film kushboo : માંહ્યલા અને જીવન વચ્ચેનો સંવાદ
film Khushboo- ૧૯૭૫ના વર્ષનો મધ્ય ભાગ! રમેશ સિપ્પી પોતાની મેગા ફિલ્મ રિલીઝ કરવાની તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. બૉક્સ ઑફિસ પર 'શોલે'ના ઘોડા હણહણી રહ્યા હતા. ઍક્શન ફિલ્મો થિયેટરો ગજવી રહી હતી. એ શોરબકોરમાં એક શાંત, લીલોછમ્મ ખૂણે ગુલઝારની ફિલ્મો મંથર ગતિએ પોતાનું સૌંદર્ય, પોતાનું માધુર્ય વિખેરતી વહી રહી હતી...
'પંડિત મોશાય'ના કથાબીજ સાથે ગુલઝારની ફિલ્મ 'ખુશ્બૂ'
ગુલઝાર બાંગ્લા સાહિત્ય, સંસ્કૃતિ, રહેણીકરણી, ફિલ્મોથી ખાસ્સા પ્રભાવિત હતા - હજુ છે. સુપ્રસિદ્ધ લેખક શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત બંગાળી નવલકથા 'પંડિત માશાય'ના કથાબીજ સાથે ગુલઝારે 'ખુશ્બૂ' ફિલ્મ બનાવી. આ જ કથા પરથી અગાઉ ૧૯૫૧માં નિલેશ મૉઈત્રાએ પણ એક બંગાળી ફિલ્મ બનાવી હતી. અભિનેતા જિતેન્દ્રની ફિલ્મ કંપની 'તિરુપતિ ફિલ્મ્સ'ના નેજા હેઠળ ગુલઝારે આ પ્રથમ ફિલ્મ દિગ્દર્શિત કરી હતી. નિર્માતા હતા જિતેન્દ્ર (રવિ કપૂર)ના ભાઈ - પ્રસન્ન કપૂર!
નાયિકાનું પાત્ર નાયક જેટલું જ - અને ક્યારેક તો નાયક કરતાંય વધુ સશક્ત
કથા શરતચંદ્રની છે, તેથી, બેશક, નાયિકાનું પાત્ર નાયક જેટલું જ - અને ક્યારેક તો નાયક કરતાંય વધુ સશક્ત રહેવાનું!
કુસુમ (હેમા માલિની)અને ડૉક્ટર બ્રિન્દાબન (જિતેન્દ્ર)ના બાળપણમાં થયેલા લગ્ન સાથે ફિલ્મની કથા પ્રારંભ થાય છે.(ફિલ્મભર નાયકનું નામ 'વૃંદાવન' નહીં , 'બ્રિન્દાબન' બોલાયું છે. તે મીઠાસ જાળવી રાખવા તે નામ મેં અહીં યથાતથ લખ્યું છે.) પરંતુ બંને પરિવારો વચ્ચે ગેરસમજણ સર્જાતાં, બ્રિન્દાબનના પિતા કુસુમ અને તેનાં માતાને અપમાનિત કરી, ઘરની બહાર કાઢી મૂકે છે અને કુસુમ સાથેનો બ્રિન્દાબનનો સંબંધ તોડી નાખે છે.
વર્ષો બાદ બ્રિન્દાબન અને કુસુમનો આકસ્મિક ભેટો થઈ જાય છે. બ્રિન્દાબન હવે એક બાળકનો વિધુર પિતા હોય છે ; જ્યારે શૈશવના સંબંધને ક્યારેય ભૂલી ન શકેલી કુસુમ હજી અપરિણિત હોય છે. તેઓ એકમેકની સમીપ આવે છે. ડૉક્ટર કુસુમને પોતાની સાથે પોતાને ઘરે લઈ જવાની તત્પરતા દેખાડે છે. તેની માતા (દુર્ગા ખોટે) પણ એ બાબતે ઈચ્છુક હોય છે. પરંતુ સ્વાભિમાની કુસુમ પોતાના આત્મગૌરવના ભોગે પત્ની બનવા તૈયાર નથી હોતી. ડોક્ટરે કયા સંજોગોમાં દુઃખી, દરીદ્ર અને નિરાધાર લાખી (શર્મિલા ટાગોર) સાથે લગ્ન કરવા પડ્યા હોય છે, એ જાણ્યા બાદ કુસુમનું હૃદય કુણું પડે છે. છતાં પોતાની ગરિમા ન જળવાય એ રીતે એ પોતાને સાસરે જવા તૈયાર નથી હોતી.
