Gandhinagar : કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવા આદેશ
ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ ખેતી પાકને થયેલા નુકસાનીનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવા આદેશ કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ મુકાશે. આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે. જે સ્થળે વધુ કમોસમી વરસાદ થયો ત્યાં પ્રાથમિકતાના ધોરણે સર્વે કરવા આદેશ અપાયો છે. કમોસમી વરસાદથી થયેલા પાકને નુકસાન અંગેની સમીક્ષા બેઠકમાં કૃષિમંત્રીએ જિલ્લા કલેકટર આ સર્વે માટે ટીમ બનાવી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ આપ્યો છે.
પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં ફેલાયેલા કપાસ, એરંડા અને તુવેરના ઉભા પાકને વરસાદને કારણે અસર થઈ છે. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતો પાયમાલ થઇ ગયાં છે. કપાસ, ઘઉં, ચણા, જુવાર, ડુંગળી, મરચા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. લો વિઝિબિલિટીથી વાહનવ્યવહારને અસર પહોંચી હતી. ઝાકળવર્ષાને લઈ ગુલાબી ઠંડીનો અહેસાસ થયો અને ઘણી જગ્યાએ આહલાદક નજારો જોવા મળ્યો હતો. રાજ્યમાં પવન સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો -૧૯મી ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયનશીપ યોજાઈ