GARC નો દ્વિતીય ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો
- GARC ના બીજા અહેવાલમાં રાજ્ય સરકારને કરવામાં આવેલી ભલામણો
- સરકારી વેબસાઈટ યુઝર ફ્રેન્ડલી બનાવવી
- સરકારી કચેરીઓનો સમય સવારે 9.30 થી સાંજે 5.10 કરવો
- સિટીઝન ચાર્ટર વધુ અસરકારક બનાવવી
Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત @ 2047માં વિકસિત ગુજરાત @ 2047ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (Gujarat Administrative Reforms Commission - GARC) ની રચના કરેલી છે. GARC 10 જેટલી ભલામણો સાથેનો દ્વિતીય ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો હતો. જેમાં ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપના ધ્યેયને ધ્યાનમાં રાખીને સિટીઝન સેન્ટ્રિક 10 ભલામણોનો સમાવેશ થાય છે.
(01). સરકારી વેબસાઈટ્સ યુઝર ફ્રેન્ડલી બનાવવી
સરકારી વેબસાઈટ્સ અને એપ્લિકેશન્સની ગુણવત્તા, સુલભતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ઓગસ્ટ 2025 સુધીમાં બધી સરકારી વેબસાઈટ્સનું મૂલ્યાંકન કરવા અને ભારત સરકારની વેબસાઈટ્સ અને એપ્લિકેશન્સ માટેની (GIGW 3.0) માર્ગદર્શિકાનું પાલન કરવા GARC એ જણાવ્યું છે.
(02). નાગરિક ચાર્ટરને અસરકારક બનાવવું
સિટીજન ફર્સ્ટના અભિગમ સાથે તમામ નાગરિક સેવા વિતરણ વિભાગો માટે સેવાઓ તથા તે સેવાઓ પૂરી પાડવાની સમયમર્યાદા, ફરિયાદ નિવારણ પદ્ધતિઓ અને જવાબદેહિતા અંગેની પ્રણાલી વિશે સંપૂર્ણ વિગતો સાથે નાગરિક ચાર્ટર પર બનેલી એક મજબૂત સિસ્ટમ વિકસાવી.
(03). સરકારી સેવા વિતરણ પોર્ટલ્સને સિટિઝન ફ્રેન્ડલી બનાવવા
તમામ સરકારી સેવાઓ માટે સિંગલ સાઈન-ઓન બનાવવાની ભલામણ કરવામાં આવેલ છે જેથી કાર્યક્ષમ ઈન્ટર ઓપરેબિલિટી સુનિશ્ચિત કરીને નાગરિકોને કોઈપણ સરકારી યોજના અથવા કાર્યક્રમનો લાભ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થઈ શકે. વધુમાં, નાગરિકને વિવિધ લાભો મેળવવા માટે સમાન પ્રકારની ડેમોગ્રાફિક અને ઓળખ અંગેની માહિતી અલગથી દાખલ કરવાની પ્રક્રિયામાથી મુક્તિ મળશે.
(04). ટેકનોલોજી દ્વારા સરકારી પ્રમાણપત્રોની ચકાસણી થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી
સરકારના પારદર્શિતા અને એકાઉન્ટેબિલિટીના અભિગમને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા બહાર પાડવામા આવેલ સત્તાવાર પ્રમાણપત્રો, લાયસન્સ, મંજૂરીઓ અને અન્ય દસ્તાવેજોની અધિકૃતતા ચકાસવા માટે સરકારે ટેક-ઈનેબલ્ડ QR-આધારિત પદ્ધતિ વિકસાવી.
(05). ફરિયાદ નિવારણ પ્લેટફોર્મને નાગરિક-કેન્દ્રિત અને વ્યાપક બનાવવુ
હાલના SWAGAT પ્લેટફોર્મને વધુ વ્યાપક બનાવીને સરકાર વિવિધ ફરિયાદ નિવારણ પદ્ધતિઓને એકીકૃત કરશે. આ એકીકૃત પ્લેટફોર્મ નાગરિકોને તેમની ફરિયાદો નોંધાવવા માટે બહુવિધ ચેનલો પ્રદાન કરશે. ઉદાહરણ તરીકે ઈમેઇલ, વોટ્સએપ, ફોન કોલ્સ, ઓનલાઈન પોર્ટલ વગેરે.