ખુશ્બૂ' એક નજાકતથી ભરી ભરી ફિલ્મ
film kushboo માં ઘટનાપરંપરાની બહુલતા છે. અનેક વળાંકો લેતી કથામાં કુસુમ અને બ્રિન્દાબન - ઉભયના હૈયાની દ્વિધા, અંતરનો દ્વંદ્વ, વેદના ગુલઝારે અત્યંત ઋજુતાથી, લાઘવપૂર્વક વ્યક્ત કર્યા છે.
આમ તો જિતેન્દ્રની ગણના અભિનેતામાં ન કરી શકાય (હા, એ સ્ટાર ખરા!) ; પરંતુ ગુલઝારની 'પરિચય', 'ખુશ્બૂ', 'કિનારા' જેવી ફિલ્મો જેટલો ઉત્કૃષ્ટ અભિનય તેમણે ક્યાંય નથી આપ્યો. આ હકીકત એમના અભિનય કરતાં ગુલઝારના દિગ્દર્શનનું સામર્થ વધુ અધોરેખિત કરે છે.
જિતેન્દ્ર હંમેશાં ગુલઝારને સમર્પિત કલાકાર રહ્યા છે. આ ફિલ્મમાં તેઓનું પાત્ર મિતભાષી, સેવાભાવી, સહિષ્ણૂ ડૉક્ટરનું છે. નાયિકાની લાગણીનું તે બને એટલું જતન કરે છે. તેના ત્યાગ અને વેદનાને સમજે છે. એક સુંદર, ભાવવાહી દૃશ્યમાં બ્રિન્દાબન અને તેના માતા અચાનક કુસુમના ઘરે આવી પહોંચે છે. ઘરમાં રાંધવા માટે અનાજ નથી હોતું. કુસુમ બ્રિન્દાબનને રસોડામાં બોલાવી, ભારે સંકોચ સાથે પોતાની આપદા જણાવે છે. બ્રિન્દાબનને બજારમાં જઈ સૌદા (સામાન) લઈ આવવા કહે છે અને "આજે મારી પાસે પૈસા નથી", એમ પણ ઉમેરે છે. ત્યારે બ્રિન્દાબન કહે છે : "જિસ અધિકાર સે મુઝે સૌદા લાને કો કહા હૈ, પૈસે કી સફાઈ દેકર, ઉસે કમ મત કરો!" વૃંદાવનની પીઠ પાછળ કુસુમ પોતાની મોટી મોટી, ભાવવાહી આંખોથી નિતાંત પ્રેમ અને અહોભાવની મિશ્ર લાગણીથી તેને તાકી રહે છે. પાર્શ્વસંગીત સમગ્ર દૃશ્યને હૃદયસ્પર્શી ઉઠાવ આપે છે.
film kushboo માં જિતેન્દ્રના દેખાવ અને ગુલઝારના દેખાવમાં ઘણું સામ્ય
'પરિચય'માં ગુલઝારે જિતેન્દ્રને મૂછો લગાવી હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ નકલી મૂછોથી ભારે અકળાતા. 'ખુશ્બૂ' માટે જ્યારે ગુલઝારે તેમને સાઈન કર્યા, ત્યારે જિતેન્દ્રએ તેઓને સાફ સાફ કહી દીધું કે : "હું આ ફિલ્મમાં મૂછો નહીં જ લગાવું!" પણ જિતેન્દ્રના હઠાગ્રહ અને તકરારને ન ગણકારતાં, ગુલઝારે તેમને પોતાના જેવી મૂછો જ નહીં, પણ પોતાના જેવા જ કાળી, જાડી ફ્રેમનાં ચશ્મા પણ પહેરાવ્યા અને અમુક દૃશ્યોમાં તેઓ પોતે પહેરે છે, એવા ધોળા કૂર્તો-પાયજામો પણ પહેરાવ્યા. આ ફિલ્મમાં જિતેન્દ્રના દેખાવ અને ગુલઝારના દેખાવમાં ઘણું સામ્ય નથી લાગતું ?
