Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jainism-જિનશાસન નો પ્રાણ ક્ષમાપના – મિચ્છામી દુક્કડમ

Jainism -અહિંસા અને ક્ષમાપના જેનો પાયો છે એ ધર્મ.  2.04 જેટલી લઘુમતી કોમ તો ય ભારતના અર્થતંત્રમાં જૈનોનો મોટો હિસ્સો. પર્યુષણ.. તપના દિવસો.. સાધુ ભગવંતના સત્સંગનું પર્વ.  સંવત્સરી  ક્ષમાપના કોની જોડે કરવી ?ક્યારે કરવી ?કેમ કરવી ?આ તમામ સવાલોના જવાબ...
jainism જિનશાસન નો પ્રાણ ક્ષમાપના – મિચ્છામી દુક્કડમ

Jainism -અહિંસા અને ક્ષમાપના જેનો પાયો છે એ ધર્મ. 

Advertisement

2.04 જેટલી લઘુમતી કોમ તો ય ભારતના અર્થતંત્રમાં જૈનોનો મોટો હિસ્સો. પર્યુષણ.. તપના દિવસો.. સાધુ ભગવંતના સત્સંગનું પર્વ. 

સંવત્સરી 

ક્ષમાપના કોની જોડે કરવી ?
ક્યારે કરવી ?
કેમ કરવી ?
આ તમામ સવાલોના જવાબ જિનશાસન માં ખુબ ઊંડાણ થી આપવામાં આવેલ છે. ક્ષમા, કરૂણા, મૈત્રી એ જૈન શાસન ના પાયાના સિદ્ધાંતો છે. જૈન ધર્મની શરૂઆત નવકાર મંત્ર થી થાય છે અને નવકાર મંત્ર ની શરૂઆત નમો થી થાય છે.
જે ધર્મ શરૂઆતથી જ નમન શીખવે છે એ ધર્મ કેટલો વિનયવંત બનાવતો હશે એ વિચારવા જેવું છે.

Advertisement

ક્ષમાપના અત્યંત સંવેદનશીલ અને વિચારનીય

આજનો આ ક્ષમાપના વિષય અત્યંત સંવેદનશીલ અને વિચારનીય છે.
પર્યૂષણ પર્વ અને આ ક્ષમાપના પર્વ નો
સંવત્સરી નો મહાન દિવસ એટલે વર્ષ દરમ્યાન કરેલા પાપોને યાદ કરી સર્વ જીવોની ક્ષમા માંગવા નો દિવસ ....
ચૌમાસિ ક્ષમાપના પછી આપણે
સંવત્સરી પ્રતિક્રમણ પેહલા કે પછી બધાને મિચ્છામિ દૂક્કડમ કહિયે ...આ એક ...વર્ષો થી ચાલતી એક રુઢિગત પરમ્પરા છે...
પણ શુ આ યોગ્ય છે ?
આજે આપણા રોજિંદા જીવન મા ચાલતા ઘટનાક્રમ ની વાત  ....

આજે  એક વાત કહેવી છે કે જેમની સાથે વેર હતુ કે ઝગડો હતો શુ આ દિવસે આપણે એમની સાથે ક્ષમાપના કરી છે ??

Advertisement

સાચી ક્ષમાપના શુ છે ??

જેમની સાથે સારા સમ્બન્ધ છે ...એમને જ કેમ મિચ્છામિ દૂક્કડમ ?
સાચી ક્ષમાપના શુ છે ??
ક્ષમા મા "ક્ષ "એટલે.. ક્ષય અહમ નો ..
અહમ ને કોઇ કાનો -માત્રો નથી.
આજે આપણે બધાજ કોઇ ના કોઇ કારણથી અહમ મા જિવિયે છીયે. અને આજ અહમ આપણે દુર્ગતિ તરફ લઈ જાય છે.
કોઇ સાથે કોઇ નાના મોટા કારણસર વેર /મનમુટાવ થયો હોય ત્યારે આપણા મા એક અહમભાવ આવી જાય છે કે એ મારી સાથે નથી વાત કરતો તો હુ કેમ એને બોલાવુ ? અને આ વાત તો લગભગ આપણે જોઇયે છીયે ...
તો શુ આપણે એમ વિચાર્યુ કે સંવત્સરી પ્રતિક્રમણ પેહલા બધાને મિચ્છામિ દુક્કડમ કર્યુ તો જેમની સાથે વાત નથી કરતા એમને કેમ નહી ???