(06). અસરકારક જ્ઞાન વ્યવસ્થાપન દ્વારા સંસ્થાકીય જ્ઞાનને મજબૂત બનાવવું
સરકાર 'નોલેજ ટ્રાન્સફર પ્રોટોકોલ' વિકસાવશે જે અનુસાર બધા કર્મચારીઓ (ટ્રાન્સફર થઈ રહ્યા હોય અથવા નિવૃત્ત થઈ રહ્યા હોય) ને અન્ય આવનાર કર્મચારીને Knowlegde Transfer દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે જેથી સસ્થાકીય જ્ઞાનને વધુ સુદૃઢ કરી શકાય. આ ઉપરાંત સરકારના વિભાગો અને કચેરીઓ તેઓની કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી સંદર્ભે "Know Your Department" ના થીમ પર મલ્ટીમીડિયા સામગ્રી વિકસાવવાની રહેશે જેથી નાગરિકોને સરકારી કામગીરી સમજવામાં મદદરૂપ થઈ શકે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : સુરતના મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ મોદી સરકાર પર જાહેર કર્યો વિશ્વાસ
(07). સરકારી વાહનો માટે પ્રોટોકોલ
સરકારી વિભાગો દ્વારા ઉપયોગમાં લેવાતા જૂના વાહનોના નિકાલ માટે સરકાર વાહન નિકાલ પ્રોટોકોલ નક્કી કરશે અને બિન-ઉપયોગી વાહનોના નિકાલ માટેની હાલની વ્યવસ્થાને વધુ સરળ બનાવવા અંગેની ભલામણ પણ કરવામાં આવી છે.
(08). બિન-ઉપયોગી ફર્નિચરના નિકાલ માટેનો પ્રોટોકોલ
સરકાર આગામી 6 મહિનાની અંદર તમામ જાહેર કચેરીઓમાં ફર્નિચર નિકાલ પ્રોટોકોલ વિકસાવશે અને તે અનુસાર બિનઉપયોગી ફર્નિચરનો નિકાલ કરવા અંગે પણ આ અહેવાલમાં સુચવાયુ છે.
(09). શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની કચેરીઓ માટે કચેરી સમય સવારે 9:30 થી સાંજે 5:10 કરવો
જેથી અસરકારક કાર્યદિવસ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકતામાં વધારો લાવવો. કાર્યક્ષમતા વધારવા અને વર્ક – લાઈફ બેલેન્સના અભિગમે ધ્યાનમા રાખતા સરકારની ક્ષેત્રીય કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓ-સંસ્થાઓના સત્તાવાર કાર્ય સમયને સવારે 09:30 થી સાંજે 05:10 વાગ્યાનો રાખવાની ભલામણ આ અહેવાલમાં કરવામાં આવી છે.
(10). સરકાર દ્વારા સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ
સરકાર સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના માધ્યમથી સરકાર દ્વારા કરવામાં આવતી રોજિંદી પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક સ્તરે વિવિધ યોજનાઓ, સક્સેસ સ્ટોરીને લગતા ઈન્ફોગ્રાફિક્સ, સમજૂતી વાળા વીડિયોઝ વગેરેના જનતા સુધી સરળતાથી પહોંચે તે મુજબના પગલા લેવા. આ માટે સરકાર સોશિયલ મીડિયા હેન્ડલિંગ માર્ગદર્શિકા બનાવશે અને દરેક વિભાગ અને તેમની સંબંધિત ક્ષેત્રીય કચેરીઓમાં, પાયાના સ્તરે, સોશિયલ મીડિયા આઉટરીચ વધારવા માટે એક વિશિષ્ટ કાર્યબળ પણ સ્થાપિત કરવાની ભલામણ કરી છે.
આ ભલામણ અહેવાલો GARCની વેબસાઇટ https://garcguj.in/resources ઉપર અપલોડ કરવામાં આવેલા છે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : ડો. યજ્ઞેશ દવેની અપીલ, પરશુરામ જયંતિની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવી