જ્યાં શાંતિ અને ધર્મ છે ત્યાં આજે પણ રામ જીવે જ છે
રામ. બે અક્ષરનું નાનું નામ પણ એટલું જ કદાવર અને તાકાતવર વ્યક્તિત્ત્વ. ભગવાન રામની વાત આવે એટલે પહેલો શબ્દ સરી પડે, મર્યાદા પુરુષોત્તમ. દશરથ પુત્ર રામની વાત આવે એટલે રામ રાજની વાત આવે. તુલસીદાસજી અને વાલ્મીકી ઋષિએ જે વાત કરી છે એ પ્રમાણે, રામ ભગવાનના રાજમાં શાંતિ અને ધર્મ ધબકતાં હતા. કર વગરનો પ્રદેશ હતો. પ્રજા વચ્ચે સૌહાર્દ હતું. સંસ્કાર, શિક્ષા અને સુવિધા સાથેનું રાજ હતું. બીમારીઓ હતી નહીં. જીવન નિર્વાહ માટે પૂરતું મળી જાય એવી રોજગારી હતી અને પ્રજાને પાણીની કોઈ સમસ્યા ન થાય એ માટે તળાવ અને નદીઓ બારેમાસ ભરપૂર રહેતી હતી.
ભગવાન રામને અત્યારના સંદર્ભમાં જોઈએ તો લગભગ તમામ લોકો એમ કહેશે. રામ જેવું ન બની શકાય. સીતા જેવી પત્ની મળવી અસંભવ છે. રામ ભગવાનના જીવન-કથનમાંથી જો એકાદ અંશ પણ આપણી અંદર જીવતો હોય ને તો પણ બસ છે. ભગવાન રામની વિભીષણ અને સુગ્રીવ સાથેની દોસ્તી જ નહીં દુશ્મનીમાંથી પણ શીખવા જેવું છે. રાવણ અને વાલીનો વધ કરીને પણ એમણે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અન્યાય અને અહંકારનો અંત આવો જ હોય પણ એ વધ પછી પણ બંને માટે એક નબળી વાત ભગવાન રામે ક્યારેય નહોતી કરી. રામસેતુમાં મદદરુપ બનતી ખિસકોલીને હાથમાં લઈને રમાડી શકવાની કોમળતા ધરાવતા રામ એટલાં જ શક્તિશાળી યોદ્ધા છે. શૂર્પણખાનું નાક કાપ્યું એ પછી રાક્ષસોની સેના સાથે એકલા હાથે તેઓ લડ્યા હતાં. વિદ્યાર્થી તરીકે પણ એમણે એક આદર્શ સ્થાપ્યો. દસ ઘોડાવાળો ધર્મનો રથ જેમના હાથમાં છે એવા રાજા દશરથના પુત્ર હોવા છતાં કુલગુરુ વશિષ્ઠ અને બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર પાસે એમણે શસ્ત્રો, વેદો-પુરાણોની તાલીમ લીધી હતી. વિદ્યાર્થી હોવ ત્યારે તમે રાજકુંવર હોવ કે કોઈપણ કક્ષાના પરિવારના સંતાન હોવ તમારે તમામ મુશ્કેલીઓને ફેસ કરીને જ ભણવાનું રહે.
આજના જમાનામાં સૌથી વધુ જો કોઈ ઈશ્યુ હોય તો એ છે સંબંધોનો. પારિવારિક મૂલ્યો અને સંબંધો આજે પહેલાની જેમ નથી જીવાતાં. પોતાના નાના ભાઈઓ માટે જતું કરવાની ભાવના, ભગવાન રામ પોતાના ભાઈઓ માટે પિતાતુલ્ય આદર્શ બની રહેલાં. સંબંધોની વાત આવે ત્યારે આજે પારિવારિક મૂલ્યોમાં ભાઈ-બહેનો વચ્ચે બનતું હોય, જતું કરવાની ભાવના હોય એવું બહુ ઓછાં પરિવારમાં જોવા મળે છે. પણ જો ક્યાંય આ થોડુંકેય જોવા મળતું હોય, જીવાતું હોય તો ભગવાન રામ ત્યાં જીવે જ છે. ભગવાન રામે કહેલું કે, બીજાનું હિત કરવું અને અન્યાય ન કરવો. જો ક્યાંય સેવાસ્વરુપે કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય, કોઈનું ખરાબ ન કરવાની ભાવના જીવાતી હોય તો ત્યાં સૂક્ષ્મ સ્વરુપે રામ હાજર જ છે. બીજાં લોકોને પીડા આપવાથી વધારે મોટું કોઈ પાપ નથી. જ્યારે કોઈની પીડા ઓછી કરીએ કે કોઈને દુઃખ ન આપીએ, કોઈનું દિલ ન દુભાવીએ ત્યારે આપણી અંદર રામનો એક અંશ જીવી ચૂક્યો હોય છે.
