સુરત જિલ્લાની કડોદરા નગર પાલિકાનો સેવા યજ્ઞ, ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકો માટે શરુ કર્યુ રસોડુ
અહેવાલઃ ઉદય જાદવ, સુરત
સુરત શહેર અને જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે ભારે વરસાદને કારણે કડોદરા વિસ્તાર પ્રભાવિત થયો હતો ત્યારે કડોદરા નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં 500 જેટલા લોકો માટે રસોડું શરૂ કરવામાં આવ્યું હતું.
અસરગ્રસ્ત પરિવારના લોકોએ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા રસોડામાં ભોજનનો લાભ લીધો હતો..અને લોકોએ નગરપાલિકાના આ માનવીય અભિગમની પ્રશંસા કરી હતી.
સુરત જિલ્લામાં મેઘ મહેર છે. છેલ્લા બે દિવસથી સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છે. માંડવી, માંગરોળ, કામરેજ, કડોદરા, બારડોલી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર કડોદરા થયું છે.. કડોદરા વિસ્તારના ખાડી ફળીયું, પોલટ્રી ફાર્મ, હળપતિ વાસ, અંડરપાસ વિસ્તારનું જન જીવન પ્રભાવિત કર્યું હતું અનેક ઘરોમાં દુકાનો નિચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ઘર વખરી, સરસામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું.
કડોદરા નગર પાલિકાની ટીમ દ્વારા તાબડતોબ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાઇ હતી. અંડરપાસ, ગટર સહિત જે વિસ્તારમાં પાણીનો ખુબજ પાણી ભરાવો થયો હતો. પાલિકાની ટિમ દ્વારા તાત્કાલિક ધોરણે જી.સી.બી તેમજ ઇલેક્ટ્રિક મોટરો જેવી મશીનરીઓના માધ્યમથી પાણી નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં 500 જેટલા લોકો માટે રસોડું શરૂ કરવામાં આવ્યું હતું. લોકો માટે કઢી,ખીચડી અને શાકની જમવાની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. આ સેવા સેવા યજ્ઞમાં કડોદરા નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈ સહિતના પાલિકાના નગરસેવકો અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા.