કષ્ટભંજનદેવ મંદિર-સાળંગપુરનું એક હજાર રૂમવાળું ગેસ્ટહાઉસ
હનુમાનજીદાદાના મંદિર પાસે ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧.૮૦ લાખ સ્ક્વેર ફુટમાં બનશે હાઇ-ટેક ગેસ્ટહાઉસ, દરેક ફ્લોર પર ૯૬ રૂમ બનશે, ૪૦ સ્વીટ – સર્વન્ટ રૂમ અલગ, દરેક ફ્લોર પર વેઇટિંગ એરિયા
વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજીદાદાના મંદિર પાસે ધાર્મિક સ્થળોમાં મોટું એવું એક હજાર રૂમવાળું બટરફ્લાય શેપમાં ગેસ્ટહાઉસ બનાવવામાં આવશે. આ હાઇ-ટેક ગેસ્ટહાઉસ ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧.૮૦ લાખ સ્ક્વેર ફુટમાં બનવા જઈ રહ્યું છે.
હનુમાનજીદાદાની નિશ્રામાં બની રહેલા આ ગેસ્ટહાઉસની વિગતો આપતાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે ‘હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં એક હજારથી વધુ રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિકભવન બનાવવામાં આવી રહ્યું છે. ધાર્મિક સ્થળોમાં આવડું મોટું બિલ્ડિંગ અને એમાં એક હજારથી વધુ રૂમ હોય એવું ક્યાંય હશે નહીં. ૨૦ વીઘામાં પતંગિયા જેવી ડિઝાઇનવાળા આ ગેસ્ટહાઉસના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. હાઇ-ટેક ટેક્નૉલૉજીની મદદથી બની રહેલું આ ગેસ્ટહાઉસ ચાર ઝોનમાં ભૂકંપપ્રૂફ બનશે. બિલ્ડિંગમાં ૧૮ લિફ્ટ, ૪ એલિવેટર અને ૨ મીટરના ૬ દાદરા હશે. દરેક ફ્લોર પર અલગ-અલગ સાઇઝના ૯૬ રૂમ બનશે. સર્વન્ટરૂમ સહિત ૪૦ સ્વીટ બનાવાશે. દરેક ફ્લોર પર વેઇટિંગ એરિયા હશે, જ્યાં એકસાથે ૧૦૦થી વધુ લોકો રિલેક્સ થઈ શકશે. બિલ્ડિંગની અંદર ૫૦૦ અને બહાર ૬૦૦ એમ કુલ ૧૧૦૦ ગાડી પાર્ક થઈ શકે એવું પાર્કિંગ બનાવવામાં આવશે.’
આ પણ વાંચો: પ્રેમસાગરના તીરે