ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vijayadashami - અસત્ પર સત્ ની જીતનું પર્વ

Vijayadashami- ‘દશ’ એટલે દસ અને ‘હરા’ એટલે હારી ગયા અથવા પરાજિત થયા. આસો સુદ દશમીની તિથિ પર દશેરા ઊજવાય છે. દશેરા પહેલાના નવ દિવસોમાં એટલે જ કે નવરાત્રિના સમયમાં દસે દિશાઓ માતાજીની શક્તિથી ભારિત થાય છે. દશમીની તિથિને દિવસે આ...
11:21 AM Oct 12, 2024 IST | Kanu Jani

Vijayadashami- ‘દશ’ એટલે દસ અને ‘હરા’ એટલે હારી ગયા અથવા પરાજિત થયા. આસો સુદ દશમીની તિથિ પર દશેરા ઊજવાય છે.

દશેરા પહેલાના નવ દિવસોમાં એટલે જ કે નવરાત્રિના સમયમાં દસે દિશાઓ માતાજીની શક્તિથી ભારિત થાય છે. દશમીની તિથિને દિવસે આ દસે દિશાઓ મા દુર્ગાના નિયંત્રણ હેઠળ આવે છે, અર્થાત્ દસે દિશાઓ પર વિજય પ્રાપ્ત થાય છે. તેથી તેને ‘દશેરા’ કે ‘દશહરા’  કહેવામાં આવે છે.

દશમીને દિવસે વિજય પ્રાપ્ત થયો હોવાથી આ દિવસ ‘વિજયાદશમી’ના નામથી પણ ઓળખાય છે. વિજયાદશમી સાડાત્રણ શુભ મુહૂર્તોમાંથી એક છે. આ દિવસે કોઈ પણ કર્મ શુભફળદાયી હોય છે.

માહાત્મ્ય

૧.  શ્રીરામના પૂર્વજ અયોધ્યાધીશ રઘુએ વિશ્વજીત યજ્ઞ કર્યો. સર્વ સંપત્તિ દાન કરીને એક પર્ણકુટીમાં રહેવા લાગ્યા. ત્યાં કૌત્સ આવ્યો. એને ગુરુદક્ષિણા આપવા માટે ૧૪ કરોડ સુવર્ણમુદ્રિકાઓની આવશ્યકતા હતી. રઘુ કુબેર પર આક્રમણ કરવા માટે સિદ્ધ થઈ ગયા. કુબેરે અશ્મંતક (કચનાર) અને શમી (ખેજડા)ના વૃક્ષો પર સોનાનો વર્ષાવ કર્યો. તેમાંથી કૌત્સએ કેવળ ૧૪ કરોડ સુવર્ણમુદ્રિકા લીધી. બાકીનું સુવર્ણ પ્રજાજનો લઈ ગયા.

૨.  શ્રીરામપ્રભુએ આ દિવસે  આ દિવસે રાવણનો વધ કર્યો.

૩. અજ્ઞાતવાસ સમાપ્ત થતા વેંત જ પાંડવોએ શક્તિપૂજન કરીને શમીના વૃક્ષમાં મૂકેલા પોતાના શસ્ત્રો ફરીથી હાથમાં લીધા અને વિરાટની ગાયો ચોરનારી કૌરવસેના પર આક્રમણ કરીને વિજય પ્રાપ્ત કર્યો અને નવમીએ રાત્રે આરાધના પછી ઊત્સવ ઊજવ્યો એ પણ આ જ દિવસ.

તહેવાર ઉજવવાની રીત

Vijayadashami-આ દિવસે સીમોલ્લંઘન, શમીપૂજન, અપરાજિતાપૂજન અને શસ્ત્રપૂજા આ ચાર કાર્યો કરવામાં આવે છે.

૧. સીમોલ્લંઘન

પરંપરાનુસાર ગ્રામદેવતાને પાલખીમાં બેસાડીને અપરાન્હ કાળે એટલે જ કે ત્રીજા પહોરે બપોરે ૪ વાગ્યા પછી લોકો ભેગા મળીને ગામની સીમા બહાર ઈશાન દિશા તરફ જાય છે. અને જ્યાં શમી અથવા અશ્મંતક વૃક્ષ હોય છે, ત્યાં સુધી જાય છે.

૨. શમી અથવા અશ્મંતક વૃક્ષનું પૂજન

કેટલાક પ્રદેશોમાં જો શમીનું વૃક્ષ હોય, તો તેનું પૂજન કરે છે. પૂજા કર્યા પછી પ્રાર્થના કરે છે ‘શમી પાપનું શમન કરે છે. શમીના કાંટા તાંબા જેવા રતાશ રંગના હોય છે.