બે પાત્રો પ્રત્યેની વફાદારીની વાત આવે ત્યારે રામ-સીતાની જોડીને આદર્શ ગણવામાં આવે છે. ભગવાન રામે જ્યારે શિવજીનું ધનુષ્ય તોડયું અને સીતાને વર્યાં. સીતાને ત્યારે જ એમણે વચન આપેલું કે, મારી જિંદગીમાં તારા સિવાય બીજી કોઈ સ્ત્રીને પ્રવેશ નહીં આપું. જો ક્યાંય પત્ની કે પાર્ટનર સાથેની વફાદારી જીવંત હોય તો ભગવાન રામની આંખો ઠરતી જ હશે.
ત્યાગ અને બલિદાનની ભાવનાનો ઉત્તમ આદર્શ એટલે રામ ભગવાન. રાજ તિલકની તૈયારીઓ ચાલતી હતી અને સાવકી માતા જેમને એમણે સૌથી વધુ માન આપેલું એમના વચનને ખાતર, પિતાના આદેશને અનુસરીને રામ ભગવાન વનવાસમાં ચાલ્યા ગયા. પોતાના જ નહીં પણ સાવકાં અને પારકાં સંબંધોને માટે પણ જતું કરવાની ભાવના અને મોટું મન રાખવાની લાગણી સાથે જીવવા જોઈએ એવું કંઈક નથી લાગતું? આજના દિવસોમાં સંબંધોની બાબતમાં આ થોડીઘણી વાતો પણ ગ્રહણ કરી શકાય તો ઘણાં બધાં પ્રોબ્લેમ્સના નિકાલ થઈ જાય.
કોઈ યુગલને જોઈને આંખ ઠરે ત્યારે વડીલો બોલી ઉઠે છે કે, રામ-સીતા જેવી જોડી છે. આ સાંભળીને હંમેશાં વિચાર આવી જાય કે, ખરેખર? શું રામ-સીતાની જોડી જેવા બ્લેસીંગ્સ મળે તો એ કેટલું સારું કે કેટલું વિચારણીય છે? સીતા માતા મહારાણી બનવા જઈ રહ્યાં હતાં અને વનવાસ ભોગવવાનો વારો આવ્યો. વનવાસમાં પણ શાંતિ ન મળી. રાવણ આવીને અપહરણ કરી ગયો. યુદ્ધ થયું. લંકા પર વિજય મેળવીને રામ પોતાના મહેલમાં આવ્યા. એક ધોબીની વાતે એમણે સીતાને અગ્નિપરીક્ષામાંથી પસાર થવાની ફરજ પાડી. પ્રેગનેન્સીની હાલતમાં મહારાણી સીતાને મહેલ છોડવો પડ્યો. જંગલમાં સંતાનોનો જન્મ અને ઉછેર. પછી રામ સાથે મિલાપ અને ધરતીમાં સમાઈ ગયા. સતી સીતાને કેટલું સહન કરવું પડ્યું. રામનો વિયોગ અને સંઘર્ષભરી જિંદગી. આવી જિંદગી કોઈ યુગલ ન ચાહે તેમ છતાં આ યુગલ આજેય આદર્શ ગણાય છે. એનું કારણ એમની જિંદગીમાં જીવાયેલા મૂલ્યો અને આદર્શો છે. અનેક ઉતાર-ચઢાવ છતાં જીવનમાં એકમેક પ્રત્યે કડવાશ ન આવવી એનાથી માટી વાત શું હોય શકે? આજે આપણે ત્યાં નાની સરખી તકલીફ પડે તો સાથ છોડી દેવાના કિસ્સા આપણે સાંભળીએ છીએ. જોઈએ છીએ. ક્યાંક કોઈ યુગલમાં જો ફરિયાદ વગર દામ્પત્ય જીવાતું હોય તો ત્યાં રામ-સીતા હાજરાહજૂર જ છે. રામ કે સીતાએ કોઈ દિવસ પોતાના નસીબ કેમ આવા છે એની ફરિયાદ નહોતી કરી. આપણે તો નાની સરખી તકલીફમાં નસીબને દોષ આપવા માંડીએ છીએ. કોઈનું અહિત કર્યાં વગર, સંબંધોના દરેક પાત્રને માન આપીને જો જીવન જીવાતું હોય તો ત્યાં રામ-સીતા અને ભરત-લક્ષ્મણ જીવે જ છે.
કૃષ્ણ કહે તેમ કરો અને રામ કરે તેમ કરો. આ વાત અમથી તો નહીં જ કહેવાઈ હોય અને એમ જ તો આ વાત પ્રચલિત નહીં હોયને? રામરાજ્ય શક્ય નથી કે રામની જેમ જીવવું પોસિબલ જ નથી આવી વાતો કરવાને બદલે થોડું થોડું કંઈક રામ ભગવાનમાંથી આપણી અંદર જીવાડીએને તો પણ ઘણું છે.