મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કોરોના સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી
દેશમાં ભલે કોરોનાનાં દૈનિક કેસમાં ઘટાડો થઇ રહ્યો
છે. પરંતુ આજે પણ આ વાયરસની ઝપટમાં દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશનાં
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાનુ સામે આવ્યુ છે.
CM શિવરાજ સિંહ ચૌહાણ આગામી તમામ કામ વર્ચ્યુઅલ
રીતે કરશે
મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને પોતે
કોરોનાથી સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરતા લખ્યુ
કે, 'મેં મારો RTPCR ટેસ્ટ કરાવ્યો છે, જેમાં હું કોવિડ પોઝિટિવ આવ્યો છું. મને સામાન્ય લક્ષણો છે. કોવિડ-19ની માર્ગદર્શિકાને અનુસરીને
મેં પોતાને અલગ કરી દીધેલ છે. આગામી તમામ કામ હું વર્ચ્યુઅલ રીતે કરીશ. આવતીકાલે હું
સંત શિરોમણી રવિદાસ જયંતિનાં કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થઈશ. તેમણે તેમના પછીનાં
ટ્વીટમાં લખ્યું, 'હું મારા સંપર્કમાં આવનાર મારા તમામ મિત્રોને તેમનો ટેસ્ટ કરાવવા વિનંતી કરું છું.
તેમજ મારા સંપર્કમાં આવનાર તમામ સાથીઓ પણ તાત્કાલિક અસરથી પોતાને અલગ કરી લે.
કોરોના ગાઈડલાઈનનું પાલન
કરવાની કરી અપીલ
કોરોના સંક્રમિત થયા બાદ CM શિવરાજ સિંહ ચૌહાણે લોકોને
કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે, હવે મધ્ય પ્રદેશમાં
કોવિડ-19નો ચેપ દર ઘટીને 2% પર આવી ગયો છે. આજે રાજ્યમાં માત્ર 1,222 કેસ આવ્યા છે, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી.
તેથી, તમને તમામ આરોગ્ય માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું ચાલુ રાખવા વિનંતી છે. માસ્ક પહેરો, સામાજિક અંતરનું પાલન કરો.
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે
CM શિવરાજ સિંહ ચૌહાણની જલ્દી સ્વસ્થ થવાની કરી કામના
CM શિવરાજ સિંહ ચૌહાણનાં કોરોનાથી સંક્રમિત થયા
બાદ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મુખ્યમંત્રી
શિવરાજ સિંહ ચૌહાણનાં જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. કમલનાથે ટ્વીટમાં લખ્યું છે
કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની તબિયત ખરાબ હોવાની માહિતી મળી છે. તેમને જલ્દી
સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના.