Panchmahal : ગોધરામાં તિરંગા યાત્રાને લઈ વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ
અહેવાલ-નામદેવ પાટીલ, પંચમહાલ
પંચમહાલ પોલીસ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગાયાત્રા અને મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજનને લઇને આયોજન બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગોધરા શહેરના શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાય તે માટે પોલીસ વિભાગ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચાલુ વર્ષે 'મારી માટી મારો દેશ' અને 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પંચમહાલ પોલીસ દ્વારા બંને કાર્યક્રમો વિશેષરૂપે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે આગામી ૧૩ તારીખે પંચમહાલ પોલીસ દ્વારા ગોધરા શહેરમાં એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોધરા શહેરના તમામ ગણેશ મંડળ, વિવિધ વેપારી સંગઠનો, વિવિધ શાળા કૉલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય તે માટે પોલીસ વિભાગ દ્વારા આયોજન બેઠક યોજવામાં આવી હતી, જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ સમાજના અગ્રણીઓને લોકોને વધુમાં વધુ આ તિરંગા યાત્રામાં જોડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું
13 તારીખે યોજાનારી આ વિશાળ તિરંગાયાત્રા ગોધરા શહેરના પોલીસ મુખ્યમથક ખાતેથી નીકળી ચર્ચ સર્કલથી લઈને શ્રીગણેશજી વિસર્જનયાત્રાના પરંપરાગત રૂટ પર ફરીને પોલીસ મુખ્યમથક ખાતે સમાપન પામશે,આ બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા તિરંગાયાત્રાને સફળ બનાવવા માટેના તમામ પ્રયાસો કરવાની ખાતરી આપવામાં આવી હતી.તેમજ આ તિરંગા યાત્રામાં મુસ્લિમ સેવાભાવી સંસ્થાઓ તેમજ અગ્રણીઓ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે. સાથે આ યાત્રામાં લઘુમતી સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાશે. આ આયોજન બેઠકમાં તમામ રાજકીય પક્ષના નેતા સહિત વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારી સંગઠનના અગ્રણીઓ,વિવિધ ગણેશ મંડળના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો-અમદાવાદ બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત : 10ના મોત