કેમ સામેથી આપણે ના જઈ શકીયે ???

શુ આમાં આપણો અહમ ઘવાય છે ???
શુ આ ક્ષમાપના થી આપણે નીચા થઈ ગયા ???
સાહેબ ....એક વાર એમના ઘરે જઈ એમને પગે લાગી મન થી મિચ્છામિ દુક્કડમ કહી જોજો ..સામેની વ્યક્તિ ના આંખો માથી આંસુ ના પડે તો કહેજો...
અને કદાચ એ વ્યક્તિ ને પશ્ચાતાપ ના પણ થાય..પણ તમે ક્ષમા માંગી તમારૂ જીવન ધન્ય બનાવ્યું અને તમારા કર્મો નો ક્ષય કર્યૉ .......
બસ આજ સાચી " ક્ષમાપના " છે.
બાકી તો બધો દેખાવો કે પરંપરા છે જે આપણે વર્ષો થી કરતા આવ્યા છીયે......

લગભગ 22/23 વર્ષ પેહલા ગામ મા પર્યુષણ કરાવવા વીર સૈનિક પધાર્યા હતા.
પ્રથમ દિવસે જ ટ્રસ્ટી માથી એક ભાઇનો કોઇ બાબત મા એમની સાથે વાદવિવાદ થઈ ગયો ...તમામ દીવસોમા એમને વાતચીત બંદ કરી દીઘી....
છેલ્લા દિવસે બધા સંવત્સરી પ્રતિક્રમણ કરવા બધા બેસ્યા હતા ...લગભગ 200/300 શ્રાવકો હતા અને એ ભાઇ અચાનક ઉભા થયા અને એ વીર સૈનિક ની સામે આવી એમના પગમા પડી ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા ને "મિચ્છામિ દુક્કડમ "કર્યુ ...
અને બન્ને ના આંખ માથી પશ્ચાતાપ ના આંસુ વહ્યા....
જે શ્રાવકો અને અમારા જેવા બાળકો બેસ્યા હતા બધાના આંખ મા આંસુ હતા ....
બસ આજ ખરી ક્ષમાપના છે....

જો "માણસ” તરીકે જો ભૂલ કરવાનો અધિકાર(!) આપણ ને મળ્યો હોય તો સાથે સાથે આપણાં થી થયેલી ભૂલો ની ક્ષમા માંગવી અને બીજા ની ભૂલો બદલ એને ક્ષમા આપવી એ આપણી નૈતિક ફરજ છે.

ક્ષમા માંગવી કદાચ સરળ હશે પરંતુ સામેવાળા થી થયેલી ભૂલો બદલ સાચા હૃદય થી એને ક્ષમા આપવી એ બહુ જ મુશ્કેલ છે. આવો, “કોણ સાચું ને કોણ ખોટું” નો નિર્ણય ફક્ત ભગવાન પર છોડી, “હું અને તું” ની દિવાલ ને હંમેશા માટે તોડી, આ ભવ માં આપણું કોઈ ના માટે નું “વેર” એ આવતા અનેક ભવો માં આપણાં માટે “ઝેર” નું કામ કરે એ પહેલા આ વેર ને સાચા હૃદય થી આજે જ હંમેશા માટે ખતમ કરીએ.

"મિચ્છામી દુક્કડમ” .

" ક્ષમા વીરસ્ય ભૂષણમ "....

