Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પશ્ચિમ બંગાળમાં ખૂની ખેલનો અંત કેમ નથી આવતો?

પશ્ચિમ બંગાળ હંમેશાં કોઈ ને કોઈ વાત, ઘટના, દુર્ઘટનાથી વિવાદમાં જ રહે છે. વિધાનસભાની ચૂંટણી સમયથી શરુ થયેલો ખૂની ખેલ ખતમ થવાનું નામ જ નથી લેતો. પશ્ચિમ બંગાળમાં હત્યાઓનો સિલસિલો લોકોની સલામતી અને સુરક્ષા સામે સવાલ ઉભા કરે છે. ચૂંટણી સમયે ખેલા હોબે... સોંગ બહુ જ પ્રખ્યાત થયું હતું. પણ હવે તો, ખૂની ખેલા ચાલી રહ્યો છે. એકપણ રાજકીય પક્ષ આ પરિસ્થિતિમાં પોતાનો પક્ષ મૂકવામાં બાકી નથી રાખતો.  ર
પશ્ચિમ બંગાળમાં ખૂની ખેલનો અંત કેમ નથી આવતો
પશ્ચિમ બંગાળ હંમેશાં કોઈ ને કોઈ વાત, ઘટના, દુર્ઘટનાથી વિવાદમાં જ રહે છે. વિધાનસભાની ચૂંટણી સમયથી શરુ થયેલો ખૂની ખેલ ખતમ થવાનું નામ જ નથી લેતો. પશ્ચિમ બંગાળમાં હત્યાઓનો સિલસિલો લોકોની સલામતી અને સુરક્ષા સામે સવાલ ઉભા કરે છે. ચૂંટણી સમયે ખેલા હોબે... સોંગ બહુ જ પ્રખ્યાત થયું હતું. પણ હવે તો, ખૂની ખેલા ચાલી રહ્યો છે. એકપણ રાજકીય પક્ષ આ પરિસ્થિતિમાં પોતાનો પક્ષ મૂકવામાં બાકી નથી રાખતો.  રાજ્યને કેવી રીતે ચલાવવું કે ક્રાઈમ રેટને કેવી રીતે ડામવો તેના સૂચનો આવતા જ મમતાદીદી ભડક્યાં. આ કંઈ યુપી નથી. ગુજરાત અને રાજસ્થાનમાં પણ લોકોને સળગાવી દેવાના બનાવો બન્યા છે.  
સાંસદ અધીરરંજન ચૌધરીએ તો બંગાળમાં બંધારણની 355ની કલમ લાગુ કરવા માટે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો. રાજ્ય સરકાર બંધારણ પ્રમાણે કામ કરે છે કે, નહીં એ જોવા માટે રાષ્ટ્રપતિ શાસન સિવાયની કલમ લાગુ કરવી જોઈએ. તૃણમૂલ કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ પહેરનારા સુવેન્દુ અધિકારીએ પણ મમતાના શાસન પર સવાલો ઉઠાવ્યા છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકાની સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગી છે. એક અઠવાડિયામાં 26 લોકોના ખૂન થયા છે. મમતાદીદી લાજવાને બદલે ગાજે છે. પ્રજાને સુશાસન આપવું એ રાજ્ય સરકારની ફરજ છે. પણ મમતાદીદી ફેલ્યોર સાબિત થયા છે. સુવેન્દુ અધિકારીને પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લેતા અટકાવ્યા ત્યારે તેમણે એક કટાક્ષ કર્યો કે, પોલીસનો આટલો ઉત્સાહ લોકોની સુરક્ષા માટે હોત તો આ નોબત જ ન આવી હોત. આ આખા બનાવની તપાસ સીબીઆઈ કે એનઆઈએ દ્વારા થવી જોઈએ એ વાત પણ તેમણે ભાર મૂક્યો છે.   
