જાપાન આવતીકાલે તેના પરમાણુ પ્લાન્ટનું પાણી સમુદ્રમાં છોડવાની શરૂઆત કરશે, ચીન પહેલેથીજ કરતું આવ્યું છે વિરોધ
જાપાન આવતીકાલે ફુકુશિમા પરમાણુ પ્લાન્ટમાંથી પાણીને સમુદ્રમાં છોડવાનું શરૂ કરશે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ મંગળવારે આ જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સ્થાનિક માછીમારોમાં ચિંતા છે, સાથે જ ચીન પણ આ મામલે સતત વિરોધ કરી રહ્યું છે.
મંત્રી સ્તરીય બેઠકમાં નિર્ણય
મંગળવારે સવારે મંત્રી સ્તરની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં, 2011 માં મોટા ભૂકંપ અને સુનામી બાદ રિએક્ટરોને નિયંત્રણમાં લેવા માટે આ સ્થળે મોટા પ્રમાણમાં પાણી એકઠું થયું છે. વર્ષ 2021માં તત્કાલિન પીએમ યોશિહિદે સુગાએ પેસિફિક મહાસાગરમાં પાણી છોડવાની મંજૂરી આપી હતી. અને વર્તમાન વહીવટીતંત્રે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે આ યોજના વસંત અને ઉનાળાની વચ્ચે કયારેક અમલમાં આવશે.
જે પાણી સમુદ્રમાં છોડાશે તે ફિલ્ટર કરેલું હશે
જાપાને પહેલેથી જ એ વાતની સ્પષ્ટતા કરી દીધી છે કે તે પાણી ફિલ્ટર કર્યા બાદ જ સમુદ્રમાં છોડશે, અગાઉ, જુલાઈમાં, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) એ અહેવાલ આપ્યો હતો કે જાપાનની યોજના વૈશ્વિક સલામતી ધોરણોને અનુરૂપ છે અને લોકો અને પર્યાવરણ પર તેની વધુ અસર નહીં થાય. આ પછી જ સરકારે નિર્ણય લીધો હતો કે પાણી છોડવામાં આવશે.
વિરોધ શા માટે ?
મળતી માહિતી મુજબ, ચીન લાંબા સમયથી સમુદ્રમાં પાણી છોડવાનો વિરોધ કરી રહ્યું છે. વધુમાં, જાપાનની યોજનાની પોતાની રીતે તપાસ કર્યા પછી, દક્ષિણ કોરિયાની સરકારે જણાવ્યું કે તે IAEA સમીક્ષાના તારણોનો આદર કરે છે. દરમિયાન, જાપાનમાં સ્થાનિક માછીમારોએ પાણી છોડવાની દરખાસ્તનો વિરોધ કર્યો છે કારણ કે તેમને ડર છે કે તેનાથી તેમના સીફૂડની પ્રતિષ્ઠાને વધુ નુકસાન થશે. તેઓ દલીલ કરે છે કે આપત્તિ પછી ગ્રાહકોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં ઘણા વર્ષો લાગી ગયા છે.અહેવાલ મુજબ, સરકારે માછીમારી સમુદાયની ચિંતાઓને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બરમાં ફુકુશિમામાં ટ્રોલ ફિશિંગ સીઝન શરૂ થાય તે પહેલા ટ્રીટેડ પાણી છોડવાનો નિર્ણય લીધો છે.