ક્ષમા વીરો નું આભુષણ છે. જે મનુષ્ય ક્ષમા આપવાનું જાણે છે તે જ વીર છે અને તે જ મહાવીર બની શકે છે.
ક્ષમા માંગવી કદાચ આપણા થી થઇ જાય પરંતુ ક્ષમા આપવી ખુબ કઠીન છે. જે મનુષ્ય આ કળા સાધી લે તે વીર કહેવાય છે. પર્યુષણ પર્વ માં ક્ષમાપના નું અનેરૂ મહત્વ છે –
એક દિવસ, મહિનો, વર્ષ, ભવ નહિ પરંતુ ભવોભવ માં કોઈ જીવ ને આપણા થકી દુખ પહોચ્યું હોય તો એ જીવની ક્ષમા માંગવાની છે.
પર્યુષણ પર્વ Jainism જૈન ધર્મ નો મુખ્ય પર્વ છે માટે આ પર્વના આખરી દિને સંવત્સરી પ્રતિક્રમણ માં બધા જીવો ને મિચ્છામી દુક્કડમ આપવામાં આવે છે પરંતુ ક્ષમાપના ભાવના તો હરેક પળ માં હોવી જોઈએ,
પ્રતિક્રમણ ની કોઈ ક્રિયામાં વારે વારે મિચ્છામી દુક્કડમ, ખમામી,.નિંદામી, ગરિહામી આદી શબ્દો આવે છે જે ક્ષમાપના ના ભાવ ને જ પ્રગટ કરે છે. શ્રાવક દિવસ માં 2 વાર પ્રતિક્રમણ કરે તે પાપો નું જ પ્રાયશ્ચિત છે, જે દરેક ક્ષણમાં ક્ષમા નો ભાવ ઉત્પન્ન કરાવે છે અને આત્મા ને નિર્મળ બનાવે છે.

કોઈના થી વેર થયું છે તો તરત ક્ષમા માંગો, પર્યુષણ પર્વમાં આ ક્ષમા ભાવ ને અંતરાત્મા સાથે વણી લેવાના છે. કોઈપણ દુશ્મન હોય એને પગે પડી જાઓ – હાથ જોડો અને ક્ષમા યાચના કરો. અહિયાં યાચના શબ્દ મુક્યો છે – ક્ષમા ના યાચક બનવાનું છે. યાચક ભાવ નહિ જાગે તો ક્ષમા ફક્ત એક વ્યવહાર બની જશે. ના, આપણે આત્મા ને હલાવી દેવાનો છે ત્યારે જ ક્ષમા ઉત્કૃષ્ટ ભાવો સાથે પ્રગટ થશે. અને એ ભાવ જ એટલા કરૂણા સહીત હશે કે આંખોથી અશ્રુ સરી પડશે, અને ત્યારે જ સાચી ક્ષમાપના થશે.

જેનાથી પણ વેર બંધાયું એની સાથે ક્ષમાપના કરો કારણ કે આ વેર ની પરંપરા વધતી જશે, જો મનની ગાંઠો ને ના તોડી તો ભવોભવ સુધી વેર ની ગાંઠ વળગી પડશે, અને મોક્ષ માર્ગમાં બાધક બનશે. જ્યાં સુધી સાચી ક્ષમાપના ના હોય અને સામેવાળો વ્યક્તિ આપણને ક્ષમા ના આપે ત્યાં સુધી ક્ષમા માંગો – આ જ છે જૈન શાસન ના અધ્યાત્મ નું રહસ્ય.

ક્યારેક એવું થાય સંવત્સરી પ્રતિક્રમણ કર્યું અને પાછા મૂળ સ્વભાવ માં આવીને ગુસ્સો કરવા લાગ્યા, આ ઉચિત નથી. ક્ષમાપના તો શ્રી મહાવીર જેવી હોય, આપણું જીવન પણ પવિત્ર અને નિર્મળ બને. કોઈના પર ક્રોધ ના કરીએ, બધા સાથે હળી મળી ને રહીએ, આ ક્રોધ આત્માને હમેશા સળગતો રાખે છે અને પર્યુષણમાં વીતરાગ વાણી ફક્ત નિર્મળ બનવાનું શીખવે છે. જો ક્ષમાપના ના થઈ તો ક્રોધનું આયખું વધતું જશે અને વિશાખાનંદી – વિશ્વભુતી ની જેમ આગળના ભવોમાં પણ સાથે આવશે,

જ્યાં વેર છે ત્યાં ધર્મ ના હોય. વેરની ગાંઠો શેરડીના સાંઠા કરતા પણ ખતરનાક છે. ખામેમિ સવ્વ જીવે મુખેથી નહિ હૃદયથી પણ બોલવાનું છે.

