર સુધી પહોંચ્યા બાદ પણ તેઓને કોઈ તકલીફ નથી થતી કે આરામ પણ કરતાં નથી. વળી હાથમાં વજનદાર એવા પાંચ લીલા નારિયેળ લઈને આવવા અંગે અલ્પેશભાઈ જણાવે છે કે માતાજીનો આ નારિયેળથી સવારે અભિષેક કરવામાં આવે છે જેનો અનેરો મહિમા છે. માઇ ભક્ત અલ્પેશભાઈ સાથે તેઓના કેટલાય સાથી માઇ ભક્તો પણ આવે છે આ ઉપરાંત નવરાત્રિ ટાણે પણ તેઓનો પગપાળા સંઘ અચૂક પાવાગઢ ખાતે વર્ષોથી આવે છે.
ઢીંચણના સહારે પગથિયાં ચઢી મંદિર સુધી પહોંચવું એ ખૂબ જ અઘરૂ છે.
સામાન્ય રીતે કોઈપણ ઉંચાઈ વાળા સ્થળે પગથિયાં ચઢી જવા માટે ખૂબ જ શ્રમ વેઠવો પડે છે.જેમાં પણ ઉનાળા કે ચોમાસાની સ્થિતિ હોય તો ખુલ્લામાં પગથિયાં ચઢવા ખૂબ જ કઠિન પડે છે. ત્યારે ઢીંચણના સહારે પગથિયાં ચઢવાની કલ્પના માત્રથી ઘૂંટણના દુઃખાવા અને અન્ય તકલીફથી સામાન્ય વ્યક્તિ વિચારમાં મુકાઈ જાય છે. આ સંજોગોમાં માઇ ભક્ત અલ્પેશભાઈના અવિરતપણે 23 વર્ષથી માતાજીની શ્રદ્ધા જ તેમના દરબારમાં દંડવત પ્રણામ સાથે પોકારી રહી છે એમ ઉલ્લેખવુ અતિશયોક્તિ ન કહીં શકાય !!
પાંચ લીલા નારિયેળનું વજન જ સામાન્ય રીતે આઠ કિલો થાય !
માતાજીના દર્શન દડવંત કરી કરવાની નેમ સાથે 23 વર્ષથી આવતાં માઇ ભક્ત અલ્પેશભાઈ સાથે માતાજીના અભિષેક માટે લીલા નારિયેળના પાણીનો અનેરો મહિમા હોવાની આસ્થા ધરાવે છે. જેથી તેઓ દંડવત વેળાએ પણ નારિયેળ પોતાના બંને હાથમાં રાખી મંદિરમાં પ્રવેશ કરે છે. ત્યારે આ લીલા નારિયેળનું વજન જ સામાન્ય રીતે આઠ થી દશ કિલો માની શકાય ! જે વજન સાથે દડવંત પ્રણામની શક્તિ તેઓને માતાજી બક્ષી રહ્યા હોવાનું પણ તેઓ જણાવે છે.આ ઉપરાંત અલ્પેશ બાપજી માચી ખાતે પોતે રસોઈયા બની ખીચડી નો ભંડારો કરી તેઓ સાથે આવેલા તેઓના અનુયાયી અને માઇ ભક્તોને જમાડી ધન્યતા અનુભવી રહ્યા છે. તો બીજી તરફ અલ્પેશ બાપજી સાથે આવેલા અનુયાયી માઇ ભક્તો જણાવી રહ્યા છે કે અલ્પેશ બાપજી સાથે તેઓ દર શુક્રવારે આવતા હોય છે અને બાપજી સાથે માતાજીના દર્શન કરવા જતાં હોય છે ત્યારે બાપજી સાથે માતાજીના દર્શન કરવામાં એક અલગજ અહેસાસ થાય છે અને માં મહાકાળી નો સાક્ષાત દર્શન થાય છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
આ પણ વાંચો -- VADODARA : 660 હેક્ટરમાં ગુલાબની ખેતી અન્ય શહેરો સુધી મહેંક પ્રસરાવશે