શમીનું પૂજન શ્રીરામે પણ કરેલું. પાંડવોએ પણ અજ્ઞાતવાસ પહેલાં શમીનું પૂજન કરેલું અને શસ્ત્રો શમી વૃક્ષ પર જ સંતાડેલાં.

એથી જ શમીને પ્રાર્થના કરાય છે: હે શમી, પ્રભુ શ્રીરામે આપની પૂજા કરી છે. હું સમયપર વિજયયાત્રા ગમન કરીશ. તમે મારી યાત્રા નિર્વિઘ્ન અને સુખમય બનાવજો’ 

જો શમી વૃક્ષ ઉપલબ્ધ ન હોય, તો અશ્મંતક એટલે બિલ્વવૃક્ષનું પૂજન થાય છે. પૂજાના સમયે વૃક્ષની નીચે ચોખા, સોપારી અને સિક્કા મૂકે છે. પૂજન પછી પ્રાર્થના કરે છે, “હે અશ્મંતક મહાવૃક્ષ, તમે મહાદોષોનું નિવારણ કરો છો. મને મારા મિત્રોના દર્શન કરાવો અને મારા શત્રુઓનો નાશ કરજો.

૩. અપરાજિતાપૂજન

પૂજા સ્થળ પર અષ્ટદળની આકૃતિ કરે છે. આ અષ્ટદળનું મધ્યબિંદુ  ભૂગર્ભબિંદુ એટલે કે દેવીના અપરાજિતા રૂપના ઉત્પત્તિબિંદુના પ્રતીક તરીકે છે તથા અષ્ટદળનું અગ્રબિંદુ, અષ્ટપાલ દેવતાઓનું પ્રતીક છે. આ અષ્ટદળના મધ્યબિંદુ પર અપરાજિતાદેવીની મૂર્તિની સ્થાપના કરીને તેનું પૂજન કરવામાં આવે છે.

અપરાજિતા શ્રી દુર્ગાદેવીનું મારક રૂપ છે. પૂજન કરવાથી દેવીનું આ રૂપ પૃથ્વીતત્ત્વના આધાર પર ભૂગર્ભમાંથી પ્રગટ થઈને, પૃથ્વીના જીવો માટે કાર્ય કરે છે. અષ્ટદળ પર આરૂઢ થયેલું આ ત્રિશુળધારી રૂપ શિવના સંયોગથી, દિક્પાલ અને ગ્રહદેવતાની સહાયતાથી આસુરી શક્તિઓનો નાશ કરે છે. પૂજન પછી શત્રુનો નાશ અને સર્વેના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

Vijayadashami પર્વે કેટલાંક સ્થાનો પર અપરાજિતાદેવીનું પૂજન સીમોલ્લંઘન માટે જતા પહેલાં જ કરી લેવામાં આવે છે. શમીપત્ર તેજનું ઉત્તમ સંવર્ધક છે. તેથી શમી વૃક્ષની પાસે જ અપરાજિતાદેવીનું પૂજન કરવાથી શમીપત્રમાં પૂજન દ્વારા પ્રગટ થયેલી શક્તિ જળવાઈ રહે છે. શક્તિતત્ત્વથી ભારિત શમીપત્રને આ દિવસે ઘરમાં રાખવાથી આ લહેરોનો લાભ વર્ષભર મેળવી લેવાનું જીવોને માટે શક્ય થાય છે.

એકબીજાને અશ્મંતકનાં પાન સોનાનાં રૂપમાં શા માટે અપાય છે ?

વિજયાદશમીને દિવસે અશ્મંતકનાં પાન સોનાનાં રૂપમાં દેવતાને અર્પણ કરવામાં આવે છે. આપસમાં પ્રેમભાવ ઉત્પન્ન કરવા માટે અશ્મંતકનાં પાન શુભચિંતકોને સોનાનાં રૂપમાં આપીને તેમના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

અશ્મંતકનાં પાંદડામાં ઈશ્વરી તત્ત્વ આકર્ષિત કરી લેવાની ક્ષમતા વધારે હોય છે. બિલ્વદળમાં-બિલીપત્રમાં ૧૦ ટકા રામતત્ત્વ અને શિવતત્ત્વ પણ વિદ્યમાન હોય છે. આ પાંદડાઓ આપવાથી પાંદડાઓ દ્વારા વ્યક્તિને શિવની શક્તિ પણ પ્રાપ્ત થાય છે. આ પાંદડા વ્યક્તિમાં તેજતત્ત્વની સહાયતાથી ક્ષાત્રવૃત્તિ પણ વધારે છે.

