ઑ ઈશ્વર ભજીયે તને
આપણે ત્યાં તો કહેવાયું છે કે ૩૩ કરોડ દેવી-દેવતાઓ છે તો પછી શું જવાબ આપવાનો, પણ હવે આ જ પ્રશ્ન જરા જુદી રીતે પૂછવામાં આવે અને તમને કોઈ પૂછે કે તમારે કેટલા ભગવાન છે?
કોઈ તમને આ સવાલ પૂછે તો તમે શું કહો?
આપણે ત્યાં તો કહેવાયું છે કે ૩૩ કરોડ દેવી-દેવતાઓ છે તો પછી શું જવાબ આપવાનો, પણ હવે આ જ પ્રશ્ન જરા જુદી રીતે પૂછવામાં આવે અને તમને કોઈ પૂછે કે તમારે કેટલા ભગવાન છે? કોઈ તમને કહે કે તમે કેટલા ભગવાનમાં માનો તો એવા સમયે શું જવાબ આપવાનો અને શું આંગળીના વેઢે ગણતરી કરીને જવાબ આપવાનો કે બેચાર કે પછી છઆઠ ભગવાનમાં હું માનું છું કે પછી જે કહેવાયું છે એ ૩૩ કરોડ દેવી-દેવતાવાળો જ આંકડો જવાબમાં આપી દેવાનો અને કહી દેવાનું કે હું તો તેત્રીસ કરોડ દેવી-દેવતામાં માનું છું?
ના, એવું કરવાની જરાય જરૂર નથી. કોઈ તમને પૂછે કે તમારે કેટલા ભગવાન છે કે પછી તમે કેટલા ભગવાનમાં માનો છો તો કહેજો કે અમારે એક જ ભગવાન છે. એ એક ભગવાન હોવા છતાં તેનાં નામ અને ગુણ અનંત છે, કારણ કે તેનાં કામ અનંત છે. કહેજો કોઈ તમને પૂછે ત્યારે કે એના ગુણો પણ અનંત છે અને ક્રિયા-ગુણો અનંત હોવાને કારણે હું માનું છું એ ભગવાનની ગણતરી પણ અનંત છે.
વાત ખોટી પણ નથી.
ઈશ્વર એક જ છે અને એ ક્યારેય વધુ હોઈ જ ન શકે, પણ એની ક્રિયાઓ, એના ગુણો અને એની લીલાઓ એટલી છે કે તેને અનંત માનવા સિવાય છૂટકો નથી. એક જ બ્રહ્મ, એક જ પરમાત્માનું અસ્તિત્વ છે. આ જ અસ્તિત્વને સ્વીકારવાની જરૂર છે અને આ અસ્તિત્વને અપનાવવાની જરૂર છે. ભગવાનના આંકડાઓમાં નહીં પડો, ત્રણ કરોડ હોય કે તેત્રીસ કરોડ હોય, એ બધામાં જરાય ઊંડા ઊતરવાની જરૂર નથી. એક જ વાત યાદ રાખવાની છે કે ઈશ્વર એક જ છે, પણ એના ગુણો, એની ક્રિયાઓ અને એની લીલાઓ અગણિત છે અને એ અનંત છે અને એટલે જ સરળતા ખાતર પ્રજાએ તેને જાતજાતનાં અને ભાતભાતનાં નામ આપી દીધાં છે, પણ એ નામ વચ્ચે ક્યાંય ઈશ્વરને ભૂલવાની કે ઈશ્વરને બદલાવવા જવાની જરૂર નથી. ઈશ્વરને બદલાવનારો પોતાની ઓળખ બદલવા રાજી થતો હોય એવી વાત હું માનું છું. સંપ્રદાય બદલનારો, ભગવાન બદલનારો કે ઈશ્વરને મૂકીને બીજી કોઈ શક્તિને પૂજવા જવાનું કામ કરનારાની આસ્થા પર ક્યારેય વિશ્વાસ મૂકવો નહીં એવું કહેવામાં હું ખચકાટ નહીં રાખું. જે પોતાના ભગવાનનો નથી થઈ શકતો તે તમારો કેવી રીતે થઈ શકે એ દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ અને આ વાતને આવતી કાલથી શરૂ થતા નવા વર્ષનો સિદ્ધાંત પણ બનાવવો જોઈએ.