ભારતમાં કોરોનાથી 47 લાખ લોકોના મોત થયાનો WHOએ કર્યો દાવો, સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું - આંકડો ખોટો છે
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આજે વિશ્વભરમાં કોરોનાથી થયેલા મોતના આંકડા
જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં
કોરોનાથી 47 લાખ લોકોના મોત થયા છે. જો કે ભારતે આ આંકડાનો સખત વિરોધ કર્યો છે અને
ડબલ્યુએચઓના જાહેર કરવામાં આવેલા આ આંકડા અને તેની ગણતરી કરવાની પદ્ધતી પર સવાલ
ઉઠાવ્યા છે. WHO એ કોરોનાને કારણે થયેલા મોતને લઈને રિપોર્ટ જાહેર
કર્યો છે. તે રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોનાને કારણે 47 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતના
મતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જે ટેકનિક કે મોડલ દ્વારા આ ડેટા એકત્રિત કર્યા છે
તે યોગ્ય નથી. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતના વાંધાઓ હોવા
છતાં, WHOએ જૂની તકનીક અને મોડલ દ્વારા મૃત્યુના આંકડા
જાહેર કર્યા છે. ભારતની ચિંતાઓને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવી
નથી.
સરકારે એ વાત પર પણ
ભાર મૂક્યો કે WHO દ્વારા જાહેર કરાયેલા આંકડા માત્ર 17 રાજ્યોના છે.
કેન્દ્રના મતે. તે કયા રાજ્યો છે તે પણ WHO દ્વારા લાંબા સમયથી
સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું. આ આંકડાઓ ક્યારે એકત્રિત કરવામાં આવ્યા તે હજુ સુધી
જાણી શકાયું નથી. આ ઉપરાંત સરકારે એ હકીકત પર પણ વાંધો ઉઠાવ્યો હતો કે WHOએ ગાણિતિક મોડલ્સનો
ઉપયોગ કરીને ડેટા એકત્રિત કર્યો હતો. જ્યારે ભારત દ્વારા તાજેતરમાં વિશ્વસનીય CSR રિપોર્ટ બહાર
પાડવામાં આવ્યો હતો.
WHOના રિપોર્ટની વાત કરીએ તો તેના અનુસાર છેલ્લા બે
વર્ષમાં 1.5 કરોડ લોકોના મોત
કોરોનાને કારણે અથવા સમયસર સારવાર ન મળવાથી થયા છે. જેમાં ભારતનો આંકડો 47 લાખથી વધુ હોવાનું
કહેવાય છે. આ અંગે WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું છે કે આ
ખૂબ જ ગંભીર આંકડા છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે તમામ દેશોએ ભવિષ્યની
સ્વાસ્થ્ય કટોકટીનો સામનો કરવા માટે વધુ તૈયારી કરવી જોઈએ અને આ દિશામાં વધુ રોકાણ
પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.