કેટલાંક સ્થાનો પર નવરાત્રિના કાળમાં રામલીલાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રભુ રામભગવાનના જીવન પર આધારિત લોકનાટક પ્રસ્તુત કરવામાં આવે છે. દશેરાને દિવસે તેમ જ લોકનાટકના અંતમાં રાવણ અને કુંભકર્ણની પ્રતિમાઓનું દહન કરવામાં આવે છે.

દશેરાને દિવસે શસ્ત્રપૂજન

આ દિવસે રાજા અને સરદાર પોતાના શસ્ત્રો અને ઉપકરણોને ચોખ્ખા કરીને તેમની પૂજા કરે છે. તેમજ ખેડૂતો અને કારીગરો પોતાના ઉપકરણો અને હથિયારોની પૂજા કરે છે. કેટલાક લોકો આ શસ્ત્રપૂજા નવમીના દિવસે પણ કરે છે.

દશેરાને દિવસે રાવણનું પૂતળું બાળવાનો અર્થ છે, અન્યાય અને અનૈતિકતા નષ્ટ કરવી !

દશેરા એટલે વિજયનો તહેવાર ! ન્યાય અને નૈતિકતાનું પર્વ ! સત્ય અને શક્તિનું પર્વ ! આ જ દિવસે ભગવાન શ્રીરામે રાક્ષસોના રાજા રાવણનો વધ કર્યો હતો. તે વિજયના પ્રતીક તરીકે જ પ્રતિવર્ષ દશેરાને દિવસે રાવણનું પૂતળું બાળવામાં આવે છે. આ તહેવાર કોઈપણ પ્રકારનો અન્યાય અને અનૈતિકતાનો નાશ અટળ હોય છે , એવો સંદેશ અમને આપે છે. ભલે એકાદને જગત્માંની સર્વ શક્તિઓ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, તેમ છતાં જો તે સામાજિક હિત (પ્રતિષ્ઠા)ના વિરોધમાં વર્તન કરે તો તેનો નાશ અટળ હોય છે.

દશેરાની કથા એવી છે કે, સીતાએ પરમ શક્તિશાળી રાવણ સામે કેવળ એક ઘાસની સળી અને ચારિત્ર્યસંપન્નતા (દઢ ચરિત્ર)ના બળ પર પોતાનું પવિત્ર શીલ બચાવ્યું હતું.

શ્રીરામે દુષ્ટ, દુરાચારી રાવણનો વધ કર્યો અને સીતાને તેમનું સતીત્વ એટલે પાવિત્ર્ય અને સ્ત્રીત્વનું રક્ષણ  આત્મવિશ્વાસથી કરનાર સીતાજીમાં કેટલું તેજ અને સતીનું બળ હશે !

ક્યાં દઢ આત્મવિશ્વાસથી શક્તિશાળી રાવણ સામે સ્વસંરક્ષણ કરનારા સીતા અને રાવણનો વધ કરીને તેમને સતીત્વ મેળવી આપનારા રામ, જ્યારે ક્યાં તહેવારોના નામ હેઠળ ગળાડૂબ સ્વૈરાચારમાં આળોટનારી આજની પેઢી !

આજે દેશમાં સાચો રાવણ ક્યાં બળે છે ? અહીં બળે છે કેવળ નિષ્પાપ સીતા !

સાચા રાવણોને જ્યાં સુધી બાળવામાં આવશે નહીં, ત્યાં સુધી નવ દિવસોની શક્તિ પૂજા પછી આવનારી દશેરાનું સાર્થક કેવી રીતે થશે ?

જ્યાં સુધી સાચા રાવણને ઓળખીને તેનું સમયસર દહન થતું નથી, ત્યાં સુધી ૯ દિવસોની શક્તિ પૂજા પછી સીતામાતાનું પાવિત્ર્ય અને ભગવાન શ્રીરામની દઢ મર્યાદાનો વિજય થયેલા આ દસમા દિવસનું સાર્થક્ય કેવી રીતે થશે ?

ક્યારે બળશે આ દેશમાંના સાચા રાવણો અને ક્યારે જીતશે પ્રત્યેક સીતા ?

કેટલાં દિવસ બાળીશું આપણે રાવણના ખોટાં પૂતળાં ?

ક્યારે બંધ થશે દહેજ પદ્ધતિ અને આબરુના નામ હેઠળ થનારું કુમળી સીતાઓનું દહન ?

આ પણ વાંચો- Gujarat- 'ગુજરાત દીપોત્સવી' અંકનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન

Tags :
Vijayadashami
Next Article