બાગટુઈ ગામમાં જીવતાં સળગાવી દેવાની ઘટનામાં આઠ લોકોના કરુણ મોત થયાં. એ પછી નાદિયામાં ટીએમસીના કાર્યકરની ગોળી મારીને હત્યા થઈ. હુગલીના તારકેશ્વરમાં મહિલા કોર્પોરેટરને કચડી નાખવાનો પ્રયાસ થયો. એક પછી એક બનાવોની જાણે વણઝાર ચાલી છે. દરેક પક્ષ આવી ઘટનાઓ પછી લડાયક મિજાજમાં આવી ગયો છે. આજે બાગટુઈ ગામમાં તમામ પક્ષના નેતાઓ અને મમતા બેનર્જી પણ જવાના છે. કલકત્તા હાઈકોર્ટે પણ સરકાર પાસેથી જવાબ માગ્યો છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે, સીસીર્ટીવીની નજર હેઠળ પુરાવાનો નાશ ન થાય કે પુરાવા સાથે ચેડાં ન થાય એ જોવાની સરકારની જવાબદારી છે.  
પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે પહેલેથી છત્રીસનો આંકડો છે. રાજ્યપાલ ધનખડે પોતાના ઓફિશીયલ ટ્વીટર હેન્ડલ પરથી મમતાના શાસન પર સવાલો ઉઠાવ્યા છે.  લોકશાહી અને માનવતા મરી પરવારી હોય એવી આ ઘટના છે. આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જરુરી છે. બંગાળની સંસ્કૃતિ અને વારસા માટે આ કાળી ટીલી સમાન ઘટના છે. અરાજકતા અને ક્રાઈમ આપણી ઓળખ ન બનવી જોઈએ એવી ટકોર પણ રાજ્યપાલે કરી છે.  
સામીબાજુ મમતા બેનર્જી પણ ઓછાં ઉતરે તેમ નથી. તેમણે પત્ર લખીને રાજ્યપાલને કહ્યું કે, સંવિધાન મુજબ તમે રાજ્યપાલના પદ ઉપર બેઠાં છો  તમારો  ઓપિનિયનાં પણ રાજકીય ટિપ્પણી લાગે છે. રાજ્યપાલપદે બેઠેલી વ્યક્તિને આ શોભા નથી દેતું. બજેટ નથી એમ કહીને એક ઝાટકે રાજભવનના ખર્ચમાં કાપ મૂકી દેવામાં કોઈ સંકોચ  ન રાખનાર મમતા બેનર્જી એમ કંઈ હાર માની લે એવાં નથી.  
વિક્ટોરિયા મેમોરિયલમાં એક વર્ચ્યુઅલ ઉદઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની વેદના વ્યક્ત કરીને કહ્યું કે, રાજ્ય સરકાર દોષિતોને નહીં છોડે અને મૃતકોને ન્યાય અપાવશે એવી આશા રાખું છું.  
સામાન્ય લોકોના મોતને ન્યાય મળવાને બદલે રાજકીય પક્ષો પોતાની રીતે દુર્ઘટનાને હાંકવા માંડે ત્યારે સરવાળે ભોગવવાનું આમ જનતાને જ આવે છે. મમતાદીદીએ જીવતાં ભૂંજાઈ ગયેલાં એ ઘટનાસ્થળની મુલાકાત લઈને આકરે પાણીએ કહ્યું કે, મને કોઈ બહાનું ન જોઈએ. દોષિતોને પકડીને જેલભેગા કરો. દીદીની આક્રમકતા જોઈને લાગે છે કે, પોલીસ કંઈ એક્શન લેશે. પણ સામાન્ય લોકોના જીવ જવાની ઘટના પર પૂર્ણવિરામ મૂકાવું જરુરી છે. જ્યાં સુધી કાયદાનો ડર ક્રાઈમ કરનારના મનમાં નહીં પેસે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી જ રહેવાની. પ્રજ્ઞાવાન બંગાળી પ્રજા સાહિત્ય અને સંસ્કૃતિનો વારસો ઘરાવે છે. આ ટાગોરની ભૂમિ છે, સુભાષબાબુની ભૂમિ છે ત્યાં આ પ્રકારના બનાવોની વણઝાર દિલને ઝંઝોળી નાખે છે.
Advertisement
Tags :
Advertisement

.