Film Aandhi :સેલ્યુલોઇડ પર કંડારાયેલ કવિતા-3
Film Aandhi- ગુલઝાર એટલે પ્રેક્ષકોની નાડ પારખનાર ફિલ્મકાર. ગમે એવા ગંભીર વિષયને એટલી તો સુંદર રીતે ફિલમાવે કે ગીતમાં ઢાળે એ કૃતિ દર્શકના દિલમાં ઉતારી જાય. ગીતકાર ગુલઝાર,નિર્દેશક ગુલઝાર કે કથા પટકથા લેખક ગુલઝાર-કોઈ પણ સ્વરૂપે એ એમના નામ મુજબ સંપૂર્ણ જ હોય.
ना ग़िलाफ़, ना लिहाफ़
ठंडी हवा भी ख़िलाफ़ ससुरी
ओ इतनी सर्दी है किसी का लिहाफ़ लई ले
ओ जा पडोसी के चूल्हे से आग लई ले
जा पडोसी के चूल्हे से आग लई ले
આઈટમ ગીતમાં ય કેટલી ગહનતા !!! ..जा पडोसी के चूल्हे से आग लई ले.. કેવું સૂચક?
આજે નજર નાખીશું 'આંધી'ના કર્ણમધુર ગીતો પર!
સૌપ્રથમ જોઈએ રાગ યમન પર આધારિત "ઇસ મોડ સે જાતે હૈં..."ને! અહીં ગીતની સિચ્યુએશન સમજવી જરૂરી છે. નાયક-નાયિકા વચ્ચે પ્રેમનાં અંકુર ફૂટી રહ્યાં છે. ઠંડી, ગુલાબી મદહોશી ઉભયનાં તન-મનને વીંટળાયેલી રહે છે. એક મીઠો અજંપો છે, ઉચાટ છે. આશા અને ઉત્સાહ પણ છે. પણ આ તબક્કે સંબંધોમાં હજુ અનિશ્ચિતતા છે. તેથી જ ગુલઝાર ગીતમાં મંઝિલની નહીં, રસ્તાઓની વાત કરે છે. નાયક-નાયિકા જ્યાં ઊભા છે, ત્યાંથી સંભાવનાઓના અનેક રસ્તા નજર સમક્ષ પથરાઈને પડ્યા છે. ચયન સહેલું નથી. દરેક રસ્તાની પોતાની સુંદરતા છે ; સાથે જ પોતાની મર્યાદાઓ પણ છે. આરતીના મુખે મુકાયેલી પહેલી બે પંક્તિઓમાં ગુલઝાર તેનો નજરિયો માંડે છે.
"ઇસ મોડ સે જાતે હૈં,
કુછ સુસ્ત કદમ રસ્તે,
કુછ તેઝ કદમ રાહેં..."
વિકલ્પ 'કુછ તેઝ કદમ રાહેં'નો
Film Aandhi માં એક તરફ નાયક - જેકે સાથે જીવન પથ પર ચાલવાનો પર્યાય છે. આ એવો રસ્તો છે જ્યાં જીવન સુખ, શાંતિ સાથે, સફરનો આનંદ માણતાં માણતાં વિતાવી શકાય એમ છે. તો બીજો વિકલ્પ 'કુછ તેઝ કદમ રાહેં'નો છે. પોતાની મહાત્ત્વાકાંક્ષી કારકિર્દીના રસ્તે ડગ માંડવાની સંભાવનાઓ છે, જે રસ્તે જીવનમાં ગતિ છે, સફળતા છે, પણ સાથીનો પ્રેમ મળશે કે નહીં, એ વિશે અવઢવ છે.
ત્યાર બાદની, જેકેના મુખે મુકાયેલી બે પંક્તિઓમાં જેકેના નજરિયા તરફ ગુલઝાર આંગળી ચીંધે છે. તેની સામે ત્રણ રસ્તા છે - એક રસ્તો પથ્થરની અડીખમ, પ્રશસ્ત હવેલી તરફ જાય છે (અર્થાત જ્યાં સંબંધો પાષાણની દીવાલો જેવા મજબૂત તો હશે), પણ ભીતરે તે રિક્ત, પોકળ કે લાગણીહીન હોઈ શકે!