કુસુમ-મજબૂત મનની, સ્વમાની સ્ત્રી
ફિલ્મમાં કુસુમનું પાત્ર સામાન્ય નાયિકાથી ચીલો ચાતરીને ઉપસાવેલું પાત્ર છે. ધીર,ગંભીર, ઠરેલ, શાંત છતાં ભીતરથી અત્યંત અશાંત અને ઉદ્વિગ્ન! તે મજબૂત મનની, સ્વમાની સ્ત્રી છે. તેનું હૃદય જેટલું મૃદુ છે, એટલી જ એ કઠોર પણ બની શકે છે - પોતાની સાથે પણ અને અન્યોની સાથે પણ! સમગ્ર ફિલ્મ દરમિયાન તેનું પાત્ર અનેકસ્તરીય અવઢવમાં સપડાયેલું જણાય છે. તે બ્રિન્દાબનને ભૂલી નથી શકતી કે નથી અપનાવી શકતી. એક તરફ પોતાના હાથ પર ત્રોફાવેલું બ્રિન્દાબનનું નામ ભૂંસી નાખવા પોતાના હાથ પર ડામ આપે છે ; તો બીજી તરફ, તેની શોક્યના દીકરા - ચરણ પર અપાર હેત રાખે છે. તેને વારંવાર કહ્યા કરે છે : "મુઝે મા બોલ!" તેને વૃંદાવન સામે ફરિયાદ પણ છે અને કોઈક છાને ખૂણે આશા પણ છે કે તે ક્યારેક ને ક્યારેક તેને અપનાવશે!
સ્ત્રીના હ્રદયને સમજવાનું નાજુક કામ જે સહજતાથી શરતબાબુ કરી શક્યા હતા, એ જ સહજતાથી, એ જ ઉત્કટતા સાથે ગુલઝાર પણ તે કરી શક્યા.
પોતાની જાત સાથે ગજગ્રાહમાં અટવાયેલી કુસુમ
પોતાની જાત સાથે ગજગ્રાહમાં અટવાયેલી કુસુમ એ શરતબાબુએ રચેલું એક વિરલ પાત્ર છે.
કથા દરમિયાન તે પંથકમાં ફેલાયેલી મહામારીને પગલે બ્રિન્દાબનને કુસુમના ગામમાં એક રાત રહી જવાની ફરજ પડે છે. કુસુમ તેને એના ઘરે જ રહી જવા કહે છે. સવારે જે વખતે બ્રિન્દાબન પાછો જવા નિકળે છે, તે વખતના સંવાદોમાં દિગ્દર્શક અને સંવાદલેખકની તાકાત અનુભવાય છે.
જૂજ શબ્દોમાં, પોતાનું સન્માન પૂરેપૂરું જાળવીને, કુસુમે સ્વેચ્છાએ કરેલું સમર્પણ ખૂબ હૃદયસ્પર્શી છે. બ્રિન્દાબન કુસુમ ને પુછે છે કે, "મારામાં એવી શેની ઉણપ છે, જે તું મને વારેવારે ના પાડે છે ?"
આંખમાં અશ્રૂ સાથે કુસુમ કહે છે, "અધિકારની કમી છે તમારામાં!કેમ પતિના અધિકારથી મારો હાથ પકડીને મને ઘેર નથી લઈ જતા ?"
આ સમયે બંનેના હાવભાવ અને આંખો શબ્દોનું કામ કરે છે. જીવનની એક નિર્ણાયક ક્ષણે નિર્ણય લેવાની હિંમત કુસુમ દાખવે છે, બ્રિન્દાબન નહીં!
કુસુમ વાચાળ છે. અનેક પ્રસંગે વ્યક્ત થાય છે ; જ્યારે બ્રિન્દાબન મિતભાષી છે. ઝાઝો વ્યક્ત નથી થતો. પણ તેની વેદના પણ ઓછી નથી. ફિલ્મભર, મોટે ભાગે, તેનું અંતર આંખો વડે જ અભિવ્યક્ત થાય છે.
