VADODARA : વિતેલા 3 વર્ષમાં 84 વિદેશી લોકો ભારતીય નાગરિક બન્યા, જાણો શું આપ્યા કારણ
VADODARA : સીએએનો કાયદો અમલમાં આવતાની સાથે જ હવે ભારતીય નાગરીકતા (INDIAN CITIZENSHIP) મેળવવું પહેલા કરતા સરળ અને ત્વરીત બન્યું છે. એક સમય એવો પણ હતો કે, નાગરીકતા મેળવવાની સમગ્ર પ્રક્રિયા ઓફલાઇન હતી. જેને લઇને કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે આ પ્રક્રિયા ઓનલાઇ (ONLINE) કરી દેવામાં આવતા લોકો માટે કામ સરળ બન્યું છે. તેવામાં વિતેલા ત્રણ વર્ષમાં વિવિધ દેશોની નાગરિકતા ધરાવતા 84 વિદેશી નાગરીકો ભારતીય બની વડોદરામાં સ્થાઇ થયા છે. સીએએ (CAA) અમલમાં આવતા આવનાર સમયમાં વધુ લોકો દેશના નાગરિક બનશે.
હવે નાગરિકતા મેળવવા માટે દોઢ વર્ષ જેટલો સમય લાગે છે
ભારતીય નાગરિકતા મેળવવા માટેની હાલ પ્રક્રિયા ઓનલાઇન છે. જે ઇચ્છતા લોકોએ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું હોય છે. તમામ નિયમોને અનુસર્યા બાદ ચાર અલગ અલગ સ્થળેથી તે અંગેની તપાસ હાથ ધરવામાં આવે છે. તપાસ બાદ એકત્ર કરેલી માહિતીના આધારે વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવે છે. આ અહેવાલ બાદ જે તે વ્યક્તિને નાગરિકતા આપવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઇ થઇ ગયા બાદ હવે નાગરિકતા મેળવવા માટે દોઢ વર્ષ જેટલો સમય લાગે છે. હાલ આ સમગ્ર કામગીરી દિલ્હીથી કરવામાં આવે છે. સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજી કરનાર વ્યક્તિને નાગરિકતા આપવામાં આવે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતીએ વડોદરામાંથી 6 અરજી પેન્ડિંગ છે.
નાગરિકતા માટે અરજી કર્યા બાદ શું થાય
કોઇ પણ દેશના નાગરિક ભારતીય નાગરિકતા મેળવવા માટે અરજી કરે ત્યાર બાદ તેને લાંબા સમયના વિઝા આપવામાં આવે છે. આ લાંબા ગાળાના વિઝા દરમિયાન નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું હોય છે. તેનો સમયગાળો પૂર્ણ થઇ ગયા બાદ તેની તપાસ કરવામાં આવતી હોય છે. જેના આધારે વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવે છે. જે બાદ અરજી કરનાર વ્યક્તિને નાગરિકતા આપવામાં આવે છે.
શું કહે છે પાકિસ્તાનમાં સમય વિતાવી ચૂકેલા રહીશ
વડોદરાના છાણી વિસ્તારમાં 12 વર્ષથી રહેતા ભગવાન ભાઇ મૂળ પાકિસ્તાનના છે. તેઓએ 4 વર્ષ પહેલા નાગરિકતા માટેની અરજી કરી હતી. તેઓ જણાવે છે કે, ભારત મારો દેશ છે. જેથી દેશમાં પરત ફર્યા છે. પાકિસ્તાનમાં અનેક હિંદુઓ હેરાન-પરેશાન થઇ રહ્યા છે. જે અન્ય હિંદુઓ પાકિસ્તાનમાં પરેશાન થાય છે, તેમણે ભારત પરત ફરવું જોઇએ
દેશ અપનાવવા અમેરિકા છોડ્યું
મૂળ વડોદરાના કિશોર મિસ્ત્રી અમેરિકામાં ગયા હતા. અને ત્યાં તેમને અમેરિકાની નાગરિકતા મળતા તેમણે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. પરંતુ તેમણે પરિવારસહ ભારતની નાગરિકતા મેળવવા માટે અરજી કરી છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના નાગરિકત્વ આપવામાં આવશે.
કયા દેશમાંથી કેટલા લોકોએ નાગરિકતા મેળવી
પાકિસ્તાન - 64
અફઘાનિસ્તાન - 7
બાંગ્લાદેશ - 5
અમેરિકા - 4
આફ્રિકા - 4
આ પણ વાંચો -- Ahmedabad : ફતેહવાડીમાં મોડી રાતે ભીષણ આગ, 3 રિક્ષા, 50 બાઈક બળીને ખાખ, એક વૃદ્ધ મહિલાનું મોત