બીજો રસ્તો જાય છે કે 'શીશે કે ઘરોંદોં મેં', જ્યાં સંબંધો ચમકતા કાચ જેવા સુંદર છે, પરંતુ અત્યંત નાજુક છે. તેમાં મજબૂતી નથી. ગમે ત્યારે કકડભૂસ થઈ જાય! અને ચમક પણ ક્યાં સુધી રહેશે ખબર નથી.
….અને ત્રીજો રસ્તો છે 'તિનકોં કે નશેમન (માળો)' તરફ જતો! ઘાસ, પાંદડાં, લીલીસૂકી ડાળખીઓ ભેગી કરી, ભારે જતનપૂર્વક બનાવેલા માળામાં પ્રેમ છે, હુંફ છે, આત્મીયતા છે ; પરંતુ સમયની 'આંધી' સામે ટકવાનું તેનું ગજુ નથી.
રસ્તાના રૂપક દ્વારા આ ગીતમાં ગુલઝાર સંબંધોને તાગે છે.
"આંધી કી તરહ ઉડકર,
એક રાહ ગુઝરતી હૈ..."
વળી આ રસ્તા કેવા છે ? આંધી જેવા! આંધી કશાને પણ ગતિ આપી શકે છે ; દિશા નહીં! આરતીના ગતિશીલ અને જેકેના ઠરેલ જીવનની સંયુક્ત રાહ દિશાહીન છે.
છતાં બંનેને આશા છે કે :
"ઇન રેશમી રાહોં મેં,
એક રાહ તો વો હોગી, તુમ તક જો પહૂંચતી હૈ, ઇસ મોડ સે જાતી હૈ..."!
"એક દૂર સે આતી હૈ,
પાસ આ કે પલટતી હૈ,
એક રાહ અકેલી સી
રુકતી હૈ, ન ચલતી હૈ...."
ક્યાંક આ બધી જ પગથીઓ એક ભ્રમ તો નથી ?
અહીં નાયક આશંકા વ્યક્ત કરે છે, ક્યાંક આ બધી જ પગથીઓ એક ભ્રમ તો નથી ? પાસે આવીને આ કેડીઓ પાછી તો નહીં ફરી જાય ? પછી ન આગળ વધી શકાય કે ન પાછાં વળી શકાય, એવા રસ્તે એકલા તો નહીં પડી જઈએ ?
સમગ્ર ગીતનો સ્થાયીભાવ દ્વિધાનો છે. ગુલઝારે અતિશય ચીવટપૂર્વક, વિચારપૂર્વક શબ્દોનું ચયન કર્યું છે. પરોક્ષ અભિવ્યક્તિને તેઓએ અહીં છૂટો દોર આપ્યો છે. શબ્દો અને અર્થ વચ્ચેનો સેતુ બાંધવાનો પડકાર તેઓ ભાવક સામે ફેંકે છે.
ફિલ્મના ઈતર ત્રણ ગીતો સમજવાં આટલાં આહ્વાનાત્મક નથી. "સલામ કીજિએ..." ગીત મોહમ્મદ રફી, ભૂપેન્દરસિંહ, અમિતકુમાર અને સાથીઓએ ગાયું હતું, જેણે વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો.
"તુમ આ ગયે હો, નૂર આ ગયા હૈ..." ગીતનું શબ્દસૌંદર્ય
દિન ડૂબા નહીં,
રાત ડૂબી નહીં,
જાને કૈસા હૈ સફર...
ખ્વાબોં કે દિયે,
હાથોં મેં લિયે
વહીં આ રહે થે..
જહાં સે તુમ્હારી સદા આ રહી થી..."!
અને છેવટે "તેરે બિના ઝિંદગી સે કોઈ શિકવા તો નહીં..." તો કેમ કરી વિસરાય ?
સીધા, સરળ શબ્દોને ગુલઝારે એક વેગળા સ્તરે પર મૂકી આપ્યા છે. એક લાંબા અંતરાલના વિરહ બાદ થતા મિલનની પરિપક્વતા શબ્દે શબ્દમાં છલકાય છે. "તારા વગર જીવન વહી તો રહ્યું છે, પરંતુ તેમાં સત્ત્વ નથી રહ્યું !" - એ સંવેદના ઝીલવી તથા તેને શબ્દદેહ આપવો - આ જ છે ગુલઝારની કલમનો જાદુ !