જૈન ધર્મમાં ક્ષમાનું ઉત્તમ સ્વરૂપ કહે છે કે બીજા લોકો સાથે નહિ પણ ખુદની સાથે પણ ક્ષમા માંગવાની છે. રે ! જીવ, મેં તને શું હેરાન કર્યો, અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરાવું છું, વિષયોમાં મસ્ત બનાવું છું. તો તું પણ મને માફ કર – આ ભાવના ભાવવી જરૂરી છે. જે દેખાય એવા જ નહિ પણ જે નથી દેખાતા એવા અકેન્દ્રીયાદી જીવોની પણ ક્ષમા માંગવાની છે.
પ્રતિક્રમણ માં સકલ સંઘ ને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા બાદ સકલ જીવ રાશી ને પણ મિચ્છામી દુક્કડમ કહેવાના છે – જેથી 14 રાજલોક ના તમામ જીવો ની ક્ષમા યાચના થાય.

જેમના શાસનમાં આપણે છીએ એ શ્રી મહાવીર સ્વામી સંપૂર્ણ જીવન માં ક્ષમા જ આપી છે. કઠપૂતના, શુલપાણી, સંગમ, ચંડકૌશિક, હાલિક, ગૌશાલક, ગોપાલક, સિંહ આદિ સર્વ ને બસ ક્ષમા જ આપી છે.

ચંદનબાલા, બાહુબલી, વાલી, શ્રેણિક આદિ અનેકો દ્રષ્ટાંત છે. ખુદ અનંત લબ્ધી નિધાન ગૌતમ સ્વામી એક શ્રાવકની ક્ષમા માંગે છે – ત્યારે એ ભાવ નહોતાકે હું પ્રથમ ગણધર થઈને કેમ માફી માંગુ – બસ પવિત્ર મન થી ક્ષમા યાચના કરે છે. જે ઝુકશે એ તરી જશે – જે ઘમંડ માં રહેશે એ ત્યાનો ત્યાં જ રહી જશે.
જૈનો ની ક્ષમાપના જોઈને કેટલાય અજૈન લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેઓ પોતે પણ આ પર્વમાં જોડાઈ જાય છે.

મિચ્છામી દુક્કડમ ફક્ત જૈન શબ્દ નથી રહ્યો, વ્યવહારિક જીવનમાં પણ ઉપયોગ થવા લાગ્યો છે. અંગ્રેજીનું સોરી બોલો અને આર્ય સંસ્કૃતિનું મિચ્છામી દુક્કડમ બોલો – ફરક જુઓ, તમારા હાથ જોડાઈ જશે અને આનાથી જ ભારતીય સંસ્કૃતિ પ્રદર્શિત થાય છે. કોઈ કેટલા પણ ગુસ્સામાં હોય એને બસ પ્રેમથી મિચ્છામી દુક્કડમ કહો અને જુઓ કમાલ.

આપ સહુ આ પર્યુષણથી કંઈક નવી આશાઓ સાથે ક્ષમાપના આદિ આરાધના કરો અને મન ની ગાંઠો ને તોડીને આત્માને એક ઉંચી અધ્યાત્મની ઉડાન આપો જ્યાં ફક્ત મૈત્રી અને કરૂણા હોય – કોઈનું કોઈના થી વેર ના હોય અને બસ મોક્ષ તરફની ગતિશીલ ઉડાન હોય..

મિચ્છામિ ડુક્કડમ

આ પણ વાંચો-VADODARA : ગણેશજીની આગમન યાત્રામાં બે યુવક મંડળ વચ્ચે ધીંગાણું

Tags :
Advertisement

.