ફિલ્મ ખુશ્બૂએ 'અભિનેત્રી'ની યાદીમાં હેમા માલિનીને સામેલ કરી
film kushboo-'ખુશ્બૂ' સુધી, જિતેન્દ્રની જેમ, હેમા માલીનીની પણ માત્ર 'સ્ટાર વેલ્યુ' હતી. 'અભિનેત્રી'ની યાદીમાં તેનું નામ સામેલ કરવામાં ગુલઝારની ફિલ્મોનો સિંહફાળો છે. 'ખુશ્બૂ' બાદ 'કિનારા', 'મીરા', 'લેકિન' જેવી Gulzar -ગુલઝારની ફિલ્મોમાં તેમના અભિનયે પ્રેક્ષકોના હૈયાં જીતી લીધાં છે, જેનું શ્રેય, બેશક, ગુલઝારને જાય છે.
માસ્ટર રાજુ શ્રેષ્ઠા (ચરણ), ફરીદા જલાલ (કુસુમની સખી - મન્નો), અસરાની (કુસુમનો ભાઈ - કુંજભૈયા), દુર્ગા ખોટે (બ્રિન્દાબનના માતા) જેવા કલાકારોએ પોતપોતાની ભૂમિકાને ઉમદા ન્યાય આપ્યો છે.
નાનો ચરણ એક દૃશ્યમાં કુસુમ પાસે પાણી માગે છે. કુસુમ પાણીનું પવાલું તેની સામે ધરી, હસીને કહે છે : "પહેલે મા બોલ, ફિર પાની દૂંગી!" એ લાંબી ચાલતી ખેંચાતાણીને અંતે ચરણ કંટાળીને તેને 'મા' બોલી દે છે અને પાણી પીને ભાગી જાય છે.
ત્રણ ચાર દૃશ્યો પછી તે ઠાવકો થઈ પિતા બ્રિન્દાબનને સલાહ આપે છે, "ઉસકો (કુસુમને) જલ્દી સે 'મા' બોલ દેના, વર્ના પાની નહીં દેગી!" આ અને આવાં ઘણાં દૃશ્યોમાં ચરણ પોતાના બાળસહજ તોફાનથી પ્રેક્ષકોના ચહેરા પર સ્મિત ઝળકાવી જાય છે.
સારિકા પણ બાળકલાકાર
બાળ કલાકાર સારિકા એક નાની ભૂમિમાં દેખા દે છે ; પણ તેનું પાત્ર ફક્ત નાયક-નાયિકા વચ્ચે ગેરસમજણનો વધુ એક મુદ્દો ઊભો કરવા વપરાયું છે, જેને બિનજરૂરી લેખી શકાય. ખુશનુમા અને ખુશમિજાજ મન્નો કુસુમની એક માત્ર મીઠી વીરડી સમી સખી હોય છે. કુસુમના હૃદયનો ખૂણોખાંચરો તે જાણતી હોય છે. વખતોવખત તેને સાંત્વના અને હિંમત આપવાનું તે કામ કરે છે.
ફિલ્મ ધરતીની સોડમ લઈને આવે છે
ફિલ્મનો ગ્રામ્ય પરિવેશ ગુલઝારે સુપેરે ઝીલ્યો છે. ફિલ્મ ધરતીની સોડમ લઈને આવે છે. ગ્રામ્યજીવન, ગ્રામ્ય સમાજનું સુંદર રૂપ ગુલઝારે ઉપસાવ્યું છે. સાદી, સુતરાઉ સાડી અને ઓછામાં ઓછા મેક અપમાં હેમા માલીનીનું દક્ષિણી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. અનેક દિગ્દર્શકોએ ગ્રામ્ય પાર્શ્વભૂમિ લઈએ ધીંગી ફિલ્મો બનાવી છે, નૅશનલ અવૉર્ડ્સ જીત્યા છે. ગુલઝારે ગામડાંને સહેજ સરખો ગ્લૅમરસ સ્પર્શ આપ્યો છે, જે ફિલ્મમાં સકારાત્મકતા લઈને આવે છે. અહીં ગરીબી છે, કંગાલિયાત નથી, લાચારી નથી. એ પરિસ્થિતિમાં પણ ગરીમા છે.
હેમામાલીનીના લજ્જાના ભાવ મન-હ્રદય જીતી લે છે
રાહુલ દેવ બર્મનનું સંગીત ક્યાંક ધીર-ગંભીર, ક્યાંક ઉછળતું-કૂદતું, તો ક્યાંક વેદનાસભર છે. એક લાંબી પ્રતીક્ષા બાદ મેઘધનુષી દિવસોને ઉંબરે ઊભેલી, કોડીલી નાયિકાનું ગીત "ઘર જાયેગી, તર જાયેગી, ડોલિયા ચઢ જાયેગી...." એક આશા-ઉલ્લાસનું ગીત છે. આશા ભોંસલેએ તેમાં "દુલ્હનિયા મર જાયેગી..." જે રીતે ગાયું છે, તે અને એને સુસંગત હેમામાલીનીના લજ્જાના ભાવ મન-હ્રદય જીતી લે છે.
