વિશ્વ ગુજરાતી ભાષા દિવસ-નર્મદની જય હો
ગુજરાતી ભાષાનો વીર સર્જક નર્મદ
આજે ૨૪ ઓગષ્ટ કવિ નર્મદનો જન્મદિવસ. ૨૪ ઓગષ્ટ ૧૮૩૩ના રોજ જન્મેલ નર્મદાશંકર લાલશંકર દવે (કવિ નર્મદ)ની સ્મૃતિમાં આજનો દિવસ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. નર્મદના જન્મના બે જ વર્ષ બાદ ૧૮૩૫માં લોર્ડ મેકોલેએ ભારતીય શિક્ષણ પધ્ધતિનો તેનો વિશ્વ પ્રસિદ્ધ એજન્ડા બ્રિટીશ પાર્લામેન્ટમાં મૂક્યો. તે વખતે માતૃભાષાની કલમને ખોળે માથું મૂકી જીવી શકાતું. મેકોલેની શિક્ષણ પદ્ધતિ ૧૮૫ વર્ષે રંગ બતાવી રહી છે. વિશ્વની મોટાભાગની માતૃભાષાઓની સ્થિતિ વખાણવા લાયક નથી. ભારતમાં ગુજરાતી, મરાઠી, સિંધી, જેવી અનેક ભાષાઓ લોક્મૂખે ટકી રહેવાની મથામણ કરી રહી છે. ‘ભાષાને કશું થવાનું નથી’ એવો આયોજન વગરનો નર્યો આશાવાદ જોખમી રહ્યો છે. એક સમયે અડધા વિશ્વમાં બોલાતી સંસ્કૃતભાષાનો ઈતિહાસ સાક્ષી છે...
મારી ગુજરાતી ભાષા
શાળાઓમાં સરકારની 'ટેકણ-લાકડી' વડે ચાલતી (!),
આર્થિક રીતે તંગ 'હાથો'માં પડું પડું થઈ જવાની બીકે મૂકાયેલી,
ગરીબ આંખોમાં લઘુતાગ્રંથીનું કાજળ આંજીને ઉભેલી અને લગભગ દબાયેલા સ્વરને ઉંચો કરવા મથતી મારી ગુજરાતી ભાષા ગરીબી અને ગરીબોની મોહતાજ છે.
કારણ …
બે પાંદડે થયેલી ગુજરાતી પ્રજા મારી ગુજરાતીને પોતાના કંઠમાં સ્થાન આપતાં લજ્જા અનુભવે છે. કહેવાતા ઉચ્ચ અને ભણેલા પરિવારોની આવનારી પેઢી
નાનપણથી જ પોતાની સગી મા 'ગુજરાતી' સાથે
સાવકો વ્યવહાર રાખતી થઈ જશે એવી અકળાવી મૂકનારી ખાતરી દ્રઢ થતી જાય છે.
આવનારા દિવસોમાં ગરીબ ગુજરાતી પરિવારોમાં જ ગુજરાતી બોલાશે કે શું એની ભીતિ મનને વ્યથિત કરી દે છે.
'દેવોની ભાષા સંસ્કૃત' અને 'ગરીબોની ભાષા ગુજરાતી' એવી કહેવત સર્જાવાના આરે ઉભી છે. આવનારા દિવસોમાં ગુજરાતી ભાષા માત્ર ગામડાઓમાં ખેતરોમાં માટી સાથે સંવાદ સાધતી, શહેરોમાં કારખાનામાં ખરબચડા હાથો દ્વારા ખોલાતા ટીફીનના ડબાઓમાં ખુલતી અને
દીવો હોલવાઈ ન જાય તેના પ્રયત્નમાં દીવા ફરતે ગોઠવેલી
મારા જેવા થોડાંક મૂરખની બેઉ હાથની હથેળીઓમાં
હાંસીપાત્ર ઠરતી જોવા ન મળે એ જ પ્રભુ પ્રાર્થના.