દિલ, દિમાગની જેમ જ ભાષા આપણી સાથે વણાયેલી છે
મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે કલાકારો વચ્ચે શરુ થયેલો હિન્દી ભાષાનો વિવાદ આજે ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે. છેલ્લે જે વસતિ ગણતરી કરવામાં આવી એને એમાં ભારતની વસતિના તેતાલીસ ટકા લોકો હિન્દી ભાષા બોલે છે. પછીના નંબરે બંગાળી, મરાઠી, તેલુગુ, તમિલ, ગુજરાતી અને ઉર્દૂ આવે છે. હજુ આપણા દેશમાં ક્યાંય એવું સ્પષ્ટ રીતે લખાયેલું નથી કે, હિન્દી આપણી રાષ્ટ્રભ
11:01 AM May 03, 2022 IST
|
Vipul Pandya
મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે કલાકારો વચ્ચે શરુ થયેલો હિન્દી ભાષાનો વિવાદ આજે ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે. છેલ્લે જે વસતિ ગણતરી કરવામાં આવી એને એમાં ભારતની વસતિના તેતાલીસ ટકા લોકો હિન્દી ભાષા બોલે છે. પછીના નંબરે બંગાળી, મરાઠી, તેલુગુ, તમિલ, ગુજરાતી અને ઉર્દૂ આવે છે. હજુ આપણા દેશમાં ક્યાંય એવું સ્પષ્ટ રીતે લખાયેલું નથી કે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. પરંતુ, સૌથી વધુ બોલાચાલમાં અને સરકારી કામકાજમાં હિન્દી ભાષા વપરાય છે. દક્ષિણ ભારતમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં હિન્દી કોઈ જાણતું જ નથી. આપણામાંથી ઘણાં લોકો સાઉથમાં ફરવા ગયા હશે એને આ અનુભવ પણ થઈ ચૂક્યો હશે.
સાઉથની ફિલ્મો હિન્દીમાં ડબ થઈ. સુપરહિટ ગઈ. કદાચ વાત ત્યાંથી જ શરુ થઈ. કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપે એક મુલાકાતમાં કહ્યું કે, હવે પેન ઈન્ડિયા ફિલ્મો બને છે. એ વિવાદનો પહેલો છેડો એટલે અજય દેવગન. અજય દેવગને કહ્યું કે, તો પછી તમારી ભાષાની ફિલ્મો કેમ હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરો છો. આ વિવાદમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કુમાર સ્વામી પણ કન્નડ ભાષાનો પક્ષ લઈને કૂદી પડ્યા. મનોજ બાજપેયી પણ દક્ષિણ ભારતીય ફિલ્મોની હિન્દીમાં સફળતા વિશે બોલ્યા હતા. સોનુ નિગમે ગઈકાલે એક કાર્યક્રમમાં કહ્યું કે, આપણે દુશ્મનો ઓછાં છે તો ભાષાને લઈને એકબીજાની સામે આપણે વિવાદો કરવા લાગ્યા છીએ! સોનુએ ઉમેર્યું કે, મને ખ્યાલ છે ત્યાં સુધી હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે એવી ક્યાંય નોંધ નથી. નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ કહેલું કે, ફિલ્મી દુનિયામાં લોકો લખીને આપે તે ભાષા અને ફિલ્મની ભાષા જુદી જુદી હોય છે. એ ગળે ઉતરતું નથી. સેટ ઉપર બધાં અંગ્રેજીમાં બોલે છે. પણ ફિલ્મ હિન્દીમાં બનાવે. ગુજરાતી ભાષામાં ફિલ્મો બને છે એના સેટ ઉપર જાવ તો મોટાભાગના લોકો હિન્દીમાં બોલતા જોવા મળે અને ફિલ્મ ગુજરાતીમાં બનાવે!
ગુજરાતમાં તમે ક્યાંય જાવ તો સામેવાળી વ્યક્તિ ગુજરાતી હોય તો પણ લોકો બહુ આસાનીથી હિન્દીમાં વાતો કરવા માંડે છે. હિન્દી બોલચાલની ભાષામાં આપણી સાથે એટલી સહજતા અને સરળતાથી વણાઈ ગઈ છે કે, આપણને એમાં કંઈ ખોટું કે ખરાબ લાગતું જ નથી. આ તમામ વાત અને મુદ્દાઓને લઈને રાજકારણ પણ ગરમાયું અને એક જ દેશની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો સામસામે આવી ગયા. હકીકત એ છે કે, દરેક બોલાતી અને લખાતી ભાષાને આદર મળવો જોઈએ.