"દો નૈનોં મેં , આંસૂ ભરે હૈં, નિંદિયા કેસે સમાયે..." ગીતમાં "નિંદિયા..."નું પુનરાવર્તન કુસુમની વેદનાને જાણે ઘૂંટે છે. અહીં પણ નાયિકાની વેદનાને હેમા માલીનીના અભિનયે સુંદર ન્યાય આપ્યો છે, જેને માટે, ફરી એક વાર, Gulzar -ગુલઝારને સલામ! ન્યૂનતમ વાદ્યો સાથે ગવાયેલું આ ગીત કથાની ગમગીનીને અસરકારક રીતે વ્યક્ત કરે છે.
ફરીદા જલાલની નાની પણ અસરકારક ભૂમિકા
બે અલ્લડ પનિહારીઓ અને એક નિર્દોષ, ખિલતી કળી જેવું બાળક - ત્રણેય વચ્ચેના સમીકરણે એક ઉત્કૃષ્ટ ગીત આપ્યું છે - "બેચારા દિલ ક્યા કરે, સાવન જલે, ભાદોં જલે... દો પલ કી રાહ નહીં, એક પલ રૂકે, એક પલ ચલે..."! ફરીદા જલાલ એક સદાબહાર અભિનેત્રી છે. તેમની હાજરી વાતાવરણને હળવું ફૂલ બનાવી દે છે.
માંહ્યલા અને જીવન વચ્ચેનો સંવાદ
film kushboo નું સહુથી ધ્યાનાકર્ષક ગીત છે : "ઓ માઝી રે....". આ ગીતની ગહનતા હૃદયને સ્પર્શી જાય છે. આ ગીત જાણે છે. અહીં રાહુલ દેવ અને ગુલઝારની બેલડીએ ફરી એકવાર પોતાનો જાદુ પાથર્યો છે. બ્રિન્દાબનની મનોદશા વર્ણવતા અચૂક શબ્દો, મધુર કંઠ અને ધીરગંભીર, વહેતું સંગીત ગીતને એક નવી ઊંચાઈ બક્ષે છે. ડૉક્ટરની સ્વસ્થ, સૌમ્ય પણ ગંભીર મૂર્તિ વહેતી નદીમાં, નાવ પર એકલવાયા ઊભા ઊભા જ્યારે ગાય છે, "ઓ માઝી રે, અપના કિનારા તો નદિયા કી ધારા હૈ..." ત્યારે તે ખૂબ પ્રતીકાત્મક લાગે છે. પોતાની જીવન નૌકા કયા બંદરે લાંગરાશે, એની એને જાણ નથી. તેથી જ વહેતી ધારાને જ તેણે જીવન બનાવી લીધું છે. કુસુમ કિનારે ઊભી ઊભી, તેની નૌકાને વિહ્વળતાથી તાકી રહે છે, એ દૃશ્ય પણ એટલું જ પ્રતીકાત્મક છે.
film kushboo માં કોઈ ખલનાયક નથી, ધારદાર સંવાદફેંક નથી, કોઈ નકારાત્મક પાત્રો કે સંજોગો નથી. નાની નાની સંવેદનાની પરંપરા રચાતાં રચાતાં કથા આગળ વધે છે.
પ્રદર્શિત થવાના પચાસ વર્ષ બાદ પણ ગુલઝારની આ નાયકાકેન્દ્રિત ઉત્કૃષ્ટ (film kushboo)ફિલ્મની ખુશ્બૂ આજે પણ તાજગી લહેરાવી દે છે.
Gulzar પોતાની ફિલ્મોને પોતાના સંતાનની જેમ જતનથી ઉછેરે છે, આળપંપાળ કરે છે, લાડ લડાવે છે. અને એ જ ગુલઝારનો 'મિડાસ ટચ' છે!
આ પણ વાંચો- Gulzar-સંવેદનાઓ બિલોરી કાચ વડે જીવનને કંડારતો સર્જક