લતા મંગેશકર જ્યારે ગાય છે : "જી મેં આતા હૈ, તેરે દામન મેં સર ઝૂકા કે હમ રોતે રહેં...", ત્યારે હૈયું નિચોવાઈ જાય છે. કિશોરકુમારે ગાયેલી "તુમ જો કહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહીં, રાત કો રોક લૂં..." પંક્તિઓ નાયકના લાચાર, સંયમિત સ્નેહને છલકાવી દે છે.
ગુલઝારની એક એક કૃતિ એક એક પાણીદાર મોતી જેવી
ગુલઝાર રચિત ગીતો જાણે નિતાંત સુંદર, રમણીય શિલ્પ સમા છે ; પણ તેને જાદુની છડીનો સ્પર્શ કરાવી, તેમાં પ્રાણ પુરનાર રાહુલ દેવ બર્મન - પંચમ છે. બંનેએ મળીને ગીતોને એક આગવો ઘાટ, રંગ, રૂપ, સ્પર્શ, સુગંધ આપ્યા છે .
ગુલઝારના અતિશય જટિલ તથા તર્જમાં બાંધવા અઘરા પડે એવા શબ્દોને પંચમે કર્ણપ્રિય ધૂનોમાં બદ્ધ કર્યા છે. મજેદાર વાત એ છે કે ગુલઝારનું દરેક ગીત વાંચી પંચમની પ્રથમ પ્રતિક્રિયા અકળામણની રહેતી ! ગુલઝાર પર તે ઉકળી જ ઉઠતા! અને છતાં પંચમે સ્વરબદ્ધ કરેલી ગુલઝારની એક એક કૃતિ એક એક પાણીદાર મોતી જેવી, ઝગારા મારતી છે! "ઇસ મોડ સે જાતે હૈં ..."ગીત જ્યારે ગુલઝારે પ્રથમ વાર પંચમને વંચાવ્યું, ત્યારે પંચમ અકળાઈને બોલી ઉઠ્યા, "યાર, યે 'નશેમન' કિસ શહર કા નામ હૈ ?"
'આંધી'ના બધા ગીતોના અંતરા વચ્ચેના અંતરાલ દરમિયાન વાગતાં વાદ્યો રાહુલ દેવે અત્યંત વિચારપૂર્વક પ્રયોજ્યાં છે. પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની વાંસળી, વિદુષી ઝરીન દારૂવાલાનું સરોદ, પંડિત જયરામ આચાર્યના સિતારના સૂરો કાનમાં અમૃત ઘોળે છે.
ગીતોના ચિત્રાંકન માટે નયનરમ્ય સ્થળોનું ચયન
ગુલઝારે ગીતોના ચિત્રાંકન માટે નયનરમ્ય સ્થળોનું ચયન કર્યું હતું. "તુમ આ ગયે હો, નૂર આ ગયા હૈ" ગીત શ્રીનગરના પ્રખ્યાત પરી મહલ બાગ ખાતે તો "ઇસ મોડ સે જાતે હૈં" ગીત પહેલગામની લીલીછમ ટેકરીઓ વચ્ચે ચિત્રિત કરવામાં આવ્યા હતા. "તેરે બિના ઝિંદગી સે કોઈ શિકવા નહીં" ગીત કાશ્મીરના અનંતનાગ પાસે, સાતમી-આઠમી સદીમાં બંધાયેલા માર્તંડ સૂર્યમંદિરના અવશેષો વચ્ચે, અત્યંત પ્રતિકાત્મક રીતે ચિત્રિત કરવામાં આવ્યું હતું.
અનેક વર્ષો સુધી ગુલઝારના મનમાં રમતાં કથાવસ્તુને તેઓએ સંવેદનાની એક અવર્ણનીય ગહનતા, મૃદુતા આપી...અને એ કાળજયી, 'કલ્ટ' કૃતિ પ્રેયકના દિલમાં સદાય માટે ભાવકોના હૈયે વસી ગઈ...
આ પણ વાંચો-Film Aandhi :સેલ્યુલોઇડ પર કંડારાયેલ કવિતા-1
અને