એક રીસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, માનવીના દિલ, દિમાગ, લીવરની જેમ જ ભાષા આપણું અભિન્ન અંગ છે. દરેક પ્રાણી-પક્ષીની પણ એક અલગ ભાષા છે. ઈશારાની પણ એક ભાષા છે. બે વ્યક્તિઓ વચ્ચે વ્યક્ત થવાનું માધ્યમ ભાષા છે એમાં ભાષાઓની વિવિધતાને લઈને વિવાદ થાય એ જ બહુ વિચાર માગી લે એવી વાત છે. આપણા દેશના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ અને એમાં રહેલી વિવિધતા જ આપણી ઓળખ છે. થોડા સમય અગાઉ ફૂડ ડિલીવરી આપતી કંપનીએ માફી માગવી પડી હતી કેમકે, એના ડિલીવરી બોય અને કસ્ટમર કેરમાં તમિલ અને હિન્દી ભાષા બોલવા અંગે વિવાદ થયો હતો.
નેવું હજાર વર્ષ પહેલાં વાનરના ડીએનએમાં ફેરફાર થયો ત્યારથી ભાષાની સમજ જીવમાં આવી ગઈ હતી. આખી દુનિયામાં 7111 ભાષા બોલાય છે. સૌથી વધુ ચીની મેન્ડેરીન ભાષા બોલાય છે. એ પછી સ્પેનિશ, અંગ્રેજી, અરબી, હિન્દી, બંગાળી અને પોર્ટુગીઝ ભાષા આવે છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી પાંચ ભાષાઓમાં હિન્દી ભાષાનો સમાવેશ થાય છે. નેપાળ, મોરેશિયસ, ફિજી, સિંગાપોર, જર્મની, ગુયાના જેવા દેશોમાં હિન્દી ભાષા બોલનારા લોકોની સંખ્યા વધુ છે. આખી દુનિયામાં ભારત સહિત એંસી કરોડ લોકો હિન્દી ભાષા બોલે છે.
ઉર્દૂ ભાષાના ફરજિયાત હોવા અંગે પૂર્વી પાકિસ્તાન (હાલના 'બાંગ્લાદેશ')માં યુવાનો સરકારની સામે ગયા હતા. ઉર્દૂ ભાષા ફરજિયાત થઈ ત્યારે વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં શહીદી વહોરી હતી. ફ્રાન્સ, જર્મની, ઈઝરાયલ, યુક્રેનમાં પણ ભાષા માટે આંદોલનો થયા છે. 1916ની સાલમાં રેડિયો સ્ટેશને આકાશવાણી કહેવા સામે વિરોધ થયો હતો. મદ્રાસમાં રેડિયો સ્ટેશનની બહાર યુવાનોએ ધરણા લગાવ્યા હતા. 1937ની સાલમાં મદ્રાસની પ્રેસિડેન્સીમાં હિન્દી ફરજિયાત કરવા ઉપર વિરોધ થયો હતો. 1949માં એવી ભલામણ કરવામાં આવી હતી કે, અંગ્રેજીના પ્રભાવને ઘટાડવા માટે હિન્દી ભાષાના ઉપયોગ પર વધુ ભારણ આપવું જોઈએ. વન નેશન વન લેંગ્વેજની વાતો થઈ છે ભૂતકાળમાં પણ એ અમલમાં નથી મૂકાઈ. લાલ બહાદુર શાસ્ત્રીએ 1965ની સાલમાં ભારતમાં પણ હિન્દીને રાજ ભાષા તરીકે ફરજિયાત કરી ત્યારે દેશમાં જબરો વિરોધ ફાટી નીકળ્યો હતો. મદ્રાસના નેતા સી.એમ. અન્નાદુરાઈના વડપણ હેઠળ હિન્દી ભાષા ફરજિયાત કરી દેવાઈ તેની સામે આંદોલન થયું હતું. તેમાં બે યુવકોએ પોતાનો જીવ આપ્યો હતો. આ મામલાની ગંભીરતા જોઈને તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ વચન આપ્યું હતું કે, દરેક રાજ્યની પોતાની ભાષા પસંદ કરી શકશે, કેન્દ્રમાં બધો વહેવાર અંગ્રેજીમાં થશે, બે રાજ્યો વચ્ચેના વહેવારમાં અંગ્રેજી કે અંગ્રેજીનો તરજુમો કરી શકાય એ પ્રમાણે વહેવાર રહેશે. જે રાજ્યોમાં હિન્દી ભાષા નથી વપરાતી તેમનો વહેવાર કેન્દ્ર સાથે અંગ્રેજીમાં રહેશે. જો કે, હવેના દિવસોમાં પરિસ્થિતિ બદલી ગઈ છે. કેન્દ્ર સરકારમાં પચાસ ટકાથી વધુ વહેવાર હિન્દી ભાષામાં થાય છે. ભારત દેશના બંધારણની 351મી કલમ કહે છે કે, હિન્દી ભાષા સમગ્ર દેશને જોડનારી ભાષા બની છે.
ભારતની કોઈપણ ભાષા બંધારણમાં રાષ્ટ્રભાષા તરીકે નોંધાઈ નથી. દેશને જોડનારી સરળ અને સહજ ભાષાનો વિવાદ અટકવાનો નામ નથી લેતો. રોજ કોઈને કોઈ આ વિવાદને આગળ વધારે છે. કેટલાક ભાષાવિદોના મતે આ વિવાદનો અંત આણવા માટે એક નિર્ણય થવો જરુરી છે.
Next Article